આજે 16 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
CNGના ભાવમાં થયેલા વધારા બાદ હવે રિક્ષા ભાડું વધારવા માટે રિક્ષા ચાલક એકતા યુનિયનની કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં ભાડું વધારવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રિક્ષા ભાડામાં વધારો કરવાની સત્તાવાર રજૂઆત કરવામાં આવશે.
રિક્ષા ચાલકોએ ચીમકી આપી છે કે, જો તેમની આ માંગણી મંજૂર કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં રિક્ષા ચાલકો દ્વારા હડતાળ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સયાજીબાગ ઝૂ (પ્રાણીસંગ્રહાલય) માં દીપડાની પજવણી કરનાર ત્રણ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યુવકોએ ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી, દીપડાના વાડામાં કૂદીને તેની પજવણી કરી હતી.
આ સમગ્ર ઘટનાની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ મામલે સયાજીબાગ ઝૂના ક્યુરેટરે ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવતા, સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને આરોપી યુવકોની શોધખોળ શરૂ કરી છે.
નર્મદામાં એકતાનગર જંગલ સફારીમાં લાખો પર્યટકો આવતા હોય છે. એવામાં અંગ દઝાડતી ગરમીમાં પ્રવાસીઓ સાથે 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી-પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં ખાસ ફ્રોઝન ફૂડ, પોપ્સીકલસ, એરકુલર તથા ACની પણ વ્યવસ્થા કરાઈ છે.
ખાસ તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓ 24 કલાક પ્રાણીઓનું ધ્યાન રાખી રહ્યા છે. કેટલાક વિદેશી પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ તેમજ પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. વધુમાં પ્રત્યેક પાજરાંમાં નાના-મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે.
ચાંદખેડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીના મોત મામલે એક મોટો ખુલાસો થયો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીરમાં ‘એશિનોબેક્ટર બાઉમાની’ નામનો ગંભીર બેક્ટેરિયા મળી આવ્યો છે, જેના કારણે શરીરમાં ઇન્ફેક્શન (સેપ્ટિસેમિયા) ફેલાઈ ગયું હતું. આ ચેપને લીધે બાળકીનું હૃદય અને શ્વાસ પ્રણાલી બંધ થવાથી (કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર) તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
NEET પરીક્ષાના પેપર લીક થવાના મામલામાં એક મોટો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં પરીક્ષા પ્રક્રિયા માટે નક્કી કરાયેલા નિષ્ણાતો જોડાયા હોવાનું બહાર આવ્યું છે, જેમાં રસાયણશાસ્ત્રના (Chemistry) લેક્ચરર પીવી કુલકર્ણી અને વનસ્પતિશાસ્ત્રના (Botany) શિક્ષક મનીષા ગુરુનાથની સંડોવણી સામે આવી છે.
મળતી વિગતો મુજબ, આ આખું કૌભાંડ પુણેમાં રહેતી મનીષા વાઘમારે નામની મહિલા દ્વારા ચલાવવામાં આવતું હતું. મનીષા વાઘમારે પૈસાદાર અને અમીર વિદ્યાર્થીઓની ભરતી કરતી હતી અને આ પૈસાદાર વિદ્યાર્થીઓને શોધીને પેપર લીક કરવામાં આવતું હતું. આ પેપર ખાસ કોચિંગ ક્લાસ દરમિયાન લીક કરાયું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.
આ મામલે કાર્યવાહી કરતા આરોપી મનીષાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. આ કેસમાં હજુ અન્ય આરોપીઓની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાનો સીધો પ્રભાવ હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડતો જોવા મળી શકે છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, ફક્ત ફ્યુઅલ જ નહીં પરંતુ શાકભાજી, ગ્રોસરી, ઓનલાઇન ડિલિવરી અને FMCG પ્રોડક્ટ્સ સહિત અનેક વસ્તુઓના ભાવ હવે વધી શકે છે. લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. બીજી તરફ અમદાવાદ સહિત અનેક શહેરોમાં CNG અને ઇંધણ ભાવવધારા સામે વિરોધ પણ તેજ બન્યો છે.
વડોદરામાં એક ફેબ્રિકેશન વર્કશોપમાં કામગીરી દરમિયાન ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. ફેબ્રિકેશનના કામ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા એક યુવકનું સારવાર મળે તે પહેલાં જ કરુણ મોત નિપજ્યું હતું.
આ પ્રચંડ ધડાકાના અવાજથી આસપાસના સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ અને FSLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને સિલિન્ડર બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ રાજ્યના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જો કે, ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નોંધનીય છે કે, રાજ્ય તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ત્રણ દિવસ પછી એટલે કે 19 મે બાદ ગરમીમાં આંશિક રાહત મળવાની અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. બીજી તરફ, ચોમાસાને લઈને પણ સારા સમાચાર આવ્યા છે. કેરળમાં 26 મેની આસપાસ ચોમાસું સક્રિય થઈ શકે છે. ટૂંકમાં, આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં પાંચ દિવસ વહેલું શરૂ થઈ જશે.
અમદાવાદમાં પાણીપુરીના રસિકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના રાણીપ બસ સ્ટેન્ડ પાસે આવેલ ‘ક્રિષ્ણા પાણીપુરી’ નામની લારી પરથી એક મહિલા પાણીપુરી ખાઈ રહી હતી, જેમાંથી હાડકાનો ટુકડો નીકળ્યો હોવાનો આક્ષેપ થયો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું હેલ્થ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને આવી ગંભીર બેદરકારી બદલ પાણીપુરીની લારીને સીલ કરી દીધી છે. આ સાથે જ કાયદેસરની કાર્યવાહી કરીને સંચાલકને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
એક 2 દિવસ પહેલા રાજકોટ શહેરના મવડી મેઈન રોડ વિસ્તારમાં 13 જેટલા મંદિરો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જે બાદ મવડી રોડ પર આવેલુ હનુમાનજીનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ કામગીરીને લઈને સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
એવામાં આજે કોંગ્રેસે પણ રામધૂન બોલાવી ધાર્મિક દબાણો હટાવવા મામલે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાસ વાત એ છે કે, કોંગ્રેસે હાથમાં ગદા સાથે રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે, અહીંના મંદિર તોડી લોકોની આસ્થા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સુરતના કડોદરા વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય LCBએ દરોડો પાડી હરિઓમ પાર્કિંગના માલિક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ટેન્કર ચાલકોની મિલીભગતથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો કબ્જે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 33,735નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હેગમાં ડાયસ્પોરા માટેના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણી સંસ્કૃતિઓ અદ્રશ્ય થઈ ગઈ છે, પરંતુ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ હજુ પણ તેના લોકોના હૃદયમાં જીવંત છે. તેમણે ઉમેર્યું કે આજનો ભારત અભૂતપૂર્વ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે.
નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાયને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત કમળ માટે અને નેધરલેન્ડ ટ્યૂલિપ માટે જાણીતું છે.
પ્રધાનમંત્રી મોદીએ 16 મેના દિવસને ખૂબ જ ખાસ દિવસ ગણાવ્યો. તેમણે નોંધ્યું કે 12 વર્ષ પહેલાં આ દિવસે 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. તેમણે ભારતના 1.4 અબજ લોકો વતી નેધરલેન્ડના લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
નેધરલેન્ડ પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય સમુદાયના સભ્યોએ “મોદી, મોદી!” ના નારા લગાવ્યા. ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નેધરલેન્ડ આવવાનું ભારત આવવા જેવું લાગ્યું.
બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. કાંકરેજ, ધાનેરા અને ડીસા પંથકમાં લોકો વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહી રહ્યા છે. મળતી માહિતી મુજબ બાઈક માટે 100 રૂપિયાનું અને ગાડી માટે 500 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ટ્રેક્ટરમાં 700 રૂપિયાનું ડીઝલ આપવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે અપૂરતો પુરવઠો મળતો હોવાથી લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે અને લાંબી કતારો લાગી રહી છે.
સુરતમાં લસકાણા સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શનદાસજી સ્વામીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ સ્વામીએ ઘેનની ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ પોલીસને રજૂઆત કરી છે અને સ્વામીની આત્મહત્યાના પાછળના કારણોની તપાસ કરવાની માગ કરી છે. લસકાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. ખાસ વાત એ રહી કે અમિત શાહ માત્ર ચાર વાહનોના કાફલા સાથે બેઠક સ્થળે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ કલેક્ટર અને રેલવે DRM પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. પ્રવાસ દરમિયાન અમિત શાહ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવનાર અઢી વર્ષની દીપડી આખરે પાંજરે પુરાઈ છે. દીપડીના ભયને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે દીપડીને પકડવા માટે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડી સપડાઈ ગઈ. દીપડી પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને યુદ્ધ જેવી સ્થિતિની શક્યતાઓ વચ્ચે ગુજરાતના ઉદ્યોગોએ સાવચેતીના પગલાં શરૂ કર્યા છે. વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલી વર્ક ફ્રોમ હોમની અપીલને ઉદ્યોગ જગતે આવકારી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે વર્ક ફ્રોમ હોમથી ઉદ્યોગોના પ્રોડક્શન કે આઉટપુટ પર કોઈ નકારાત્મક અસર નહીં થાય. તેમણે ઉમેર્યું કે 10 ટકા રીઝર્વ ફોરેસ્ક ઘટાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. સાથે જ હાલ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અમેરિકા કરતાં ઓછા હોવાનું પણ તેમણે જણાવ્યું. સંભવિત યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઉદ્યોગોને ઓછું નુકસાન થાય તે માટે આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટમાં ભેળસેળીયાઓ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાંભાર અને ચટણીમાં ઝેરી રંગની મિલાવટ કરવાના ગુનામાં નાના મૌવા રોડ પર આવેલી જીજે-3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણીને 6 માસની સખત કેદ અને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભવાને પણ 6 માસની કેદની સજા સાથે રૂ. 2 લાખનો દંડ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા વર્ષ 2019 અને 2021 દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓ ફેઇલ થયા બાદ આ મામલે કેસ ચાલી રહ્યો હતો, જેમાં હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી હવે ગુજરાતવાસીઓને રાહત મળવાની શક્યતા છે. આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ 18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે.
પીએમ મોદી પાંચ દિવસની વિદેશ યાત્રા પર છે. તેઓ 15 થી 17 મે દરમિયાન નેધરલેન્ડ્સમાં રહેશે. અહીં સેમિકન્ડક્ટર અને ડિજિટલ ટેકનોલોજી સહયોગ મુખ્ય કેન્દ્ર રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને નેધરલેન્ડ વચ્ચે સેમિકન્ડક્ટર અને મહત્વપૂર્ણ ઉભરતી ટેકનોલોજી પર સંસ્થાકીય સહયોગ ઝડપથી વધી રહ્યો છે. ASML જેવી વૈશ્વિક ચિપ ટેકનોલોજી કંપનીઓ સાથે સંભવિત સહયોગને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Published On - 7:32 am, Sat, 16 May 26