
અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ અલગ 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી ઓફીસર સાથે રહેણાંક મકાનમાં મોડી રાતે દરોડો પાડ્યો હતો. શંકાસ્પદ બનાવટી દૂધ 220 લીટર, દૂધ બનાવવાનો પાઉડર 214 કિલો, દૂધ બનાવવા માટે નું વનસ્પતિ તેલ 43.4 કિલો મળી આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લીધા છે, જે FSLમાં મોકલશે. દૂધના જથ્થાનો રાતે જ નાશ કર્યો ખાંભા પોલીસ સ્ટેશનમા જાણવાજોગ નોંધ કરી છે.
વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડુતોના હિતમાં આપ્યું નિવેદન. આજે 15 માર્ચે થનાર કેનાલમાં પાણી બંધ આજે નહીં થાય. સરકારના નિયમ અનુસાર 15 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવે છે, માઇનોર અને ડિસ્ટિબ્યુટર કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવે છે. ખેડૂતોના હિતમાં આગામી 30મી એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવશે. ઉનાળા ની શરૂઆતમાં ખેડૂતોને હાલાકી ના પડે તે માટે સરકાર લીધો ખેડૂતોના હિતમાં નિર્ણય. થરાદ નગર પાલિકા વિસ્તારમાં પ્રથમવાર સમાવિષ્ટ કરાયેલ સોસાયટીઓનાં વિકાસના કામોના ખાતમુર્હુત સમયે આપ્યું નિવેદન
સુરેન્દ્રનગર પોલીસ દ્રારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં અરજી મેળો યોજીને અરજદારોને એક જ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા. અરજદારોની વ્યથા સાભળી અને સમજીને અરજી લેવામાં આવી હતી. પોલીસ વિભાગને લગતી અરજીઓ લઇ તાત્કાલિક નિકાલ કરવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જેમા મોટી સંખ્યામાં અરજદારો હાજર રહી પોતાની અરજીઓ આપી હતી.
જામનગર SOG પોલીસે સપાટો બોલાવ્યો છે. જામનગર આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. જામનગર નજીક સચાણામાંથી મૂળ પશ્ચિમ બંગાળનો મધુમંગલ અનંતભાઈ બિશ્વાસ નામના શખ્સને દબોચ્યો છે. જામનગર નજીક દરેડમાંથી જગદીશ હમીરભાઈ મકવાણા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. લાલપુરના મેઘપર ગામમાંથી મૂળ પશ્ચીમ બંગાળના મીલટન રતનભાઈ બિશ્વાસને દબોચ્યો છે. લાલપુરના મેઘપર ગામેથી અન્ય એક મૂળ પશ્ચીમ બંગાળના પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ નામના શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ બોગસ ડોક્ટરો પાસેથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો જપ્ત કર્યા છે. તમામ સામે પોલીસ મથકોમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઇઝરાયલે મધ્ય ઇરાની શહેર ઇસ્ફહાનને લક્ષ્ય બનાવીને મોટો મિસાઇલ હુમલો કર્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે, આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન, IRGC એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અહેવાલો સૂચવે છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ હવે સક્રિયપણે ઇરાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવી રહ્યા છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અમેરિકાએ સરકારી કર્મચારીઓને ઓમાન છોડવાનો આદેશ આપ્યો છે. “સુરક્ષા જોખમો”ને ટાંકીને, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ બિન-કટોકટી સરકારી કર્મચારીઓ તેમજ તેના તમામ કર્મચારીઓના પરિવારના સભ્યોને ઓમાન છોડવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલો સૂચવે છે કે, આ નિર્દેશને અનુસરીને, ઓમાનમાં યુએસ દૂતાવાસના સરકારી કર્મચારીઓ – અન્ય અમેરિકન નાગરિકો સાથે – દેશ છોડવાનું શરૂ કરી દીધું છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે, ભારતીય નૌકાદળે પર્સિયન ગલ્ફ નજીક તેના યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જરૂર પડ્યે ભારત જનારા વેપારી જહાજોને સુરક્ષા સહાય પૂરી પાડવા માટે આ યુદ્ધ જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સૂત્રોને ટાંકીને ANIના એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોને ચોક્કસ હેતુ માટે પર્સિયન ગલ્ફ નજીક તહેનાત કરવામાં આવ્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જાહેરાત કરી હતી કે, શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વધુમાં, જો કોઈ વ્યક્તિ સુરક્ષા કર્મચારીઓ સાથે આવે છે, તો તેને સંકુલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરિસરમાં લાઇસન્સ પ્રાપ્ત રિવોલ્વર, તલવાર અથવા બંદૂક જેવા શસ્ત્રો પણ પ્રતિબંધિત છે. જો કે, શીખ ભાઈઓના અધિકારો અનુસાર, ફક્ત એક નાનું કિરપાણ – જે કાયદેસર રીતે લઈ જઈ શકાય છે, તે લઈ જવા દેવાશે.
અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમોસ નજીક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લિકેજની ઘટના બની છે. કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયો છે. મોડાસા પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કોલ્ડ સ્ટોરેજમાં ગેસનો વાલ્વ બંધ કરવા ફાયર ટીમે કવાયત હાથ ધરી છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને એમોનિયા ગેસની અસર ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજે 15 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:21 am, Sun, 15 March 26