
મહેસાણાના વિજાપુરમાં મધ્યાહન ભોજન મુદ્દે 12 આચાર્યોને નોટિસ ફટકારવામાં આવી છે. પીએમ પોષણ યોજનામાં બાળકોની સંખ્યામાં વિસંગતતા જોવા મળી છે. ઓનલાઈન હાજરી અને બિલોમાં તફાવત આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કાગળ પર સંખ્યા વધારી સરકારી નાણાં ચાઉ કરાતા હોવાની આશંકા સેવાઈ રહી છે. લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત 12 શાળાના આચાર્યોને નોટિસ ફટકારવામાં આવી છે. મામલતદારે બે દિવસમાં ખુલાસો માંગતા શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. કસૂરવારો સામે કડક કાર્યવાહીના મામલતદારે આપ્યા સંકેત.
રાજકોટના જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે કારનો સર્જાયો ગંભીર અકસ્માત. મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક યુવતીનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પુલના ડિવાઈડર સાથે ટકરાઈને બે ભાગ થઈ ગયા. કારના બે ભાગ રોડના સામસામી બાજુ ફેકાઈ જતા રોડ પર સર્જાયો ટ્રાફિકજામ. પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યો. ત્રણ યુવક અને એક યુવતી કારમાં હતા સવાર. પ્રાથમીક વિગત મુજબ ચારેય જૂનાગઢ તરફથી જેતપુર આવતા હતાં. અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. બે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અને મૃત યુવક-યુવતીને પીએમ માટે લવાયા સરકારી હોસ્પીટલમાં. તાલુકા પોલીસે હોસ્પીટલ પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી છે. બે ઇજાગ્રસ્તને વધું સારવાર માટે જૂનાગઢ રીફર કરવા આવ્યા છે.
કચ્છના ભુજની પાલારા ખાસ જેલમાંથી મોબાઇલ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે બપોરે સ્થાનિક તપાસ ટીમે ઝડતી કરતા મોબાઈલ મળી આવ્યો હતો. પાલારા જેલમાં સર્કલ 202 ના યાર્ડ નંબર 09, બેરેક નંબર 505 ની બહાર આવેલ જનરલ બાથરૂમની ગટરની ચેમ્બરના પાઈપમાંથી બિનવારસી હાલતમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હતી. સ્થાનિક ઝડતી ટીમે એન્ડ્રોઈડ મોબાઈલ સીમકાર્ડ વગરનો, મોબાઈલ કંપનીનુ રાઉટર, બેટરી તેમજ સફેદ કલરનું ચાર્જર કબ્જે કર્યુ હતું. ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે જેલર બી.કે.જાખલે ગુનો નોંધાવ્યો હતો. ચાલુ હાલતમાં મળેલો મોબાઈલમાં પાસવર્ડ રાખેલા હોવાથી વધારે વિગતો જાણી શકાઈ ન હતી. પોલીસે મોબાઈલને એફએસએલ તપાસ માટે મોકલાવ્યો છે. જેની વિગતો સામે આવ્યા બાદ મોબાઈલનો ઉપયોગ કોને અને શા માટે કરેલો છે તે સહીતની વિગતો સામે આવશે.
ભરૂચ દહેજની Alivus Life Sciences Limited કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. ઘાયલોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. કંપની ફાર્માસ્યુટકલ્સ API નું ઉત્પાદન કરે છે.
બાંગ્લાદેશે 16 ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની મુલાકાતને કારણે, પીએમ મોદીની હાજરી અશક્ય છે. ભારતમાંથી ઉપરાષ્ટ્રપતિ અથવા વિદેશ પ્રધાન જેવા વરિષ્ઠ નેતા તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. બાંગ્લાદેશ સાર્ક અને અન્ય મિત્ર દેશોના નેતાઓને પણ આમંત્રણ આપવાનું વિચારી રહ્યું છે.
મહાશિવરાત્રી પર દેશભરના શિવ મંદિરોમાં પૂજા કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ ખાતે પરોઢીયેથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે. તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ આખી રાત ગુંજતા રહ્યાં છે. દેશના અન્ય જાણીતા શિવમંદિર અને જયોર્તિલિંગ ખાતે પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી છે.
અમરેલીના રાજુલાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પથ્થરમારો થયો હતો. યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ ધામધૂમપૂર્વક યુવકનો વરઘોડો નીકળતા મારામારી થઈ હતી. થોડા દિવસ પહેલા યુવક, યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ આજે ધામધૂમપૂર્વક લગ્નનો વરઘોડો કાઢતા પથ્થરમારાની ઘટના ઘટી હતી. યુવતીના પરિવારજનો દ્વારા પથ્થરમારો કરતા 1 વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે છૂટાહાથની મારીમારી અને પથ્થરમારાની ઘટના સામે આવી છે.
આજે 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Published On - 7:22 am, Sun, 15 February 26