15 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતની ધરતી પરથી FTA-ટ્રેડ ડીલ પર વિપક્ષોને અમિત શાહનો પડકાર, મંચ પર આવીને ચર્ચા કરવા આપી ચેલેન્જ

Gujarat Live Updates : આજ 15 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

15 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતની ધરતી પરથી FTA-ટ્રેડ ડીલ પર વિપક્ષોને અમિત શાહનો પડકાર, મંચ પર આવીને ચર્ચા કરવા આપી ચેલેન્જ
| Edited By: | Updated on: Feb 15, 2026 | 9:04 PM

આજે 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Feb 2026 09:00 PM (IST)

    ભાડાના મકાનમાંથી 74 ગ્રામ જેટલું MD ડ્રગ્સ ઝડપાયુ

    અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં આવેલા સિદ્ધ કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં ભાડાના મકાનમાંથી 74 ગ્રામ જેટલું MD ડ્રગ્સ અને તે બનાવવા માટેની કાચી સામગ્રી ઝડપાઇ. આ મામલે 32 વર્ષિય આરોપી અનિલ રાકોલિયાની ધરપકડ કરાઇ. તપાસમા સામે આવ્યુ કે અનિલ રાખોલીયા પોતે એક કેમિસ્ટ છે. જીઆઇડીસીની પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો પરંતુ શેરબજારમાં દેવાળૂ ફૂંકાતા તેણે ડ્રગ્સ બનાવવાની કુબુદ્ધિ સુજી. ગોગલ પરથી માહિતી મેળવીને તેણે ભાડે રાખેલા ઘરનાં બાથરૂમમાં ડ્રગ્સ બનાવવાનો વેપલો શરૂ કર્યો…જો કે પોલીસને આની ગંધ આવી ગઇ. બાતમીનાં આધારે પાડેલા દરોડામાં રૂપિયા 2.24 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું. હાલ પોલીસ યુવક કેટલા સમયથી આ ધંધો ચલાવતો હતો અને કોને ડ્રગ્સ વેચતો હતો, મટીરીયલ તથા સાધન સામગ્રી ક્યાંથી લાવતો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

  • 15 Feb 2026 08:45 PM (IST)

    અરવલ્લીના ધનસુરામાં માર્ગ અકસ્માતમાં વેપારીનું મોત

    અરવલ્લીના ધનસુરામાં માર્ગ અકસ્માતમાં વેપારીનું મોત થયુ છે.  ધનસુરાના કિશોરપુરા નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.  લગ્ન પ્રસંગથી પરત ફરતા બે સગા ભાઈઓની કારને અકસ્માત નડ્યો જેમા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
    પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • 15 Feb 2026 08:20 PM (IST)

    સુરત: બાઈક ડિવાઈડર સાથે અથડાતા 2 મોત

    સુરત: બાઈક ડિવાઈડર સાથે અથડાતા 2 લોકોના મોત થયા છે. પૂરઝડપે બાઈક ચલાવતા યુવકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો છે. કીમ ચાર રસ્તા પીપદરા ગામ નજીક આ અકસ્માત સર્જયો. જેમા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પામી છે. મૃતક યુવકો પરપ્રાંતીય હોવાનું  તપાસમાં સામે આવ્યું છે. કોસંબા પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.

  • 15 Feb 2026 07:45 PM (IST)

    અમદાવાદઃ વિવેકાનંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો કેસ

    અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ધર્મવાટિકા સોસાયટીમાં જૂની અદાવતને લઇને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. સોસાયટીમાં રહેતા દ્રશ્ય ગોસ્વામી નામના યુવકને કાર પાર્કિંગ બાબતે સોસાયટીના જ અન્ય રહીશો સાથે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખીને દ્રશ્ય ગોસ્વામી અને અન્ય લોકો કાળા કલરની નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવ્યા અને સોસાયટીમાં જ રહેતા દેવર્ષ અને યોગેશ નામના યુવકો પર હુમલો કર્યો. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘટનાને પગલે સોસાયટીના અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ છવાયો.

  • 15 Feb 2026 07:19 PM (IST)

    વૈજનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

    હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ. અહીં 25 ફુટ ઉંચી મહાકાલની પ્રતિમા તેમજ અનોખી ગુફાનું નિર્માણ કરાયું. જેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા. 23 હજાર કિલો પીઓપી, વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આબેહૂબ ગુફાનું નિર્માણ કરાયું. મંદિરના પ્રાંગણમાં જ કુદરતી ગુફા જેવુ જ વાતાવરણ ઉભું કરાયું. જેમાં દર્શનનો લહાવો લઇ ભક્તોએ ધન્યતા અનુભવી.

  • 15 Feb 2026 06:45 PM (IST)

    ડાંગ જિલ્લામાં દીપડાની દહેશત

    ડાંગ જિલ્લામાં દીપડાની દહેશત ફેલાઈ છે. ભેંસકાતરી રેન્જ વિસ્તારમાં દીપડાનું બચ્ચું મળ્યુ. દીપડાથી વિખૂટું પડેલું બચ્ચું મળતા ચકચાર મચી ગઈ છે. ઝાડીમાં સૂકા પાંદડા નીચે છુપાયેલું બચ્ચું જોવા મળ્યું. ગામજનોએ જાણ કરતા વનવિભાગ સક્રિય થયુ છે. બચ્ચાનું માતા સાથે મિલન કરાવવા વનવિભાગ કાર્યરત થયુ છે. ગ્રામજનોને સાવચેત રહેવા વનવિભાગે અપીલ કરી છે.

  • 15 Feb 2026 06:16 PM (IST)

    અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ

    અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. માઈનોરીટી શાળા હોવાના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી. ઈરાદાપૂર્વક ગરીબ બાળકોને RTE પ્રવેશથી વંચિત રાખ્યાનો દાવો કરાયો છે.  ખોટા માઈનોરિટીના સર્ટિના આધારે 2017થી RTEમાં પ્રવેશ બંધ કરાયો. અત્યાર સુધી 2400 બાળકોને પ્રવેશથી વંચિત રાખ્યાં હોવાનો દાવોRTEના બદલે ઓપનમાં પ્રવેશ આપી શાળાએ કરોડોની ફી ઉઘરાવી. શાળાનો વહીવટ સરકાર હસ્તક આવતા DEO ટીમ દ્વારા તમામ તપાસ હાથ ધરાઈ. શાળાના RTE સહિતના તમામ દસ્તાવેજો DEO કોર્ટમાં જમા કરાવશે

  • 15 Feb 2026 05:45 PM (IST)

    ભારત -પાક.ના મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં સુરતીઓમાં ભારે ઉત્સાહ

    ભારત -પાક.ના મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં ક્રિકેટ પ્રેમી સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ક્રિકેટ જગતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચ આજે યોજાવા જઈ રહી છે. હાઈ-વોલ્ટેજ ડ્રામાને લઈને સુરતના ક્રિકેટ રસિકોમાં ભારે જોશ અને અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ખૂણે-ખૂણે આજે માત્ર ભારતની જીતની જ ચર્ચાઓ થઈ રહી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટ પ્રેમીઓની ‘ચોપાલ’ જામી છે. યુવાનોથી લઈને મોટેરાઓ સુધીના તમામ ક્રિકેટ ચાહકો એકઠા થઈને ટીમ ઈન્ડિયાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સુરતીઓનું માનવું છે કે આજે મેદાન પર ભારતીય પ્લેયરો પાકિસ્તાનની ટીમ પર સંપૂર્ણ રીતે હાવી થઈ જશે.

     

  • 15 Feb 2026 05:17 PM (IST)

    લિકર માફિયાઓેએ નેશનલ હાઈવે છોડી એક્સપ્રેસ વેની પકડી રાહ

    ભરૂચમાં દારૂ માફીયાઓ બેફામ થયા છે. હવે નેશનલ હાઈવે છોડીને એક્સપ્રેસ હાઈવેનો લાભ દારૂ ઘુસાડવા માટે કરી રહ્યા છે.  લિકર માફિયાઓએ દારૂ ઘુસાડવા નેશનલ હાઇવે છોડી એક્સપ્રેસ વે ની રાહ પકડી છે. દિલ્લી – મુંબઈ એક્સપ્રેસ વે પર પોલીસનું ચેકીંગ અને પેટ્રોલિંગ ઓછું રહેતું હોવાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે અંકલેશ્વર પોલીસને આ ખેપિયાઓના નવા રૂટની માહિતી મળતા DYSP ની સ્કોડ અને રૂરલ પોલીસ એક્શનમાં આવી છે.

     

    દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. ટ્રકમાં ચોખાની બોરીની આડમાં સંતાડી લઈ જવાતા 2 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂની 33 હજાર બોટલ ઝડપાઈ છે.  ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રકના ડ્રાઇવર જેરામ મેગવાલ અને ક્લીનર મુકેશ મેગવાલની  ધરપકડ કરી છે.

  • 15 Feb 2026 04:45 PM (IST)

    દંડની રકમથી અમદાવાદ RTOની તિજોરી છલકાઈ

    આરટીઓ અને ટ્રાફિક નિયમનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી દંડ વસુલવામાં આવે છે. પરંતુ દંડ ભરવા છતાં પણ લોકો નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે આરટીઓ કચેરીની તિજોરી છલકાઈ છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે RTOની કાર્યવાહીથી દંડની આવકમાં મોટો વધારો નોંધાયો છે. દંડ ભરવા છતાં નિયમોનું પાલન ન થતાં આરટીઓ કચેરીની તિજોરી પૈસાથી છલકાઈ ગઈ છે. 2024ની સરખામણીએ 2025માં અમદાવાદ આરટીઓને દંડની આવકમાં સીધો 45 ટકાનો વધારો થયો છે. 2024માં 7 કરોડ 16 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો હતો જ્યારે 2025માં 10 કરોડ 40 લાખ દંડ વસુલ થયો છે. જેમાં ઓવરલોડમાં 2 કરોડ 24 લાખ, ઓવરસ્પીડમાં 92 લાખ, LED લાઈટના 11 લાખ 86 હજાર, હેલ્મેટ 1 લાખ 36 હજાર, PUC 17 લાખ 74 હજાર, લાયસન્સ વગર ફરતા લાકો પાસે 63 લાખ 49 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

  • 15 Feb 2026 04:20 PM (IST)

    વાવ થરાદ: દિયોદરમાં દારૂના દૂષણ સામે જનતા રેડ

    વાવ થરાદ: દિયોદરમાં દારૂના દૂષણ સામે જનતા રેડ કરવામાં આવી હતી. સુરાણા ગામમાં દારૂના અડ્ડા પર લોકોએ જનતા રેડ કરી. અનેક રજૂાતો છતા દેશી દારૂની વેચાણ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મોટી સંખ્યામાં યુવાનોએ એક્ઠા થઈ બુટલેગરોના ઘરે જનતા રેડ કરી જેમા દારૂ ગાળવાના વોશનો નાશ કરવામા આવ્યો. સ્થાનિકોએ જનતા રેડ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

     

  • 15 Feb 2026 03:45 PM (IST)

    મહાશિવરાત્રિ પર્વે શિવાલયોમાં ઉમટ્યા શિવભક્તો

    મહાશિવરાત્રી હિન્દૂ ધર્મનો એક અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે….દેવોના દેવ મહાદેવની આરાધનાના આ પવિત્ર દિવસે અનેક શિવાલયોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ શહેરના નાના-મોટા તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોમાં ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના ગગનભેદી નાદ ગુંજી રહ્યા છે, જેનાથી સમગ્ર વાતાવરણમાં એક અનેરી આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો છે. સોમનાથ દાદાના એક દર્શન માટે લોકો આતુર બન્યા. જ્યારે ભવનાથ મહાદેવનું વાતાવરણ ભક્તિમય રહ્યું. આજના દિવસે શિવભક્તિનો વિશેષ મહિમા હોવાથી લોકો વહેલી સવારે જ રાજકેટ, અમદાવાદ, દેવભૂમિદ્વારકા અને ડાંગમાં શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

  • 15 Feb 2026 03:12 PM (IST)

    આણંદની કરમસદની મેડિકલ હોસ્પિટલ વિવાદમાં

    આણંદની કરમસદની મેડિકલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. દર્દીને શ્વાસમાં તકલિફ તા કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડથી સારવાર કરવાનો ઈનકાર કરતા વિવાદ થયો છે. સારવાર દરમિયાન દર્દીના સંબંધીઓએ અભદ્ર વર્તન કર્યુ હોવાનો આરોપ લાગ્યો છે.

    ઉમરેઠ તાલુકાના શીલી ખોરવાડ ગામના વતની હિતેન્દ્રસિંહ દેવીસિંહ ચૌહાણ નામના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક સારવાર માટે કરમસદ કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરવાનો ઇનકાર કરવામાં આવતા વિવાદ સર્જાયો

  • 15 Feb 2026 03:03 PM (IST)

    અમદાવાદ: નારોલમાં જમાઈએ જ સસરાની હત્યા કરતાં ચકચાર

    અમદાવાદના નારોલ વિસ્તારમાં પત્ની પિયરેથી ઘરે ન આવતા જમાઈએ તેના જ સસરાની હત્યા કરી દેતા ચકચાર મચી છે. દોઢ મહિનાથી નવ પરણેલી પત્ની તેના પિયરમાં રહેવા ગઈ હતી. જો કે પત્નીના પિયરમાં તેની માતા અને ભાભીને સ્વાસ્થ્ય સમસ્યા હોવાના લીધે પત્ની સાસરે પરત ન ફરતાં જમાઈ તેની પત્નીને લેવા માટે સાસરે ગયો હતો. જે બાદ પત્નીના પરિવાર સાથે જમાઈને બોલાચાલી થતાં જમાઈ રોષે ભરાયો હતો. પરિવારનો આરોપ છે કે જમાઈએ તેના ભાઈ અને તેની માતા સાથે ઘરે આવીને બબાલ કરી અને છેવટે સસરાએ પત્નીને ઘરે મોકલવાની ના પાડતા જમાઈના માથે જાણે યમરાજ સવાર થયા હોય તેમ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને 60 વર્ષીય સસરાનું ઢીમ ઢાળી દીધું. ત્યારે પરિવારમાં હાલ માતમ છવાયો છે..

  • 15 Feb 2026 02:28 PM (IST)

    અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકને ઈજા, પ્રેમ પ્રકરણમાં માર મારી ફાયરિંગ કરાયાની વિગતો

    અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. પ્રેમ પ્રકરણમાં આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત ફરિયાદીને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આરોપીઓને ઝડપવા સોલા પોલીસે કવાયત હાથ ધરી છે. આરોપીઓએ ફરિયાદીને મૂઢ માર મારી ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

  • 15 Feb 2026 02:25 PM (IST)

    વડોદરાના પાદરાના સાદડ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની ટક્કરથી દિપડાનું મોત

    વડોદરાના પાદરાના સાદડ ગામ નજીક નેશનલ હાઈવે પર કાર ચાલકે દીપડાને અડફેટે લીધો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે. કારની ટક્કરથી દિપડાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું, અકસ્માતે દિપડાનું મોત થયાના સમાચાર જાણીને વન વિભાગ તંત્ર દોડતું થયું હતું. દિપડાના મૃતદેહ પર વનવિભાગે કબજે મેળવી પી.એમ અર્થે લઈ જવાયો હતો. વન વિભાગ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 15 Feb 2026 02:16 PM (IST)

    કેદારનાથ મંદિરના દરવાજા આગામી 22 એપ્રિલે ખુલશે

    શ્રી કેદારનાથ મંદિરના દરવાજા, આગામી 22 એપ્રિલના રોજ સવારે 8:00 વાગ્યે ભક્તો માટે ખુલશે. મહાશિવરાત્રીના શુભ અવસર પર ઉખીમઠના શિયાળુ સ્થાન ઓમકારેશ્વર મંદિરમાં આજે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી.

  • 15 Feb 2026 01:20 PM (IST)

    મોરબી આપના પૂર્વ આગેવાને કર્યો ધડાકો, મનોજ સોરઠીયા ફોનમાં અપશબ્દો બોલતા હોવાનો વીડિઓ જાહેર કર્યો

    મોરબી આપના પૂર્વ આગેવાને કર્યો ધડાકો. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ફોનમાં અપશબ્દો બોલતા હોવાનો વીડિઓ જાહેર કર્યો. મોરબી ઇટાલિયાની સભામાં રાજીનામું આપનાર આપના પૂર્વ આગેવાન હિતુભા રાઠોડને કહ્યા અપશબ્દો. અન્ય આગેવાન સાથે ફોનમાં વાતચીત દરમિયાન બોલ્યા અપશબ્દ. ભાજપના સંસ્કારોની વાત કરતી આપના આવા સંસ્કારો છે.

  • 15 Feb 2026 12:04 PM (IST)

    અંબાણી પરીવારના મહેમાન બન્યો સચિન તેંડૂલકરનો પરિવાર, પ્રિવેડીંગ શુટ માટે જામનગરમા વનતારામાં આવ્યા હોવાની વાત

    સચિન તેડુલકર પરીવાર સાથે જામનગર એરપોર્ટ પર આગમન થયું છે. સચિન તેંડુલકર સાથે અર્જુન તેંડુલકર, અંજલી તેડુલકર, સારા તેંડુલકરનું જામનગરમા આગમન થયું છે. તેંડુલકર પરીવાર અંબાણી પરીવારના મહેમાન બન્યા. અર્જન તેંડુલકરના પ્રિવેડીંગ શુટ માટે જામનગરમા વનતારામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ છે.

  • 15 Feb 2026 12:00 PM (IST)

    અરવલ્લીના મોડાસા ઘોડેસવારને કારે મારી ટક્કર, અશ્વ અને અશ્વપાલક બન્ને ઈજાગ્રસ્ત

    અરવલ્લીના મોડાસાના વાણીયાદ ચોકડી પાસે ઘોડેસવારને અજાણી કારે ટક્કર મારી. અકસ્માતમાં અશ્વ અને મુલોજ ગામના અશ્વ પાલકને ઈજા પહોંચી છે. અકસ્માતમાં અશ્વ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત અશ્વ પાલકને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે. અશ્વને નિયમિત ચાલ અને ચારો ચરાવવા લઈ જતા બની ઘટના. કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ઘટનાને લઈ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • 15 Feb 2026 11:27 AM (IST)

    જસદણના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ

    જસદણના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ. મંગળા આરતી ભક્તિમય માહોલમાં યોજાઈ, ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સવારે અને બપોરે બે વખત રુદ્રાભિષેકનું આયોજન કરાયું છે. મંગળા આરતી બાદ ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. દિવસ દરમિયાન બે વખત ધ્વજારોહણ અને મહાદેવની મહાપૂજા કરવામાં આવી. બપોરે 12 વાગ્યે મહા આરતી, સાંજે શૃંગાર દર્શન અને સંધ્યા આરતી કરાશે. ચારેય પ્રહરની આરતીઓનું આયોજન, ભક્તો ઉમટી પડશે. ઋષિકુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર અને લઘુરુદ્ર પાઠ ચાલી રહ્યાં છે. મંદિર પરિસરમાં 1008 દીવડાઓ પ્રજ્વલિત કરી આધ્યાત્મિક માહોલ સર્જાશે. વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે.

  • 15 Feb 2026 10:19 AM (IST)

    મહેસાણાના વિજાપુરમાં મધ્યાહન ભોજન મુદ્દે 12 આચાર્યોને મામલતદારે ફટકારી નોટિસ

    મહેસાણાના વિજાપુરમાં મધ્યાહન ભોજન મુદ્દે 12 આચાર્યોને નોટિસ ફટકારવામાં આવી છે. પીએમ પોષણ યોજનામાં બાળકોની સંખ્યામાં વિસંગતતા જોવા મળી છે. ઓનલાઈન હાજરી અને બિલોમાં તફાવત આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કાગળ પર સંખ્યા વધારી સરકારી નાણાં ચાઉ કરાતા હોવાની આશંકા સેવાઈ રહી છે. લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત 12 શાળાના આચાર્યોને નોટિસ ફટકારવામાં આવી છે. મામલતદારે બે દિવસમાં ખુલાસો માંગતા શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. કસૂરવારો સામે કડક કાર્યવાહીના મામલતદારે આપ્યા સંકેત.

  • 15 Feb 2026 09:34 AM (IST)

    રાજકોટના જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર અકસ્માત, યુવક-યુવતીનુ મોત, 2 ગંભીર ઈજાગ્રસ્ત

    રાજકોટના જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે કારનો સર્જાયો ગંભીર અકસ્માત. મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક યુવતીનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પુલના ડિવાઈડર સાથે ટકરાઈને બે ભાગ થઈ ગયા. કારના બે ભાગ રોડના સામસામી બાજુ ફેકાઈ જતા રોડ પર સર્જાયો ટ્રાફિકજામ. પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યો. ત્રણ યુવક અને એક યુવતી કારમાં હતા સવાર. પ્રાથમીક વિગત મુજબ ચારેય જૂનાગઢ તરફથી જેતપુર આવતા હતાં. અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. બે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અને મૃત યુવક-યુવતીને પીએમ માટે લવાયા સરકારી હોસ્પીટલમાં. તાલુકા પોલીસે હોસ્પીટલ પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી છે. બે ઇજાગ્રસ્તને વધું સારવાર માટે જૂનાગઢ રીફર કરવા આવ્યા છે.

  • 15 Feb 2026 09:25 AM (IST)

    ભુજની પાલારા ખાસ જેલમાંથી બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન, રાઉટર મળ્યું

    કચ્છના ભુજની પાલારા ખાસ જેલમાંથી મોબાઇલ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે બપોરે સ્થાનિક તપાસ ટીમે ઝડતી કરતા મોબાઈલ મળી આવ્યો હતો.  પાલારા જેલમાં સર્કલ 202 ના યાર્ડ નંબર 09, બેરેક નંબર 505 ની બહાર આવેલ જનરલ બાથરૂમની ગટરની ચેમ્બરના પાઈપમાંથી બિનવારસી હાલતમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હતી. સ્થાનિક ઝડતી ટીમે  એન્ડ્રોઈડ મોબાઈલ સીમકાર્ડ વગરનો, મોબાઈલ કંપનીનુ રાઉટર, બેટરી તેમજ સફેદ કલરનું ચાર્જર કબ્જે કર્યુ હતું. ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે જેલર બી.કે.જાખલે ગુનો નોંધાવ્યો હતો. ચાલુ હાલતમાં મળેલો મોબાઈલમાં પાસવર્ડ રાખેલા હોવાથી વધારે વિગતો જાણી શકાઈ ન હતી. પોલીસે મોબાઈલને એફએસએલ તપાસ માટે મોકલાવ્યો છે. જેની વિગતો સામે આવ્યા બાદ મોબાઈલનો ઉપયોગ કોને અને શા માટે કરેલો છે તે સહીતની વિગતો સામે આવશે.

  • 15 Feb 2026 08:16 AM (IST)

    ભરૂચ દહેજની Alivus Life Sciences Limited કંપનીમાં લાગી ભીષણ આગ

    ભરૂચ દહેજની Alivus Life Sciences Limited કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. ઘાયલોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. કંપની ફાર્માસ્યુટકલ્સ API નું ઉત્પાદન કરે છે.

  • 15 Feb 2026 07:34 AM (IST)

    બાંગ્લાદેશે પીએમ મોદીને, તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પાઠવ્યું આમંત્રણ

    બાંગ્લાદેશે 16 ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની મુલાકાતને કારણે, પીએમ મોદીની હાજરી અશક્ય છે. ભારતમાંથી ઉપરાષ્ટ્રપતિ અથવા વિદેશ પ્રધાન જેવા વરિષ્ઠ નેતા તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. બાંગ્લાદેશ સાર્ક અને અન્ય મિત્ર દેશોના નેતાઓને પણ આમંત્રણ આપવાનું વિચારી રહ્યું છે.

  • 15 Feb 2026 07:30 AM (IST)

    મહાશિવરાત્રી પર જૂનાગઢ, સોમનાથ, નાગેશ્વર સહીત દેશભરના શિવ મંદિરોમાં પૂજા કરવા ઉમટી પડી ભક્તોની ભીડ

    મહાશિવરાત્રી પર દેશભરના શિવ મંદિરોમાં પૂજા કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ ખાતે પરોઢીયેથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે. તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ આખી રાત ગુંજતા રહ્યાં છે. દેશના અન્ય જાણીતા શિવમંદિર અને જયોર્તિલિંગ ખાતે પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી છે.

  • 15 Feb 2026 07:23 AM (IST)

    અમરેલીના રાજુલાના ગામમાં, પ્રેમલગ્ન બાદ વરઘોડો કાઢતા યુવતીના પરિવારજનોએ છુટાહાથની મારામારી કરી કર્યો પથ્થરમારો

    અમરેલીના રાજુલાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પથ્થરમારો થયો હતો. યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ ધામધૂમપૂર્વક યુવકનો વરઘોડો નીકળતા મારામારી થઈ હતી. થોડા દિવસ પહેલા યુવક, યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ આજે ધામધૂમપૂર્વક લગ્નનો વરઘોડો કાઢતા પથ્થરમારાની ઘટના ઘટી હતી. યુવતીના પરિવારજનો દ્વારા પથ્થરમારો કરતા 1 વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે છૂટાહાથની મારીમારી અને પથ્થરમારાની ઘટના સામે આવી છે.

Published On - 7:22 am, Sun, 15 February 26