
આજે 13 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
એક તરફ હેલમેટ ફરજિયાત પહેરવાને લઈને અનેક શહેરમાં વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં પોલીસ દ્વારા હેલમેટ અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. રસ્તા પર હેલમેટ ન પહેરીને નીકળેલા વાહનચાલકોને પોલીસ દંડ ફટકારવાને બદલે હેલમેટનું વિતરણ કરી રહ્યું છે. લોકોમાં હેલમેટ અંગે જાગૃતિ લાવવા અને તેના ફાયદા સમજાવવા પોલીસે શહેરકોટડા વિસ્તારમાં બાઈક રેલી યોજી. પોલીસે હેલમેટ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા.
જામનગરઃ ધ્રોલ પંથકમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર તંત્રએ કાર્યવાહી કરી છે. ક્રિષ્ના ટ્રેડિંગ પર ફૂડ શાખાના દરોડામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂ.1.4 કરોડનો માલ જપ્ત કરાયો છે. ઘી અસલી છે કે ભેળસેળ યુક્ત એ જાણવા ફૂડ શાખાએ નમૂના લઇ લેબમાં મોકલ્યા છે. ભેળસેળ સામે આવશે તો ક્રિષ્ના ટ્રેડિંગના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે.
વડોદરામાં વધુ એક વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ અકસ્માત સર્જ્યો. પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ મહિલા અને એક કારને અડફેટે લીધી. આ ઘટના માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે બની. વાહન ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અક્સ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ કારચાલકને મેથીપાક પણ ચખાડ્યો. હાલ પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સબમર્સિબલ પંપ પરથી GST ઓછી કરવાની માગ પંપ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. પંપ પરથી 18 ટકા GST ઘટાડી 5 ટકા અથવા શૂન્ય કરવાની માગ કરી છે. “GST ઘટાડવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થઇ શકે. કેન્દ્ર સરકાર ખેડૂતોને પણ GST ઘટાડાનો લાભ આપે તેવી માગ કરાઈ છે.
ભાવનગરના મહુવાના તલગાજરડાના ખેડૂતો આજકાલ ખાનગી કંપનીના પાપે મુશ્કેલીમાં મુકાયા છે. તલગાજરડા ગામના ખેડૂતોનો આરોપ છે કે ગામની સીમમાં આવેલી કંપનીમાંથી દુષિત પાણી ગામની નદીમાં છોડાઇ રહ્યું છે. જેના પગલે કુદરતી જળસ્ત્રોત તો દુષિત થઇ રહ્યો છે, સાથે જ ભૂગર્ભ જળ પણ દુષિત થયા છે. ગ્રામજનોનો દાવો છે કે ભૂગર્ભ જળ દુષિત થતાં હવે ઘરે ઘરે નળમાં પણ દુષિત પાણી આવી રહ્યું છે, અને ગામમાં રોગચાળાનો ભય સર્જાયો છે.
બનાસકાંઠાના 4 તાલુકામાં દર વર્ષે સર્જાતી પૂરની સ્થિતિનો કાયમી અંત લાવવા રાજ્ય સરકાર આવી છે એક્શનમાં. વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં પૂરની સમસ્યાનો અંત લાવવા રાજ્ય સરકારે સિંચાઇ વિભાગને સરવે કરવા આદેશ આપ્યો છે. સરવે રિપોર્ટ બાદ રાજ્ય સરકાર મહત્વનો પ્રોજેક્ટ હેઠળ કામ કરશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ દાવો કર્યો છે કે સરહદી વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા અંગે સરકાર ચિંતિત છે અને સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર કામ કરી રહી છે.
બનાસકાંઠાના થરાદમાં પૂરના પાણીની નિકાલ માટે હવે સ્થાનિકોને જામ મહેનત જિંદાબાદની નીતિ અપનાવી પડી છે. પાણી ન ઓસરતા હવે નાગરિકો પંપ અને પાઇપ ગોઠવીને પાણીનો નિકાલ કરી રહ્યા છે. ભારે વરસાદ બાદ પાછલા 5 દિવસથી પાણી ભરાયેલા છે. તો ન માત્ર ગ્રામજનો પરંતુ તંત્ર પણ પૂરના પાણી સામે લાચાર જોવા મળ્યું. થરાદની પ્રાંત કચેરી, મામલદાર કચેરી પણ પાણીમાં ડૂબેલી છે અને અહીંથી પણ પાણી કાઢવા સહિયારા પ્રયાસો શરૂ થયા છે. ગ્રામજનોએ પાણી નિકાલ માટે 12થી વધુ પાઈપલાઈન તૈયાર કરીને આ ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. બીજી તરફ તંત્ર 10 હોર્સ પાવરની 10થી વધુ ઇલેક્ટ્રોનિક્સ સબમર્સીબલ મોટરનો ઉપયોગ કરી પાણી નિકાલની કામગીરી કરી રહ્યું છે. 100થી વધુ માણસો પાણી નિકાલની કામગીરમાં જોડાયા છે. મામલતદાર કચેરી પ્રાંત કચેરી નજીક 6થી 7 ફૂટ સુધી ભરાયા હતા.
અમદાવાદમાં નારોલ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી દંપતીના મોત મામલે પોલીસ અને AMCની તપાસ બાદ ફરિયાદ નોંધાતા AMC અને એજન્સીનાં કર્મચારીઓ સહીત 5 લોકોની ધરપકડ. બે દિવસ અગાઉ નારોલની મટન ગલીમાં પાણી ભરાયા હતા.જે વરસાદી પાણીમાં અંડર ગ્રાઉન્ડ વીજ વાયરનો કરંટ લીક થઇને પ્રસર્યો હતો. જેનાં કારણે ત્યાંથી પસાર થતા દંપતીનું મોત થયું હતું. તપાસમાં મેઇન્ટેનન્સની કામગીરી નિશાંત એન્ટરપ્રાઇઝનાં માલિક સૈયદ ઝહિર અને 2 એન્જિનિયર તથા AMCનાં બે એન્જિનિયરોની બેદરકારી સામે આવી હતી. હાલ પોલસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી છે.
છોટાઉદેપુરના બોકડિયા ગામમાં ચોમાસુ મુસીબત લઈને આવે છે. ગામની વચ્ચેથી પસાર થતી નદી ચોમાસામાં બે કાંઠે થઈ જાય છે અને ગામ જાણે બે ભાગમાં વહેંચાઈ જાય છે. સામા કાંઠે આવેલા ખેતરમાં જવા માટે કે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવા માટે એક માત્ર વિકલ્પ પાણીમાંથી પસાર થવાનો છે. 4 હજારની વસ્તી ધરાવતા ગામના લોકો હજુ પાયાની સુવિધાથી વંચિત છે. કામ-ધંધે જનારા લોકો નદીના ધસમસતા પ્રવાહમાં વાહન ખેંચી સામે કાંઠે જવા મજબુર બને છે તો ચોમાસામાં જ્યારે નદી બે કાંઠે થઈ જાય છે તો ગામલોકો બાળકોને શાળાએ મોકલતા નથી જેની અસર અભ્યાસ પર પણ પડી રહી છે.
સુરેન્દ્રનગર મનપાનાં અણઘડ વહિવટને કારણે રોજ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. એક તરફ સુરેન્દ્રનગર મનપા દર ત્રણ દિવસે શહેરીજનોને પીવાનું પાણી આપે છે. શહેરનો ધોળીધજા ડેમ પુરતો ભરેલો હોવા છતા હજુ છેવાડાના વિસ્તારોમાં લોકોને પીવાનાં પાણી માટે વલખા મારે છે. પાલીકા કચેરીએ પીવાનાં પાણીની માગ સાથે મહિલાઓ ધરણા કરે છે. ત્યારે બીજી તરફ વઢવાણમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ લાખોના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇન નાખી છે. પરંતુ દરેક ઘર સુધી કનેક્શન ન અપાતા રોજો રોજ લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જાય છે.
સૌરાષ્ટ્રમાં નર્મદા નીર વહાવતી સૌની યોજના લિંક-1 મારફતે જામનગરના કાલાવડ શહેરની જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે. જેથી શહેરીજનો અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી. બાલંભડી ડેમ માંથી શહેર ને પીવાનું પાણી અને 500 થી વધુ ખેડૂતો ને સિંચાઈ નું પાણી મળશે. ખરા સમયે ખેડૂતો ને સિંચાઈ નું પાણી મળતા ખેડૂતો માં ખુશી જોવા છવાઈ.. સૌની યોજનાથી તાલુકાના જસાપર, જીવાપર, બાલંભડી, ખાખરીયા, ખીજડિયા, સરવાણીયા સહિતના ગામોને સિંચાઇનું પાણી મળશે.
અમદાવાદમાં સતત કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેવામાં હજુ તો પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે થયેલી નિર્મમ હત્યાનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં હવે ફરી એવી જ એક ઘટના સામે આવી. જેમાં અમદાવાદના માંડલમાં સન આર્કેડ કોમ્પલેક્સમાં ફાયરિંગની ઘટના બની. જેના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. માંડલમાં દુકાનમાં કામ કરનારા મજૂરને આપેલા 10 હજારની ઉઘરાણીને લઈને બબાલ થઈ હતી. દુકાનદાર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો.
ગાંધીનગર: સેક્ટર-7માંથી ડમ્પિંગ યાર્ડ દૂર કરવા ઉગ્ર માગ ઉઠી ઠછે. કોંગ્રેસ અને સ્થાનિક વેપારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. : કોંગ્રેસનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા અહીં ડમ્પિંગ સાઇટ બનાવી, જેના કારણે સેક્ટર-7માં લોકો થયા પરેશાન થઈ રહ્યા છે. કચરાના કારણે વેપારીઓને, શાળાના વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડે છે. વારંવાર રજૂઆત બાદ પણ દૂર ડમ્પિંગ સાઇટ
દૂર નથી કરાઈ. આ મામલે કોંગ્રેસે જરૂર પડે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જુનાગઢમાં હાલ કચરાના ગંજ જામ્યા છે. જ્યા નજર કરો ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે. જુનાગડ મનપાના સત્તાધિશો સત્તાના નશામાં ચૂર થઈ ગયા હોય તેમ જનતાને કચરાના ઢગ વચ્ચે જીવવા મજબૂર કરી દીધા છે. શહીરજનો રસ્તે પડેલા કચરાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારીઓએ જુનાગઢ કોર્પોરેશન સામે આક્રોશ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે બધા જ ટેક્સ ભરીએ છીએ છતા અમારી હાલત કફોડી છે.
રાજ્યમાં હજુ 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 13 થી 16 સપ્ટેમ્બર ગાજવીજ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી 27% વધુ વરસાદ પડ્યો છે.
ઘાટકોપરના એલબીએસ રોડ પર મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો. બેરિકેડિંગ તોડીને, એક કાર ફૂટપાથ ઓળંગી ગઈ અને સીધી એક દુકાનની દિવાલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં બે છોકરીઓ અને એક યુવાન હાજર હતા અને તેઓ અકસ્માત સમયે નશામાં હતા. જોકે, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠાના અનેક ગામોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ બંધ થવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અને એટલે જ લોકોની મુશ્કેલી વધી છે. ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો… થરાદના ભોરલ ગામમાંથી સામે આવી રહ્યા છે. આ ગામના ચારણવાસ, મારવાડી વાસ તેમજ બ્રાહ્મણવાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ઘરની બહાર પણ અને ઘરની અંદર પણ પાણી જ પાણીની સ્થિતિ છે. સ્થાનિકોની એક જ માંગ છે કે હવે કંઈ નિકાલ આવે.
ગામની નજીક જ આવેલા તળાવને લીધે પાણી ન ઓસરી રહ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગામને જોડતા રસ્તાઓ પણ પાણીમાં ગરક હોઈ લોકોએ જરૂરી કામ માટે પણ ટ્રેક્ટરનો જ સહારો લેવો પડે છે. શાળઓમાં પણ પાણી ફરી વળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તો ભરાયેલા પાણીમાં હવે ભયાવહ દુર્ગંધ મારી રહી છે. જેને પગલે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે સત્વરે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો સ્થિતિ વણસી શકે છે.
ગોંડલ નેશનલ હાઇવે પર ભોજપરા ગામ પાસે રાતના સમયે આ બનાવ બન્યો હતો. યુવકનું અપહરણ કરીને ભાયાવદરના વડેખણ ગામ લઇ જઇને ગોંધી રાખવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવકની બહેન પિયરમાં હતી અને ત્યાંથી ગુમ થઇ જતા તેના સાસરીયા પક્ષના લોકોએ અપહરણ કર્યું હતું. હાલ, પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠામાં યુવતીની છેડતી અને મારામારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. યુવકે યુવતી પાસે બિભત્સ માગ કરી તમામ હદો વટાવી દીધી. જે બાદમાં યુવતીએ તેનો અનેકવાર વિરોધ કર્યો પરંતુ યુવક તેને મારતો જ રહ્યો. આ દરમિયાન ત્યાં હાજર એક શખ્સે આ ઘટના તેના કેમેેરામાં કેદ કરી. વીડિયો સામે આવતા મહિલા સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. સાથે જ વીડિયો બનાવનાર સામે પણ સવાલ ઉઠ્યા છે.
જમીન વિકાસ નિગમના નિવૃત મદદનીશ નિયામક વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના કેસમાં ACB એ તાપી વ્યારાના નિવૃત મદદનીશ નિયામક સંતોષ પારૂલકરની ધરપકડ કરી છે. ACBએ સંતોષ પરુલકરને અમદાવાદના ઘાટલોડિયામાંથી ધરપકડ કરી છે. આવક કરતાં 112% વધુ 2.35 કરોડની મિલકત મળી છે. નિવૃત અધિકારીએ સ્થાવર અને જંગમ મિલકત વસાવી હોવાનો આક્ષેપ કરાયો છે.
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરથી ઉઠાવી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં 2000ની સાલમા છેતરપીંડીના ગુન્હામાં નાસ્તો ફરતો હતો. ફરીયાદી માધાભાઈ મનજીભાઈ દેસાઇએ આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગાંગારામભાઈ મિસ્ત્રી રતનપુર સુરેન્દ્રનગર જિલ્લા વાળો ઓળખતો હોવાથી ફરિયાદીની મારુતિ ફ્રન્ટી કાર પોતાનો સામાન વાદઈએ લેવાનું કહી લઈ જતા આ કાર પાછી આપી નહિ કાર લઈ ફરાર થતા ફરીયાદીએ વિશ્વાસઘાતની અમરેલી રૂરલમાં જે તે સમયે 25 વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવી હતી.
જામનગરઃ ધ્રોલ પંથકમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર તંત્રએ કાર્યવાહી કરી છે. ક્રિષ્ના ટ્રેડિંગ પર ફૂડ શાખાના દરોડામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત થયો છે. ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂ.1.4 કરોડનો માલ જપ્ત કરાયો. ઘી અસલી છે કે ભેળસેળ યુક્ત એ જાણવા ફૂડ શાખાએ નમૂના લઇ લેબમાં મોકલ્યા. ભેળસેળ સામે આવશે તો ક્રિષ્ના ટ્રેડિંગના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે.
હિંસાના 2 વર્ષ બાદ મણિપુરમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. ચુરાચાંદપુરમાં ₹7 હજાર 300 કરોડની યોજનાઓની ભેટ આપી. મણિપુરમાં વડાપ્રધાન મોદીએ સૂચક નિવેદન આપ્યુ કે હું મણિપુરના નાગરિકો સાથે છું. ભારત સરકાર મણિપુરના નાગરિકો સાથે છે. મણિપુરમાં જનજીવન સામાન્ય કરવા કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. બેઘર પરિવારો માટે 7 હજાર નવા મકાનો બનાવાશે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી એક દંપતીના દુઃખદ મોતના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાની તપાસમાં વીજપોલના મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી સામે આવતા નારોલ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડી પાડવામાં આવેલા આરોપીઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બે કર્મચારી અને કોન્ટ્રાક્ટર એજન્સી નિશાંત એન્ટરપ્રાઈઝના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. નિશાંત એન્ટરપ્રાઈઝને વીજપોલના મેન્ટેનન્સની જવાબદારી સોપવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મેન્ટેનન્સના કામમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે દુર્ઘટનાની સ્થિતિ સર્જાઈ. પોલીસે તમામ પાંચ આરોપીઓ સામે બેદરકારીના આક્ષેપો હેઠળ ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં યુવતી સાથે છેડતીની ગંભીર ઘટના બની છે. માહિતી મુજબ, આરોપી યુવકે યુવતીની છેડતી કરી અને અશ્લીલ માગ કરી હતી. જ્યારે યુવતીએ આનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેને માર માર્યો હતો અને ઢોર જેવો અવ્યવહાર કર્યો હતો. ઘટના અંગે યુવતીના પરિવારજનોની અરજીના આધારે થરાદ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સહિત અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. હાલમાં થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે.
વલસાડના અબ્રામા રોડ પર નશામાં ધૂત કારચાલકે અફરાતફરી મચાવી હતી. ધરમપુર ચોકડીથી શરૂ થઈને વલસાડના ઓવરબ્રિજ સુધી કારચાલકે બેફામ રીતે કાર હંકારી. પહેલા તેણે રખડતા ઢોરને ટક્કર મારી, ત્યારબાદ રાહદારી અને વાહનચાલકોને પણ અડફેટે લીધા. ઘટનાના પગલે લોકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. નશામાં ધૂત કારચાલક ઘટના બાદ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડીને ધોલાઈ આપી અને ચખાડ્યો મેથીપાક. ત્યારબાદ માહિતી મળતાં વલસાડ સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારચાલકને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી.
સુરત જિલ્લાના માંગરોળ નજીક નેશનલ હાઈવે નં-48 પર અકસ્માતની ગંભીર ઘટના બની છે. અમદાવાદ-મુંબઈ હાઈવે પર કોસંબા નજીક બે ટેમ્પાઓ વચ્ચે અથડામણ થઈ. જાણકારી મુજબ, એક ટેમ્પો સ્ટિયરિંગ લોક થઈ જતા અચાનક રસ્તા પર ઉભો રહી ગયો હતો, જેના કારણે પાછળથી આવતો બીજો ટેમ્પો તેને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં એક ટેમ્પોની અંદર ડ્રાઈવર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને ક્રેન બોલાવીને ટેમ્પામાં ફસાયેલા ડ્રાઈવરનો રેસ્ક્યૂ કર્યો. ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા અનુભવાયા છે, રિકટ્ર સ્કેલ પર તીવ્રતા 7.7 નોંધાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપૂર્વ ભારતના ત્રણ રાજ્યો મિઝોરમ, મણિપુર અને અસમની મુલાકાતે છે. મણિપુરમાં ભડકેલી હિંસા બાદ PM મોદીની આ પ્રથમ મુલાકાત છે. તેઓ મણિપુરના ચુરાચાંદપુર અને ઈમ્ફાલ શહેરોમાં જઈને હિંસાના કારણે વિસ્થાપિત થયેલા લોકો સાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી આજના પ્રવાસ દરમિયાન કુલ ₹8,500 કરોડના 31 વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ દેશે. મણિપુરના ચુરાચાંદપુરમાં તેઓ ₹7,300 કરોડની વિવિધ યોજનાઓની જાહેરાત કરશે, જ્યારે ઈમ્ફાલમાં ₹1,200 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને મણિપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
વલસાડ નજીક નેશનલ હાઈવે 48 પર ડીઝલ ચોરી ઝડપાઈ છે. વલસાડના ડુંગરી નજીક શિવ શક્તિ હોટલ પરિસરમાં ડીઝલ ચોરી ચાલતી હતી. સ્થાનીક જિલ્લા પંચાયત સભ્ય દ્રારા પોલીસને જાણ કરતા ડુંગરી પોલીસે કાર્યવાહી કરી. મોટા પ્રમાણમાં ડીઝલ ભરેલું ટેન્કર કબજે કરવામાં આવ્યુ. ટેન્કરોના ચાલક અને ક્લીનરોની મિલીભગતથી કૌભાંડ ચાલતું હતું. ડુંગરી પોલીસે મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી.
અમદાવાદમાં જજીસ બંગલો પાસે આવેલા પ્રેમચંદ નગર સોસાયટીમાં બબાલ થઇ છે. પીજીને લઈને રહીશોએ વિરોધ કર્યો. બોપલ બાદ પ્રેમચંદનગર સોસાયટીનો વિવાદ આવ્યો. વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
આણંદ: અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના બની છે. બાયોગેસની લાઇન બલૂનમાં બ્લાસ્ટ થતા 5 લોકો દાઝ્યા.ETP પ્લાન્ટ પાસે વેલ્ડિંગનું કામ ચાલતું હતું. વેલ્ડિંગ દરમિયાન દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ઘટના અંગે અમૂલ ડેરી તરફથી સ્પષ્ટતા નથી કરાઇ.
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શુક્રવારે નવનિયુક્ત પ્રધાનમંત્રી સુશીલા કાર્કીની ભલામણ પર પ્રતિનિધિ ગૃહ (નેપાળી સંસદ) ભંગ કરી દીધી. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાત્રે 11 વાગ્યાથી ગૃહ ભંગ કરવામાં આવ્યું હતું. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ નવી સંસદીય ચૂંટણીઓ યોજવા માટે 21 માર્ચ, 2026 ની તારીખ નક્કી કરી છે. શુક્રવારે રાત્રે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે.
Published On - 7:31 am, Sat, 13 September 25