
આજે 11 જુલાઈને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર ખાનગી વોલ્વો બસ અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. વણકી ગામના પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં અંદાજે 10 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં આધારકાર્ડ કઢાવવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા એક મહિનામાં આધારકાર્ડમાં જન્મ પ્રમાણપત્ર નકલી મળ્યા હોવાની 8 ગુના નોંધાયા છે. વારસિયામાં 2, મકરપુરામાં 4, રાવપુરા 1 અને ફતેગંજમાં 1 ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન ઓલ ઇન વન ડિજિટલશોપમાંથી બનાવ્યું હતું નકલી જન્મ પ્રમાણપત્ર. દુકાનદાર પાસેથી મળેલી માહિતીના આધારે સૂત્રધાર સુધી પહોંચવામાં મળી હતી સફળતા. વેબસાઇટ પર લીંક દુકાનદારને આપવામાં આવતા હતા અને તેના આધારે બોગસ પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા હતા. સર્વેશ તિવારી એ 268 લોકોને આઇડી આપી રાખ્યા હતા, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હજુ પણ સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે, આગળ પણ દિલ્હીથી તપાસમાં જે સામે આવશે તેના આધારે વધુ આરોપીઓ પકડાય તેવી શક્યતાઓ છે.
ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના 1200 ન્યાયાધીશોને રૂપિયા એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે ૧૨૦૦ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. 80,000ની કિંમતના ટેબ્લેટ અને રૂ. 20,000ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2025-2026ના બજેટમાં રૂ. 15 કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.
ગંભીરા પૂલ અકસ્માત બાદ ભરૂચમાં જર્જરિત પૂલને ભારે વાહનો માટે બંધ કરાયો છે. ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ આખરે ભારે વાહનો માટે બંધ કરાયો છે. કલેકટર ગૌરાંગ મકવાણાએ બ્રિજનું નિરીક્ષણ કરી નિર્ણય લીધો. બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી તાત્કાલિક સમારકામ હાથ ધરાશે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. આ બ્રિજ અંગે ધારાસભ્ય ડી કે સ્વામી અને સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી હતી.
નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં બે યુવકો રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઇન ક્રોસ કરતા દુર્ઘટના બની હતી. અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસના ચાલકે મૃતદેહ જોતા નવસારી રેલવે સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની જાણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી સિવિલ હોસ્પિટલ પર મોટી સંખ્યામાં બનાસકાંઠા ખાતે રહેતા સમાજના અગ્રણીઓ ભેગા થયા છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવકોના મૃતદેહને એમના વતન મોકલવામાં આવશે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદના તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન થશે. અમદાવાદ જિલ્લામાં તમામ બ્રિજના ઈન્સ્પેક્શનના આદેશ અપાયા. અમદાવાદ કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા. R & B હસ્તકના 18, પંચાયત વિભાગ હસ્તકના 11 બ્રિજનું ઈન્સ્પેક્શન થશે. નેશનલ હાઇવે હસ્તકના 5 બ્રિજના પણ ઇન્સ્પેક્શનના આદેશ અપાયા છે. તાલુકા મુજબની ટીમ બનાવીને ઇન્સ્પેક્શન કામગીરી શરૂ થશે. નવો બ્રિજ બન્યા બાદ જૂના બ્રિજનો ઉપયોગ ન થાય તેની તકેદારી અંગે પણ સૂચના અપાઈ.
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક દર્દીનું મોત થયુ છે. દુર્ઘટના બાદ સારવાર લઈ રહેલા બોરસદના દર્દીનું મોત થયુ. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. બોરસદના નરેન્દ્ર પરમાર નામના વ્યક્તિનું મોત નીપજયું.
તબિયત લથડતા ICUમાં શિફ્ટ કરાયા હતા. ICUમાં 20 મિનિટની સારવાર બાદ મોત નીપજયું.
ગુજરાત કોંગ્રેસને ટૂંક સમયમાં મળશે નવા પ્રદેશ અધ્યક્ષ. હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ માટે પેનલ તૈયાર કરી. પ્રદેશ અધ્યક્ષ માટે 3 નામોની પેનલ તૈયાર કરી અમિત ચાવડા, ગેનીબેન અને લાલજી દેસાઇના નામ ચર્ચામાં છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે પણ નામ નક્કી થશે. વિધાનસભા માટે શૈલેષ પરમાર અને કિરીટ પટેલના નામ છે. ગઇકાલે રાહુલ ગાંધીની બેઠક બાદ નામ નક્કી કરાયા. તમામ નેતાઓ સાથે હાઇકમાન્ડે બેઠક કરીને પેનલ તૈયાર કરી.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યૂની કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. જે પછી મૃત્યુઆંક 20 થયો છે. કાદવની અંદર ખૂંપેલા મૃતદેહ હતા. મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે. કેમ કે મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે.
ભરૂચ: વાલિયાના કોંઢ ગામ નજીકથી મહિલાનો મૃતદેહ મળ્યો. મહિલાની હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ગળાના ભાગે હથિયારના ઘા માર્યા હોય તેવા નિશાન દેખાયા. પોલીસે મહિલાની ઓળખ સહિતની તપાસ શરૂ કરી.
સુરત: કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં ધીંગાણું ખેલાયુ છે. શહેરના પાસોદરા વિસ્તારની એક સોસાયટીનો બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં કાર પાર્ક કરવા મુદ્દે બબાલ થઈ હતી. બબાલ બાદ મહિલા અને પુરુષોએ સોસાયટીમાં તોફાન મચાવ્યું. બેફામ શખ્સોએ કારના કાચ તોડી મારામારી કરી. પથ્થર, લાકડાના ફટકા અને બેટથી માર માર્યો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ.
વલસાડ રેલવે સ્ટેશન પર કુલીએ 9 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા. બાળકી વેટિંગ રૂમના બાથરૂમમાં જતા ઘટના બની. લોભામણી લાલચ આપી કુલીએ બાળકી સાથે છેડતી કરી,. સજાગ બાળકી દોડીને બહાર આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી કુલીની ધરપકડ કરી.
અમદાવાદ: વૈષ્ણોદેવી પાસે હિલલોક હોટેલ નજીક હત્યા થઇ છે. અંગત અદાવતમાં 45 વર્ષીય વ્યક્તિની હત્યા કરાઈ. અનૈતિક સંબંધને લઈ ઝઘડો ચાલતો હોવાની માહિતી છે. પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી. જેનું મૃત્યુ થયુ તે વ્યક્તિ સેટેલાઈટના રામદેવનગરમાં રહેતા હતા.
અમરનાથ યાત્રાના આઠમા દિવસે 17,022 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા હતા. અત્યાર સુધીમાં 1.45 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી છે. પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી. તે 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કેનેડાથી આયાત થતા માલ પર 35 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
અમદાવાદ:ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એમ.ડી ડ્રગ્સ અને બ્રાઉન હેરોઈનના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી. રામોલ પોલીસે કુલ 11.35 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું. CTM પાસે પોલીસે બસમાંથી આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપ્યો. આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહીબિશનના છ ગુના નોંધાઈ ચૂક્યા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. માર્ગ મકાન વિભાગના ચાર ઇજનેરો પર તવાઇ બોલાવવામાં આવી છે. રાજ્ય સરકારે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ કરાયા. એક મદદનીશ ઇજનેરને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા.
Published On - 7:20 am, Fri, 11 July 25