
આજે 11 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
બનાસકાંઠામાં થરાદની મુખ્ય કેનાલમાં બે પુત્રો સાથે મહિલાએ લગાવી મોતની છલાંગ. મુખ્ય કેનાલ પર મહાજનપુરા અને જમડાને જોડતા પુલ નજીક ઘટના બનવા પામી હતી. થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને સ્થાનિકો દ્વારા જાણ કરાતા નગરપાલિકાના કર્મચારીઓ પહોંચ્યા ઘટના. મહીલા પોતાનાં બે બાળકો સાથે કેનાલમા મોતની છલાંગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો કેનાલમાંથી. થરાદ નગરપાલિકાના ટીમ બન્ને બાળકોને શોધી રહી છે. મહીલાએ બે પુત્રો સાથે કેનાલમાં કેમ ઝંપલાવ્યું તેનુ કારણ અકબંધ રહેવા પામ્યુ છે. પુત્રો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવનાર મહિલા થરાદની હોવાનું સામે આવ્યું છે.
મોરબીના વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક અગમ્ય કારણોસર ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકના પાછળના ટાયરમાં લાગેલી આગ સમગ્ર ટ્રકમાં પ્રસરી જતા ટ્રક અને તેમાં રહેલો માલ બળીને ખાક થઈ જવા પામ્યો હતો. સેનેટરી વેરનો માલ ભરીને જતા ટ્રકમાં આગ લાગતા વાહન અને માલ બળીને ખાક થયા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો.
મહેસાણામાંથી એલસીબીએ જૂની 16 લાખની ચલણી નોટો ઝડપી પાડી છે. હાલમાં ચલણમાં નથી એવી ચલણી નોટોનો જથ્થો ઝડપાયો છે. સતલાસણા-અંબાજી હાઇવે ઉપર થી જૂની ચલણી નોટો ઝડપાઇ છે. આશિષ ઠાકોર નામનો ઈસમ જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે ઝડપાયો છે. એલસીબીને ખાનગી રાહે બાતમી મળતા યુવાનને ઝડપી પાડ્યો છે. જૂની રૂપિયા 500 અને 1000 ના દર ની 2,085 ચલણી નોટો ઝડપાઇ હતી. કુલ રૂપિયા 16,35,500 ની જૂની ચલણી નોટો મળી આવી છે. કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના બે ઈસમો ફરાર થઈ ગયા છે.
અમદાવાદના વટવામાં 28 લાખની ચોરી થવા પામી છે. પરિવાર રક્ષાબંધન પર્વ ઉજવવા વતનમાં ગયો હતો તે દરમિયાન ચોરી થવા પામી હતી. બાથરૂમનો કાચ તોડી તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા. 20 લાખ રોકડ અને 8 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદમાં પાટીદાર સંસ્થાના અગ્રણી આર પી પટેલના વિવાદાસ્પદ નિવેદન પર પાટીદાર મહિલા અગ્રણી ગીતાબેન પટેલે પ્રત્યુતર આપ્યો છે. રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો એવુ ક્યારેય ના થાય. આર પી પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું હોય. ગામડામાં રહેતા અને ત્રણથી ચાર વિઘા જમીન ધરાવતા પરિવારને ચાર બાળકો કઇ રીતે પોષાય તેવો પ્રશ્ન તેમણે કર્યો છે.
આર પી પટેલને સરકાર તરફથી ડર છે કે રાજકીય તાકાત ઘટશે, રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો એવુ ક્યારેય ના થાય. આપણે બિન અનામત આયોગના ચેરમેન નથી બનાવી શક્યા તેની ચિંતા કરવાની જરૂર છે. સમાજમાં દિકરા-દિકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી છે. ત્રણ થી ચાર બાળકો પેદા કરવા એ મંચ પરથી બોલવું સહેલું છે. તમે એ મહિલાનો વિચાર કર્યો છે કે તે ચાર સંતાનને કઇ રીતે જન્મ આપશે ? આજથી 20 વર્ષ બાદ અભ્યાસ, રોજગાર અને બીજા ખર્ચા કેટલા હશે તે કલ્પના મુશ્કેલ.
તાલાલામાં ગુમ થયેલા ખેડૂતનો હિરણ નદીમાંથી મગરે ફાડી ખાધેલો અર્ધ મૃતદેહ મળ્યો છે. બે દિવસથી ગુમ ખેડૂતનો મૃતદેહ હિરણ નદીમાંથી મગરે ફાડી ખાધેલો અર્ધ મૃતદેહ મળી આવ્યો છે. તાલાલા તાલુકાના ખીરધાર ગીર ગામના 55 વર્ષીય ખેડૂત મેરામણભાઇ ગોવિંદભાઈ માલમનો અર્ધ ખવાયેલો મૃતદેહ હિરણ નદીમાંથી મળી આવ્યો છે. મેરામણભાઈ બે દિવસ પહેલા પોતાની વાડીએ ગયા બાદ ઘરે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોને નદી કિનારેથી તેમની લાકડી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ડિઝાસ્ટર અને ફાયર બ્રિગેડની મદદથી નદીમાં શોધખોળ શરૂ કરી હતી. આંબાકૂઈ વિસ્તારમાં હિરણ નદીમાં નદીના સૂરજવેકરી વિસ્તારમાં સ્થાનિક ખેડૂતોએ બે મગર જોયા હતા. તેમણે પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડની મદદથી તે વિસ્તારમાં તપાસ કરાવતા ખેડૂતનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
અમદાવાદના કાંકરિયાની દીવાન બલ્લુભાઈ શાળાના શિક્ષકો હડતાલ પર ઉતર્યા છે. હડતાલ શિક્ષકોની પરંતુ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. વિદ્યાર્થીઓનું આજનું શૈક્ષણિક કાર્ય બગડ્યું છે. પગાર ઇજફાને લઈને શિક્ષકો હડતાલ પર ઉતર્યા હોવાનું સામે આવી રહ્યું છે. શાળામાં આજે ભણાવનાર કોઈ શિક્ષક નહોતા. શિક્ષકો હડતાળ પર જતા વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શાળામાં બેસાડી રાખવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ મોકલી છે. આટલી મોટી ઘટના ઘટી છતાં DEO ને કેમ જાણ ના કરાઈ, અગાઉ શિક્ષકોએ રજૂઆત કરી હતી તો શાળાએ ડીઓને જાણ કેમ ન કરી તે અંગે નોટીસ પાઠવી છે.
અમદાવાદથી દિલ્હી જનાર વિસ્તારાની ફ્લાઈટ, કોઈ ટેક્નિકલ ખામીના કારણોસર અમદાવાદથી દિલ્હી એરપોર્ટ માટે ટેક ઓફ થઇ શકી નહતી. બપોરના 1.10 કલાકની ફ્લાઈટ હવે રિશિડ્યુલ કરીને સાંજે 6 વાગે અમદાવાદથી દિલ્હી એરપોર્ટ માટે રવાના થશે. વિસ્તારાની ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યાં છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિને તેના ટુવ્હીલર માટે ત્રણ-ત્રણ ઓનલાઈન મેમો મળ્યા, જ્યારે ટુવ્હીલર આખો સમય ઘરે જ હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મેમોમાં દર્શાવાયેલ ટુવ્હીલર અન્ય કોઈનું છે, પરંતુ બંને વાહનોના નંબર એક સરખા છે. ફરિયાદી તરફથી વાહનના નંબરના દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદ પછી પણ સુરત પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ નિકાલ કરવામાં આવ્યો નથી.
સુરતના રાંદેર વિસ્તારમાં બાંધકામ સાઇટ પર અકસ્માત સર્જાયો હતો, જ્યાં ત્રીજા માળેથી નીચે પટકાતા એક શ્રમિકનું મોત થયું. હરી મોહન નામના શખ્સ સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નીચે પટકાતા તેમનું અવસાન થયું. ઘટના રાંદેર વિસ્તારમાં બાંબાગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન બની હતી. સ્થળ પર કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. તેઓએ આ પણ જણાવ્યું કે જો કોન્ટ્રાક્ટરએ તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હોત, તો હરી મોહનની જાણ બચી શકી હોત.
ઉત્તરાખંડના ધરાલી વિસ્તારમાં થયેલી દુર્ઘટનાને સાત દિવસ વીતી ગયા છે, અને ત્યાં રાહત અને બચાવ કામગીરી યથાવત ચાલુ છે. અત્યાર સુધીમાં સેના, ITBP, SDRF અને NDRF દ્વારા મળીને અંદાજે 1200 લોકોનું સફળ રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દુર્ઘટનાસ્થળે હજુ પણ કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. સેનાના જવાનો ડૉગ સ્કવૉડની મદદથી સતત તત્પરતા સાથે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે, જેથી કોઈ વ્યક્તિ કાટમાળમાં અટવાઈ ન રહી જાય તેની ખાતરી કરી શકાય.
વિપક્ષ ચૂંટણી પંચ પર ગેરરીતિઓના ગંભીર આરોપો લગાવી રહ્યું છે. મત ચોરીના મામલાને લઈને આ દિવસોમાં દેશમાં રાજકીય તાપમાન ખૂબ જ ગરમ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. દરમિયાન, સોમવારે સંસદથી ચૂંટણી પંચ ભવન સુધી વિપક્ષની કૂચ નક્કી કરવામાં આવી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી. પોલીસે વિપક્ષી સાંસદોની કૂચ અટકાવી દીધી અને રાહુલ ગાંધી સહિત ઘણા સાંસદોની અટકાયત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના જાફરબાદ તાલુકાના લુણસાપુર ગામમાં આવેલ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં મોડી રાતે તસ્કરો હથિયારો સાથે ત્રાટક્યા હતા અને આઠ મકાનોના તાળા તોડી ચોરીની ઘટના અંજામ આપી હતી. તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 11 લાખથી વધુની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા. ઘટના અંગે સિન્ટેક્સ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના અંગે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને ચોર ગેંગને પકડવા સર્વેલન્સ સ્કોર્ડની વિશેષ ટીમો તૈનાત કરી છે.
ઈન્ડિયા એલાયન્સના નેતાઓ દિલ્હીમાં સંસદ ભવનના મકર દ્વાર ખાતે એકઠા થયા છે. ઈન્ડિયા બ્લોકના નેતાઓ બિહારમાં મતદાન થનારા રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન “મતદાર છેતરપિંડી”ના આરોપોનો વિરોધ કરવા માટે સંસદ ભવનથી ભારતીય ચૂંટણી પંચ સુધી કૂચ કાઢવા જઈ રહ્યા છે.
બિહાર ચૂંટણી પહેલા રાજ્યના 6 નેતાઓની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તેજસ્વી યાદવ, સમ્રાટ ચૌધરી અને પપ્પુ યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાજપના સાંસદ પ્રદીપ કુમાર, જેડીયુ એમએલસી નીરજ કુમાર, ભાજપના ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર જ્ઞાનુની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ઝેડ પ્લસ આપવામાં આવ્યું છે, જ્યારે તેજસ્વી યાદવને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. પપ્પુ યાદવ, પ્રદીપ કુમાર, જ્ઞાનેન્દ્રને વાય પ્લસ આપવામાં આવ્યું છે, જ્યારે નીરજને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી છે. જૈન દેરાસરમાં રાત્રીના સમયે બે શખ્સોએ પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ દેરાસરની નકશીકામ કરેલી માર્બલની જાળી તોડીને પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને પછી દાનપેટી અને ભગવાનની મૂર્તિ પર રહેલા આભૂષણની ચોરી કરી હતી..ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં બે શખ્સ ચોરી કરતા નજરે પડે છે. બે દાનપેટી અને મૂર્તિ પર રહેલા ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કર ફરાર થયા હતા. ચોરીની ઘટના બાદ પોલીસ સ્થળ પર તપાસ કરી હતી અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓની લંપટ કામગીરીને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરતાં ધારાસભ્ય અને કોર્પોરેટરોનો ઘેરાવ કર્યો. સ્થાનિકોની સમસ્યાઓ સાંભળવા આવેલા MLA અને કોર્પોરેટરોને લોકોના કડક વિરોધનો સામનો કરવો પડ્યો. લોકોએ રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવ અંગે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટરો ફોન નહીં ઉઠાવતા હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ લગાવ્યા હતા. ઘટના દરમિયાન કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતાં માહોલ વધુ ગરમાઈ ગયો.
મહારાષ્ટ્ર: પાલઘરમાં ટ્રાફિક જામમાં ફસાયેલી એમ્બ્યુલન્સમાં મહિલાનું મોત થયુ છે. હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામમાં ફસાઈ હતી. મહિલાને સમયસર સારવાર ન મળતા મોત થયું છે. ઝાડની ડાળી પડતા મહિલાને પહોંચી ગંભીર ઈજા હતી. પાલઘરમાં ટ્રોમા સેન્ટર ન હોવાથી સારવાર માટે મુંબઈ રિફર કરાઈ હતી.
સુરત ડાયમંડ બુર્સ ખાતેના કસ્ટમ હાઉસમાં હીરાના વેપારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કમિટીના સભ્યોના પ્રયાસો અને વેપારીઓના સહયોગથી આયાત-નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. એક વર્ષમાં ડાયમંડ બુર્સ ખાતેના કસ્ટમ હાઉસમાં રૂપિયા 25 હજાર 440 કરોડની કિંમતના 2.48 કરોડ કેરેટ હીરા આયાત કરવામાં આવ્યા છે.નીકાસની વાત કરીએ તો..₹671 કરોડના 10.46 લાખ કેરેટ હીરાની નિકાસ થઈ છે. એક વર્ષમાં કુલ ₹26 હજાર 111 કરોડના મૂલ્યના 2,994 પાર્સલની આયાત-નિકાસ થઈ છે.
આજે INDIA ગઠબંધનના સાંસદો રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ કરશે. બિહારમાં મતદાન યાદી સુધારાણાના વિરોધમાં વિપક્ષ આ રેલી યોજશે. વિપક્ષના સાંસદો એક કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચશે.જો કે વિપક્ષની આ રેલીને હજુ સુધી પોલીસ તરફથી મંજૂરી નથી મળી.
વડોદરાની નામાંકિત હોટલમાં શાકાહારી ગ્રાહકને નોન-વેજ પીરસવામાં આવતા ભારે હોબાળો થયો હતો. ગ્રાહક પોતાના પરિવાર સાથે હયાત હોટલમાં ભોજન માટે આવ્યો હતો. ગ્રાહકે શાકાહારી ભોજન માટે ઓર્ડર કર્યો હતો. પરંતુ ગ્રાહકનો આક્ષેપ છે કે હોટલે તેમને નોન-વેજ ભોજન પીરસી દીધું. શાકાહારી વ્યક્તિને નોન-વેજ પિરસ્યા બાદ હોટલ મેનેજરે ભૂલથી આવું થયાનું કહ્યું હતું. તો બીજી તરફ ગ્રાહકે પોલીસને જાણ કરીને બોલાવી હતી. જો કે પોલીસે ગ્રાહકને ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા સૂચન આપ્યું હતું. ગ્રાહક હવે હોટલ સામે ગ્રાહક સુરક્ષા આયોગનો સંપર્ક કર્યો છે.
અમદાવાદમાં વહેલી સવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે આ ઘટના બની છે. કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો છે. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં નકલી પનીરની ફેક્ટરીમાં કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ પર હુમલો કરનાર ફેક્ટરી માલિક દિનેશ પટેલને LCB દ્વારા ગાંધીનગરથી ઝડપી લેવામાં આવ્યો છે. દિનેશ પટેલે વિજાપુર ખાતે આવેલી નકલી પનીર બનાવતી ફેક્ટરીમાં મીડિયા સંસ્થાના પ્રતિનિધિઓ પર હુમલો કર્યો હતો અને પછી ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને અંતે ગોપનિય માહિતીના આધારે દિનેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો. આ ઘટનાથી ફરી એકવાર નકલી ખોરાક ઉત્પાદનો સામે અને મીડિયાકર્મીઓની સલામતી મુદ્દે ચર્ચા ઉદભવી છે.
ગાંધીનગર જિલ્લાના નંદાસણ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યારે શાકભાજી અને સામાન ભરેલી પિકઅપ વાનનું ટાયર રોડના ખાડામાં પડી જતા ફાટી ગયું. ટાયર ફાટતા વાહન અચાનક ઉંધું વળી ગયું. ઘટનાની જાણ ટોલ રોડ એમ્બ્યુલન્સને થતાં જ એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ડ્રાઈવરને તાત્કાલિક સારવાર આપી, સાથે સાથે ટ્રાફિક પણ ક્લિયર કરવામાં આવ્યો.આ અકસ્માત અમદાવાદ–મહેસાણા હાઈવે પર બન્યો હતો, જ્યાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. રસ્તાની હાલત નબળી છે અને લોકોમાં આ હાઈવે “મગરની પીઠ” જેવી બની ગયો છે તેવી ટિપ્પણીઓ થઇ રહી છે. જોકે GRICL કંપની દ્વારા માર્ગ મરામતના દાવા કરવામાં આવે છે, પરંતુ કામગીરી ફક્ત કાગળ ઉપર રહી ગઈ હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે.
રવિવારે સાંજે તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 પર ઉપલબ્ધ માહિતી અનુસાર, એરબસ A320 વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ નંબર AI2455 બે કલાકથી વધુ સમય માટે હવામાં હતી. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમથી દિલ્હી જતી AI2455 ના ક્રૂએ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાઓ અને રૂટ પર ખરાબ હવામાનને કારણે સાવચેતી તરીકે વિમાનને ચેન્નાઈ ડાયવર્ટ કર્યું હતું.
તુર્કીમાં 6.1 ની તીવ્રતાવાળા ભૂકંપ પછી, અત્યાર સુધીમાં 3.0 થી વધુ તીવ્રતાના કુલ 7 આંચકા આવ્યા છે. શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે AFAD પ્રાંતીય નિર્દેશાલયો – કંકલા, ઇઝમીર, અફ્યોનકારાહિસાર, ઉસાક, બુર્સા, સાકાર્યા, કુતાહ્યા, બિલેસિક, મનીસા અને કોકેલીમાંથી કર્મચારીઓ અને વાહનો મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
Published On - 7:27 am, Mon, 11 August 25