આજે 10 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની બેઠકને સંબોધતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય. કયુ રાજ્ય ટ્રીલીયન ઈકોનોમી બને છે. કયુ ક્ષેત્ર રોજગાર ક્ષેત્રે આગળ વધે છે. ભારતની પ્રગતિ રાજ્યોની પ્રગતિથી જ થશે. રાજનીતિની સ્પર્ધા કરતા વિકાસની વાત થાય તે જરૂરી છે.
વડાપ્રધાન પદે સૌથી લાંબો કાર્યકાળનો વિક્રમ રચ્યાના પ્રસંગે એનડીએની યોજાયેલ બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ઓછામાં ઓછા સમયમાં ટેકનોલોજીનો વિકાસ કરી શકે છે. જે યુપીઆઈના માધ્યમથી આપણે પુરવાર કરી ચૂક્યા છીએ. આવનારા સમયમાં બે સેકટરમાં ભારતનુ સામાર્થ્ય જોશે. ટુરીઝમ અને સ્પોર્ટસ આ બન્ને ક્ષેત્ર ભારત મોખરાનું સ્થાન હશે. રમતગમત ક્ષેત્રે ભારતીયો તેમની તાકાત બતાવી રહ્યાં છે. આવનારા વર્ષોમાં આપણી ખ્યાતિ વધુ મજબૂત થશે. નાનુ નથી વિચારવું. લક્ષ્ય મોટુ રાખવું છે. રિફોર્મ સેકટર પર આગળ વધી રહ્યું છે. દેશવાસીઓની સહભાગીતા આપણી મોટી તાકાત છે. દેશનો જે કોઈ સહયોગ માગ્યો દેશે દિલ ખોલીને સાથ આપ્યો. ડિજિટલ પેમેન્ટ માટે વાત કરી તો રિયલ ટાઈમ પેમેન્ટમાં વિશ્વામાં સૌથી પ્રથમ ક્રમાકે છે.
દેશ હિતમાં નિર્ણયો તેજ ગતિએ લેવાશે. વિતેલા 12 વર્ષમાં દેશે જે હાંસલ કર્યું છે તે દુનિયા જોઈ રહી છે. હવે દ્રષ્ટિ આગળની રાખવાની છે. બેન્ચ માર્ક એ હોવો જોઈએ કે વિતેલા 12 વર્ષમાં જે ગતિ રહી છે તે કેવી રીતે વધારી શકાય. ગ્લોબલ હિતમાં ભારતની ભાગીદારી વધી રહી છે. ગ્લોબલ થવુ પડશે. દુનિયા ભારતથી સમાધાન શોધી રહ્યું છે. આપણે એ અપેક્ષાને સાચી ઠેરવવી છે. આ જ સમય છે સાચો સમય છે.
અમારા માટે દલથી મોટુ હોય તો દેશ છે. નેશન ફર્સ્ટ હોય તો કોઈ પણ નિર્ણય કઠીન નથી હોતો. પહેલા સરકાર 370ની વાત કરતા ડરતી હતી અમે તેને નાબૂદ કરી. નોર્થ ઈસ્ટમાં બોંબ બંદુકની વાતો થતી. અમે શાંતિ સ્થાપી. આતંકવાદી પર એર સ્ટ્રાઈક કરી. સર્જીકલ સ્ટ્રાઈક કરી. ઓપરેશન સિંદૂરે ભારતની તાકાત વિશ્વે નીહાળી. દેશમાં નકસલવાદ માઓવાદ નાબૂદ કરીને દેખાડ્યો છે.
એનડીએની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિશ્વના મોટા મોટા દેશની અર્થતંત્ર લથડી ગયું છે. ભારતે 7.7 ટકાના દરે વિકાસ હાંસલ કર્યો છે. આ સફળતા આસાન નથી. તેજ ગતીએ આગળ વધતુ અર્થતંત્ર બની ગયુ છે.
ભારત મંડપમ ખાતે NDA ની બેઠક યોજાઈ હતી. આ બેઠકના વિરામ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના હાથે બનેલ ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો. NDA ની બેઠક દરમિયાન, અમિત શાહ, રક્ષાપ્રધાન સહિત એનડીએના નેતાઓએ જાલમુરીના નાસ્તાનો આસ્વાદ માણ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમના સોશિયલ મીડિયા ઉપર જાલમુરીના ફોટા પણ શેર કર્યા છે.
આણંદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ થઈ છે. મહિલા પોલીસ સ્ટેશનની ASI ગીતા દોઠા લાંચ લેતા ઝડપાઈ છે. મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન ગરાસીયા પણ ઝડપાઈ છે. રૂ. 1.10 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા. ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ના લેવા માટે લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિવારને હેરાન ના કરવા બદલ પણ લાંચની માંગણી કરાઈ હતી. આણંદ રેલવે ગોદી વિસ્તારમાં ACBએ છટકું ગોઠવ્યું હતું. બંને મહિલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ACBની ટીમે ગોઠવ્યું હતું સફળ ઓપરેશન. 24 કલાકમાં આણંદ જિલ્લામાં ACBની બીજી ટ્રેપ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરાઈ છે. લાંચ કાંડથી મહિલા પોલીસ સ્ટેશન ચર્ચામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન સામે છોટાઉદેપુર વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જંગલ જમીનમાં કરાતા બિનઅધિકૃત ખનન ઉપર વન વિભાગની મોટી રેડ પાડી છે. ડોલોમાઇટ પથ્થર ભરેલ એક ટ્રક , બે હિટાચી મશીન સહિત બે કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત કર્યો છે. જંગલ જમીનના 60 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં કરાતું હતું ડોલોમાઇટ પથ્થરનું ગેરકાયદેસર ખનન. થોડા દિવસ અગાઉ ગેરકાયદેસર પથ્થર વહન કરતી ટ્રકની અડફેટે બાઈક સવાર બે લોકોના મોત થતા વન વિભાગ આવ્યું હરકતમાં. વન વિભાગની કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદના ખાડિયામાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર વિરુદ્ધ બે ગુનો નોંધાયા. મોન્ટુ સહિત 3 વ્યક્તિઓએ ખાડિયા વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો. આરોપી મોન્ટુ નામદાર ફર્લો રજા પરથી ખાડિયા આવીને રોડ પર ફટાકડા ફોડીને આતંક મચાવ્યો હતો. પોલીસ કંટ્રોલ મેસેજ મળતા જ પોલીસ પહોંચી હતી. ખાડિયા પોલીસ મોન્ટુને પકડવા ગઈ હતી, પોલીસને જોઈ ભાગવા જતા આરોપી મોન્ટુ નામદાર ધાબા પરથી પટકાયો હતો.
આરોપીના પગમાં ફ્રેકચર થતા ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ. દારૂના નશામાં હોવાનું સામે આવતા ખાડિયા પોલીસે મોન્ટુ નામદાર સામે અલગથી પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો. મર્ડરના ગુનામાં સાક્ષીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. મર્ડરના ગુનામાં ફર્લો રજા પર બહાર આવ્યો હતો આરોપી મોન્ટુ. ફર્લો રદ થાય તે માટે ખાડિયા પોલીસે કરી કાર્યવાહી. મોન્ટુ સામે અત્યાર સુધી 9 અલગ અલગ ગુના નોંધાયેલા છે. હત્યા, છેતરપિંડી, ખોટા દસ્તાવેજના ગુના, જાનથી મારી નાખવાની ધમકી, પ્રોહીબિશન, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો ગુનો નોંધાયેલા છે. આરોપી મોન્ટુ નામદાર હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેની બે કેસમાં ધરપકડ કરવામાં આવશે. ખાડિયા પોલીસે વધુ તપાસ શરૂ કરી..
સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે કમાલપુર નજીકથી બાઈક ચોરને ઝડપ્યા. 16 જેટલા બાઈક ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાની બાઈક ચોરીના ભેદ ઉકેલાયા. જાદર વિસ્તારમાં મંદિરમાંથી ચાંદીના છત્ર ચોરી કરવાનો ભેદ પણ ઉકેલાયો. પ્રાંતિજ પોલીસે બાઈક અને મંદીર ચોરીના ભેદ ઉકેલ્યો. પ્રાંતિજ પોલીસે કમાલપુર નજીકથી બે આરોપીઓની ધરપકડ કરી. વધુ બે આરોપીઓ શોધવા પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં પાલતુ શ્વાને માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. લાડ સોસાયટીમાં ‘રૉટવીલર’ જાતિના કૂતરાએ 9 વર્ષના બાળક પર હુમલો કર્યો. શ્વાન માલિક દ્વારા કૂતરાને કોઈ પણ સુરક્ષા કે સાવચેતી વગર જાહેરમાં રેઢું મૂકી દેવાતાં બની ઘટના. શ્વાને હુમલો કરતાં બાળકને માથાના ભાગે અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. શ્વાન માલિક અલ્પાબેન ઉર્ફે અંજલીબેન રાજપૂત સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ખાણ- ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. બાવળા-બગોદરા હાઈવે પર કેરાળા નજીક ગેરકાયદે માટીનું પરિવહન થતું હોવાનું સામે આવતા કાર્યવાહી કરાઈ છે. માટી ભરેલા 4 ડમ્પર ખાણ અને ખનીજ વિભાગે ઝડપી પાડ્યા છે. રોયલ્ટી અને જરૂરી દસ્તાવેજોની તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતા ડમ્પરો સીઝ કરાયા છે. ખાણ અને ખનીજ વિભાગે તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહીને પગલે ગેરકાયદેસર ખનન અને પરિવહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ પ્રધાન જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રમણ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.
કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2,000 કિલો (100 મણ) હતી, તેને વધારીને હવે 3500 કિલો (175 મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.
આ જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1500 કિલો (75 મણ)થી વધારીને હવે 2500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1,000 કિલો (50 મણ)થી વધારીને ખેડૂત દીઠ 1700 કિલો (85 મણ) કરી છે. આમ, રાજ્ય સરકારે બાજરીમાં 1500 કિલો (75 મણ), મકાઈમાં 1000 કિલો (50 મણ) તેમજ જુવારમાં 700 કિલો (35 મણ)નો વધારો કર્યો છે.
અમદાવાદના વિશાલાથી શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા ઝૂંપડાઓમાં લાગી આગ. ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોચી. ફાયરનાં અધિકારીઓ સહિતની ટીમનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ વિસ્તારમાં આશરે 200 જેટલા ઝુંપડાઓ આવેલા છે.
ખેડૂતોના અધિકારો માટે ગુજરાતમાં કોંગ્રેસ 15 જૂને ટ્રેક્ટર યાત્રા યોજશે. અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજાશે. કોંગ્રેસની પોલિટિકલ અફેર કમિટી અને કિસાન કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 15 જૂને તમામ જિલ્લામાંથી 1111 ખેડૂતો સાથે ગાંધીનગર પહોંચવાનો દાવો કરાયો છે. જાણી જોઈને ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ રહી છે. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને જશે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક રૉટવીલર શ્વાને 9 વર્ષના બાળક પર હુમલો કરતાં બાળકને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. શ્વાનને સાવચેતી વગર જાહેરમાં છૂટ્ટો મૂકવામાં આવ્યો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે શ્વાન માલિક અંજલિ રાજપૂત સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મોરબીમાં વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા જેતસર ગામથી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ‘જય જવાન-જય કિસાન’ના નારાઓ સાથે ખેડૂતો પોતાની માંગણીઓને લઈને આગળ વધ્યા હતા. આ ટ્રેક્ટર રેલી મોરબી કલેક્ટર કચેરી સુધી પહોંચશે, જ્યાં ખેડૂતો પોતાની રજૂઆત કરશે. ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીઓ મનમાની અને દાદાગીરી કરી રહી છે તેમજ યોગ્ય વળતર ચૂકવવામાં આવી રહ્યું નથી. સમગ્ર મામલે ખેડૂતો દ્વારા ન્યાયની માંગ ઉઠાવવામાં આવી છે.
કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપતા રાજ્યને મોટી ભેટ આપી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી 6.032 કિલોમીટર લાંબો નવો મેટ્રો રૂટ વિકસાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે 2,169 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નવા રૂટના નિર્માણથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો નેટવર્ક વધુ મજબૂત બનશે અને બંને શહેરોને જોડતો કુલ 77.63 કિલોમીટરનો મેટ્રો રૂટ તૈયાર થશે. આ પ્રોજેક્ટથી મુસાફરોને વધુ સુવિધા મળશે તેમજ એરપોર્ટ સુધીની કનેક્ટિવિટી પણ સરળ બનશે.
વડોદરામાં ચોમાસાની શરૂઆત પહેલા જ મુખ્ય માર્ગો પર ભૂવા પડવાની સમસ્યા ફરી સામે આવી છે. શહેરની ચેપી રોગ હોસ્પિટલની બહાર અચાનક ભૂવો પડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે ભૂવા આસપાસ બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું. ચોમાસા પહેલા જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થતાં શહેરના રોડની ગુણવત્તા અને પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
પોરબંદરના માધવપુર ગામમાં દેશી દારૂના વેચાણથી કંટાળેલી મહિલાઓએ જાતે જ જનતા રેડ કરી હતી. જાહેરમાં દેશી દારૂની પોટલી વેચતા એક શખ્સને મહિલાઓએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. માધવપુર પંથકમાં બુટલેગરો બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓ રણચંડી બની હતી. પોલીસ દારૂના ધંધાર્થીઓ સામે અસરકારક કાર્યવાહી કરતી નથી તેવા આરોપો પણ મહિલાઓએ લગાવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સામે મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અંતે મહિલાઓએ દારૂ વેચનારા શખ્સને પોલીસને હવાલે કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુ માટીયાની આશરે 7 કરોડ રૂપિયાની 9 વિઘા જમીન ખાલસા કરવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. નવી શરતની આ જમીન પૂર્વ મંજૂરી અને પ્રીમિયમ ભર્યા વગર વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે. બાબુ માટીયાએ પોતાની ભૂલ સ્વીકારી છે અને સરકાર જે કાર્યવાહી કરશે તે સ્વીકારવાની તૈયારી દર્શાવી છે.
મુંબઈ અને પુણે મહાનગરપાલિકાઓને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અજાણ્યા વ્યક્તિએ ઈમેલ મારફતે મેયરોને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. ઈમેલ મળ્યા બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ સંબંધિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ધમકીભર્યા ઈમેલમાં હિંદુઓને પોતાના બાળકોને બચાવવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસ વિભાગે ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા અને ધમકી પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ સુશાસન બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું કે મોદીના નેતૃત્વ હેઠળ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ગિફ્ટ સિટી, ધોલેરા SIR, બુલેટ ટ્રેન અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સથી ગુજરાતને વિકાસની નવી ગતિ મળી છે. સાથે જ આયુષ્માન ભારત, ઉજ્જ્વલા, PM આવાસ અને જલ જીવન મિશન જેવી યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
વલસાડ: ઉમરગામમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ઉમરગામ અને આસપાસનાં વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જોરદાર પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશન ઓફિસમાં બપોરે 3:11 વાગ્યે, મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં 1:11 વાગ્યે અને આરએસએસ કાર્યાલયમાં સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેઇલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંબંધિત સ્થળોએ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે અગાઉ પણ 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઇલ મળી ચૂક્યા છે. તાજેતરમાં આરએસએસ કાર્યાલયને નિશાન બનાવી બ્લાસ્ટ કરવાની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને ઈમેઇલ મોકલનારની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ જવાને સમયસૂચકતા અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને એક યુવકનો જીવ બચાવ્યો. ઝેરી દવા પીધા બાદ યુવકે પોતાના મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દરવાજો બંધ હોવાથી પોલીસે બાજુના મકાનની બાલ્કની મારફતે ઘરમાં પ્રવેશ કર્યો અને બેભાન હાલતમાં પડેલા યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો. પોલીસ જવાનની આ કામગીરીને લઈને સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.
રાજકોટમાં 21મી સદીમાં પણ મહિલાઓ પર થતી અમાનવીય પરંપરાનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કેન્સરગ્રસ્ત પતિના અવસાન બાદ એક મહિલાને બળજબરીપૂર્વક મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હોવાનો આરોપ છે. પરિવારજનો દ્વારા પતિની યોગ્ય સારવાર કરાવવાના બદલે તેને ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો. પતિના મોતના માત્ર ત્રીજા દિવસે જ સાસુ અને નણંદના દબાણ હેઠળ મહિલાનું મુંડન કરાવવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાને લઈને પોલીસે મહિલાની ફરિયાદના આધારે સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં હજુ પણ જીવંત રહેલી અંધશ્રદ્ધા અને કુરિવાજોને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
દ્વારકાના ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં ત્રણ આખલા વચ્ચે જંગ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર માર્ગ પર આખલાઓની ધમાચકડી દરમિયાન રસ્તા પર પાર્ક કરેલી એક બાઈક પણ અડફેટે ચડી હતી. આખલાઓના યુદ્ધને કારણે રાહદારીઓમાં ભય ફેલાયો હતો અને બજારમાં વેપારીઓએ સુરક્ષાના કારણોસર પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. શહેરના મુખ્ય માર્ગ પર રખડતાં પશુઓના જમાવડાથી સ્થાનિકો લાંબા સમયથી પરેશાન છે. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં રખડતાં ઢોરને પાંજરે પૂરવામાં વહીવટી તંત્ર સતત નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધુ ઉગ્ર બન્યો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ટ અને પક્તિકા પ્રાંતોમાં ઘૂસણખોરી કરીને હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલામાં 11 બાળકો સહિત કુલ 13 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને અફઘાન સરકારે પાકિસ્તાનની કાર્યવાહી ની આકરી નિંદા કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય નિયમો તથા અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હુમલા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાએ ઇરાનના અનેક વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી ભીષણ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેશમ દ્વીપ અને હોર્મુઝ વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ એકસાથે હુમલા થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હુમલાઓ બાદ ઇરાનના અનેક વિસ્તારોમાં સતત વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ મધ્ય પૂર્વમાં ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે અને વૈશ્વિક સ્તરે ચિંતામાં વધારો થયો છે.
મોદી સરકારના 12 વર્ષ પૂરા થવા પર આજે દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની એક મોટી બેઠક યોજાઈ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન પણ સામેલ થશે.
Published On - 7:35 am, Wed, 10 June 26