09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં AMC ની પરવાનગી વિના ચાલતા 13 શૈક્ષણિક એકમો સીલ કરાયા

આજે 09 ડિસેમ્બરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં AMC ની પરવાનગી વિના ચાલતા 13 શૈક્ષણિક એકમો સીલ કરાયા
| Edited By: | Updated on: Dec 09, 2025 | 9:48 PM

આજે 09 ડિસેમ્બરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Dec 2025 09:34 PM (IST)

    AMC ની પરવાનગી વિના ચાલતા 13 શૈક્ષણિક એકમો સીલ કરાયા

    અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ પશ્ચિમઝોનના એસ્ટેટ વિભાગે સપાટો બોલાવ્યો છે. પરવાનગી સિવાય વપરાશ ચાલુ રાખેલ હોય તેવા શૈક્ષણિક એકમો પર તવાઈ બોલાવી છે. બાંધકામની નિયમાનુસાર વપરાશ પરવાનગી મેળવી ન હોય તેવા 13 શૈક્ષણિક એકમો સીલ કરી દેવામાં આવી છે. વારંવાર સૂચના આપવા છતાં વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવ્યું ન હતું. સલામતીના ભાગરૂપે 13 એકમો સીલ કરવામાં આવ્યા છે. શૈક્ષણિક એકમો સીલની કાર્યવાહી આવતીકાલે પણ ચાલુ રખાશે.

  • 09 Dec 2025 09:32 PM (IST)

    કડીના ફુલેત્રા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડુ પડતા 100 વીઘાથી વધુ ખેતરોમાં ફરી વળ્યાં પાણી

    કડીના ફુલેત્રા ગામની સીમમાં નર્મદા કેનાલમાં પડ્યું હતું ગાબડુ. ગાબડુ પડતા 100 વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કડી ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી. ધારાસભ્યએ અધિકારીઓને ટેલિફોનીક સૂચના આપી. ખેડૂતોએ કરેલા વાવેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને પહોંચ્યું હતું મોટુ નુકસાન. સમગ્ર અહેવાલ બાદ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિત અધિકારીઓ દોડતા થયા. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિત નર્મદાના અધિકારીઓએ નર્મદાને ખેડૂતોની મુલાકાત લીધી.


  • 09 Dec 2025 09:30 PM (IST)

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા 14મી ડિસેમ્બરે પોરબંદર આવશે

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પોરબંદર આવશે. આગામી 14 ડિસેમ્બરે સાંસદ ખેલ મહોત્સવમાં આપશે હાજરી. સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાનાર ખેલ મહોત્સવ માં 3000 જેટલા ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે. જેપી નડ્ડા સાથે રાજ્ય અને કેન્દ્રના અનેક નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટી દ્રારા સ્વાગત અને કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠકોનો દોર શરૂ. જે પી જંડ્ડા પ્રથમ વખત પોરબંદર આવતા હોવાથી કાર્યકર્તાઓ ઉત્સાહ જોવા મળે છે.

  • 09 Dec 2025 08:30 PM (IST)

    ડભોઈમાં રખડતા શ્લાને સાત વર્ષના બાળકને બનાવ્યો નિશાન, પગની આંગળીઓના ભાગે ઈજા થતા વડોદરા SSGમાં સારવારઅર્થે મોકલાયો

    વડોદરાના ડભોઇમાં વધુ એકવાર રખડતા શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 7 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. હીરા ભાગોળ વિસ્તારમાં બાળક રમી રહ્યું હતું તે સમયે બની ઘટના. શ્વાને પગની આંગળીના ભાગે બાળકને ઇજા પહોંચાડી હતી. બાળકને વડોદરા SSGમાં રિફર કર્યો છે. પાલિકાની બેદરકારીને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં 20 થી વધુ લોકો પર શ્વાને કર્યા છે હુમલો.

  • 09 Dec 2025 08:26 PM (IST)

    અમદાવાદમાં બાકી પ્રોફેશનલ વસૂલવા AMC દાખવશે કડકાઈ, 3.94 લાખ એકમોને ફટકારશે નોટિસ

    અમદાવાદ મહાનગરપાલિકાએ, બાકી પ્રોફેશનલ ટેક્સ વસૂલવા માટે કડકાઈ દાખવવાનુ નક્કી કર્યું છે. AMC દ્વારા, શહેરમાં આવેલ 3 લાખ 94 હજાર એકમોને નોટિસ ફટકારશે. આમાં મિલકતનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોવાનું AMC ના ધ્યાને આવ્યું છે. કોમર્શિયલ ઉપયોગ કરવા છતાં એકમો દ્વારા પ્રોફેશનલ ટેક્સ ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી હોવાનુ ધ્યાને આવ્યું છે.

  • 09 Dec 2025 08:22 PM (IST)

    ઉતરાયણ પૂર્વે જ અમદાવાદમાંથી ઝડપાયો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો

    અમદાવાદમાંથી  ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો છે. 95 ચાઈનીઝ દોરીના રીલ સાથે એક આરોપીની વિવેકાનંદ નગર પોલીસે ધરપકડ કરી છે. અજય ઠાકોર નામનો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાં લઈને પોલીસે ચેકીંગ દરમિયાન ઝડપાયો ચાઈનીઝ દોરી જથ્થો. રૂપિયા 47 હજાર ચાઇનીઝ દોરી જથ્થો કબજે કર્યો છે.

  • 09 Dec 2025 07:14 PM (IST)

    સાવલીના પોઇચા–કનોડા પાસેના મહી નદીના બ્રિજ પરથી 40 વર્ષીય ઈસમે ઝંપલાવીને કરી આત્મહત્યા

    સાવલીના પોઇચા–કનોડા ગામે પસાર થતી મહી નદીના બ્રિજ પરથી 40 વર્ષીય ઈસમે ઝંપલાવીને આત્મહત્યા કરી. મળતી પ્રાથમિક માહિતી મુજબ સાવલી તાલુકાના નમીસરા ગામના ઉજ્જવલ ઘનશ્યામભાઈ પટેલે અગમ્ય કારણોસર બ્રિજ પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.  હાલમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગેનું મોતનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 09 Dec 2025 05:56 PM (IST)

    મતદારયાદી સુધારણા ઝુંબેશમાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100 % કામગીરી

    ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો આગામી 11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ગણતરીના તબક્કાની 99.97 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તથા રાજ્યના તમામ 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે. SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી રહી છે. જે હવે પૂર્ણતના આરે છે. ગણતરીના તબક્કામાં રાજ્યના 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે.

  • 09 Dec 2025 05:18 PM (IST)

    અમદાવાદનો સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી રહેશે બંધ

    અમદાવાદના  વર્ષો જૂના સુભાષ બ્રિજ ઉપર એકાએક પડેલી તિરાડને પગલે, સાવચેતીના ભાગરૂપે, વાહનવ્યવહાર બંધ કરાવી દીધો હતો. હવે આ બ્રિજ આગામી તારીખ 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. 15 ડિસેમ્બર સુધીમાં સુભાષ બ્રિજની ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાશે.

  • 09 Dec 2025 05:15 PM (IST)

    મહીસાગર 123 કરોડના નળ-સે-જળ કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા

    મહીસાગર 123 કરોડના નળ-સે-જળ કૌભાંડમાં CIDને વધુ સફળતા મળી છે. બે કોન્ટ્રાક્ટર અર્જુન પાદરીયા અને લક્ષ્મણ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પાદરીયાની સામે ₹78,31,712 અને શર્માની સામે ₹52,15,330ની રિકવરી બાકી છે. 22 જૂને વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાની ફરિયાદ બાદ CIDની કાર્યવાહી તેજ થઈ હતી. હાલ સુધી 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે. 10 ઈજારદાર સહિત કુલ 14 કૌભાંડી ઝડપાયા. CIDની કાર્યવાહીથી અન્ય સંડોવાયેલા કૌભાંડીઓ ભૂગર્ભમાંઉતરી ગયા છે. આરોપીઓમાં ભાગદોડ શરૂ થવા પામી છે. આગોતરા જામીન માટે 16 અરજીઓ કરવામાં આવી હતી. કોર્ટે તમામ 16 અરજીને નામંજૂર કરી છે. તત્કાલીન સરપંચો અને તલાટીઓની યાદી CIDએ મેળવીને, તપાસ ઝડપી બનાવી છે. શિયાળ ગામના સરપંચ-કોન્ટ્રાક્ટરની ધરપકડથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સરપંચો તેમજ તલાટીઓની પણ આ 123 કરોડના કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

  • 09 Dec 2025 05:09 PM (IST)

    રાજકોટની મુર્ગાગેંગના 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

    રાજકોટ મુર્ગા ગેંગ પર ગુજસીટોકનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટની મુર્ગા ગેંગના 17 આરોપીઓએ સામે કરાઇ કાર્યવાહી. 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને અલગ અલગ જેલ હવાલે કરવામાં આવશે. અગાઉ પોલીસે પેંડા ગેંગ પર પણ ગુજસીટોકની કાર્યવાહી કરી હતી. મુર્ગા ગેંગ જંગલેશ્વર વિસ્તારની કુખ્યાત ગેંગ છે, જેની વિરુદ્ધ મારામારી, પ્રોહિબીશન, એનડીપીએસ, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

  • 09 Dec 2025 05:06 PM (IST)

    અમદાવાદની એક દંપતિના છુટાછેડા લસણ ડુંગળી ખાવા – ન ખાવાના મુદ્દે થયા

    ડુંગરી- લસણ ખાવા મામલે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. વર્ષ 2002 મા થયેલા લગ્ન બાદ છૂટાછેડાની અરજીને હાઇકોર્ટે મંજૂર કરી છે. અમદાવાદના દંપત્તિના લગ્નને 11 વર્ષ થયા, બાદ બન્ને વચ્ચે ચાલતી હતી માથાકૂટ. દંપત્તિ 2013 સુધી સાથે રહ્યા હતા, આ દરમિયાન તેમને એક બાળક પણ જન્મયું હતું. મહિલા ડુંગરી-લસણ ખાતી નહોતી અને પરિવાર પણ ના ખાય તેવો આગ્રહ રાખતી હતી. ફેમિલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો. ક્રૂરતાના આધારે કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે.

  • 09 Dec 2025 04:46 PM (IST)

    મહેસાણા વિસનગર હાઈવે નજીક લાગી આગ

    મહેસાણાના વિસનગર હાઈવે નજીક આગનો બનાવ બન્યો હતો. AC માં આગ લાગતા આખી દુકાન સળગી હતી. વિસનગરમાં હાઇવે નજીક આગની ઘટના બની છે. મહેસાણા ચોકડી નજીક કોમ્પલેક્ષની ઓફિસમાં આગ લાગી. AC માં શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
    ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ કાબુમા લેવાઈ છે.

  • 09 Dec 2025 04:03 PM (IST)

    ઈન્ડિગોના રઝળી પડેલા મુસાફરોને તેમના શહેર સુધી પશ્ચિમ રેલવે પહોચાડી રહી છે

    ઈન્ડિગોએ રસ્તે રઝળાવ્યા તો ભારતીય રેલ આવી મુસાફરોની વહારે. પશ્વિમ રેલવે નજીવા ભાડા વધારામાં 9 ટ્રેનની 40 ટ્રિપ ચલાવશે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરોને ટ્રેન મારફતે તેમના સીટી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આઠ ટ્રીપમાં મુસાફરોએ લાભ લીધો. ફ્લાઇટ કેન્સલ થઈ હોય, તો તેમની સહાયતા માટે રેલવેએ એરપોર્ટ પર સ્પેશિયલ કાઉન્ટર્સ ખોલ્યા હતા. રેલવે વિભાગને પણ સારો લાભ મળ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરોને ટ્રેન મારફતે તેમના સીટી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. રેગ્યુલર ટ્રેન કરતાં સ્પેશિયલ ટ્રેન નું ભાડું 1.2 % થી લઈને 1.9 % સુધી વધુ હોય છે.

  • 09 Dec 2025 03:28 PM (IST)

    અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની આજે 24 ફ્લાઈટ રદ કરાઈ

    અમદાવાદ એરપોર્ટ પરથી આજે 9 ડિસેમ્બરના રોજ, બપોરના 12 વાગ્યા સુધીમાં ઈન્ડિગોની કુલ 24 ફ્લાઈટ રદ થવા પામી હતી. જેમાં 14 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 10 ફ્લાઈટ અમદાવાદથી ઉપડતી હોય તેવી ફ્લાઈટનો સમાવેશ થાય છે. 9 ડિસેમ્બરના બપોરના 12 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 47 ફ્લાઈટ ઓપરેટ થવા પામી છે. જેમાં 18 અમદાવાદ આવી છે. જ્યારે 29 ફ્લાઈટ અમદાવાદથી ઉપડી છે.

     

  • 09 Dec 2025 02:45 PM (IST)

    જ્યારે અમે મુસ્લિમ લીગ સાથે સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં હતી?-ખડગે

    ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં રાષ્ટ્રગીત, વંદે માતરમ પર ચર્ચા શરૂ કરી. તેમણે કહ્યું કે જે લોકો વંદે માતરમનું મહત્વ સમજી શકતા નથી તેઓ તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વળતો પ્રહાર કરતા કહ્યું કે જેમણે ગઈકાલે વંદે માતરમ નથી ગાયું તેઓ હવે તેનું ગાન કરી રહ્યા છે. આ એ જ લોકો છે જે ચિંતિત છે. તેમણે રાજ્યસભામાં વંદે માતરમને પણ ના પાડી દીધી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ દેશભક્તિની વાત કરી રહી છે. આ એ જ લોકો છે જેમણે મુસ્લિમ લીગ સાથે જોડાણ કરીને સરકાર બનાવી હતી. તે સમયે તેમની દેશભક્તિ ક્યાં હતી?

  • 09 Dec 2025 01:46 PM (IST)

    કેન્દ્રીય ગૃહમંત્રીએ રામાયણનું ઉદાહરણ આપ્યુ

    ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “વંદે માતરમ ભારત માતાને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાના અવતાર તરીકે દર્શાવે છે. જ્ઞાન, સમૃદ્ધિ અને બહાદુરી આપણી માટીમાંથી આવે છે.” રામાયણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “ભગવાન રામે લંકામાં રહેવાની ઓફરને નકારી કાઢતા જાહેર કર્યું કે માતા અને માતૃભૂમિ ભગવાન કરતાં મહાન છે. આ ભાવનાને બંકિમ બાબુએ વંદે માતરમ દ્વારા જીવંત કરી હતી.”

  • 09 Dec 2025 01:30 PM (IST)

    અમદાવાદ ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી

    અમદાવાદ ગ્રામ્ય LCBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વટામણ–બગોદરા હાઇવે પરથી રાજસ્થાનથી જામનગર લઈ જવાતો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો. ટ્રકમાં છુપાવીને લઈ જવાતો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસએ ટ્રક ડ્રાઈવર મૂલારામ જાટને ધરપકડ કરી અને દારૂ સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

  • 09 Dec 2025 01:24 PM (IST)

    જ્યારે કોઈ સૈનિક પોતાના જીવનનું બલિદાન આપે છે, ત્યારે તે વંદે માતરમ ગાય છે – અમિત શાહ

    ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “વંદે માતરમ ફક્ત બંગાળ કે દેશ પૂરતું મર્યાદિત નથી. વિશ્વભરના સ્વતંત્રતા પ્રેમીઓએ તેના ગુણગાન ગાયા છે. જ્યારે કોઈ સૈનિક સરહદ પર પોતાના જીવનનું બલિદાન આપે છે, ત્યારે તેના હોઠ પર વંદે માતરમ હોય છે.”

  • 09 Dec 2025 01:15 PM (IST)

    અમદાવાદ: આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન

    અમદાવાદમાં આવકવેરા વિભાગે ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી છે. વિનોદ ટેક્સટાઈલ અને તેની સાથે જોડાયેલ કંપનીઓ તેમજ વિનોદ મિત્તલ અને તેમના ભાઈના નિવાસસ્થાન પર પણ તપાસ ચાલુ છે. વહેલી સવારથી 150થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ 35 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સેટેલાઇટ, નારોલ, પીરાણા, સૈજપુર અને પીપળજ વિસ્તારમાં આવેલી એકમો પણ રડારમાં છે. તપાસ દરમિયાન બેનામી વ્યવહારોના પર્દાફાશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

  • 09 Dec 2025 12:52 PM (IST)

    અમદાવાદ: બાવળા રોડ પર અકસ્માતમાં એકનું મોત

    અમદાવાદમાં બાવળા રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ચાંગોદર બ્રિજ પર ખાનગી બસનું ટાયર અચાનક ફાટ્યું હતું અને બ્રિજ નીચે પસાર થઈ રહેલા બાઈકચાલક પર તે ટાયર પડી ગયું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માત બાદ સ્થળ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

  • 09 Dec 2025 12:42 PM (IST)

    સુરતઃ ધારાસભ્યએ બનાવેલી દીવાલ સામે આખરે કાર્યવાહી

    સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા બનાવવામાં આવેલી દીવાલ સામે આખરે કાર્યવાહી કરવામાં આવી છે. રોડને નડતરરૂપ બનેલી અને પાર્કિંગ માટે ઉભી કરવામાં આવેલી આ દીવાલનું ડિમોલિશન કરીને રોડ ફરી ખુલ્લો કરવામાં આવ્યો. ફેરિયાઓના દબાણની આડમાં પાંચ વર્ષ પહેલાં આ દીવાલ તાણી બનાવવામાં આવી હતી, જે લાંબા સમયથી સ્થાનિકોને મુશ્કેલી પોંહચાડતી હતી. હવે આ દીવાલ દૂર થતા વાહન વ્યવહાર સરળ બન્યો છે.

  • 09 Dec 2025 12:24 PM (IST)

    વલસાડમાં ફેસવોશની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

    વલસાડમાં 31 ડિસેમ્બરના નજીક રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે નવો કીમિયો અપનાવવામાં આવ્યો હતો. ફેસવોશની પેકિંગમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. નેશનલ હાઈવે 48 પર અતુલ નજીકથી 2.89 લાખના દારૂ સાથે એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ 6.09 લાખના દારૂ સાથે એક આરોપીને ધરપકડ કરવામાં આવી હતી. દારૂ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

  • 09 Dec 2025 12:10 PM (IST)

    ઇન્ડિગોની 100થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ

    ઇન્ડિગોનું સંકટ ઓછું થવાના કોઈ સંકેત દેખાતા નથી. ફ્લાઇટ્સ રદ કરવાનો સિલસિલો સતત સાતમા દિવસે પણ ચાલુ છે. આજે હૈદરાબાદ એરપોર્ટથી ઉપડવાની લગભગ 54 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આજે વિવિધ એરપોર્ટ પરથી 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

  • 09 Dec 2025 12:00 PM (IST)

    પીએમ મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત લેશે

    પીએમ મોદી 2025 ના અંતમાં ત્રણ દેશોની મુલાકાત લેવાના છે. તેઓ જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત લેશે.

  • 09 Dec 2025 11:54 AM (IST)

    ઇન્ડિગો દરરોજ 100 ફ્લાઇટ્સ ઘટાડશે: DGCA

    DGCA એ ઇન્ડિગોની ફ્લાઇટ્સ 5% ઘટાડવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિગો દરરોજ આશરે 2,200 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આનાથી દરરોજ આશરે 110 ફ્લાઇટ્સ ઘટશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઇનને આ અંગે જાણ કરવામાં આવી છે અને ઘટાડવામાં આવનારી ફ્લાઇટ્સની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

  • 09 Dec 2025 11:51 AM (IST)

    મધ્યપ્રદેશ: ખજુરાહોમાં ફૂડ પોઇઝનિંગથી 3 લોકોના મોત

    મધ્યપ્રદેશના ખજુરાહોમાં ફૂડ પોઇઝનિંગથી ત્રણ લોકોના મોત થયા છે. ખોરાક ખાધા પછી નવ અન્ય લોકો બીમાર પડ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

  • 09 Dec 2025 10:40 AM (IST)

    ફ્લાઈટ સંકટ અંગે ઈન્ડિગોએ સરકારને સોંપ્યો અહેવાલ

    દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ ચાલી રહેલા ફ્લાઈટ સંકટ અંગે સરકારને વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે.. જેમાં 3 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 3 હજાર 900થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.. આ સંકટના કારણે દેશભરના મુસાફરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે અંગે ઈન્ડિગોએ એક ગુપ્ત પત્રમાં તેનો જવાબ સુપરત કર્યો છે.. તેમાં તમામ મુસાફરોની માફી પણ માગી છે. DGCAને કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે ઈન્ડિગોએ વધુ સમય આપવા પણ વિનંતી કરી. અત્યાર સુધીમાં 610 કરોડથી વધુના રિફંડની પ્રક્રિયા કરવામાં આવી હોવાની પણ માહિતી આપી.

  • 09 Dec 2025 10:35 AM (IST)

    ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, નાઈટ ક્લબનાં બંને માલિક થાઇલેન્ડ ફરાર

    ગોવા નાઇટ ક્લબ આગ મામલે, માલિકો સૌરભ અને ગૌરવ લુથરા ઘટના બાદ માત્ર થોડા કલાકમાં ભારત છોડીને થાઇલેન્ડ ફરાર થઇ ગયા. બંનેના વિરુદ્ધ “લુક‑આઉટ સર્ક્યુલર (LOC)” જાહેર કરવામાં આવ્યો છે.  પોલીસ અને ઊંચા સ્તરના અધિકારીઓ હવે Interpol અને CBIની મદદથી ફરાર થયેલ માલિકોને ઝડપી લાવવાની કોશિશ કરી રહ્યા છે.  ક્લબનાં ચાર કર્મચારીઓ  ચીફ જનરલ મેનેજર, બે મેનેજરો અને ગેટ મેનેજરની ધરપકડ થઇ ચુકી છે.

  • 09 Dec 2025 10:25 AM (IST)

    ગીર સોમનાથ: યુરિયા ખાતર માટે વહેલી સવારથી લાગી કતાર

    ગીર સોમનાથના ગીર ગઢડામાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતોએ ખાતર ડેપો પાસે લાંબી કતારો લગાવી દીધી હતી. કડકડતી ઠંડી હોવા છતાં ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે સતત વલખાં મારતા જોવા મળ્યા. ઘઉં અને અન્ય રવિ પાક માટે જરૂરી યુરિયા ઉપલબ્ધ ન થતાં મુશ્કેલી વધી રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ યુરિયા આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને પૂરતું ખાતર મળતું નથી અને ખેતીના કામમાં અડચણો વધી રહી છે.

  • 09 Dec 2025 10:16 AM (IST)

    સુરત: કન્સ્ટ્રક્શન સાઈટને નિયમ ભંગ બદલ 5 લાખનો દંડ

    સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોના ભંગ સામે મનપાએ સખ્ત કાર્યવાહી કરી છે. ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મનપા કમિશનર નિરીક્ષણ માટે પહોંચ્યા ત્યારે સાઇટ પાસેથી ધૂળ ઉડાડતી ટ્રક પસાર થતાં બેદરકારી સ્પષ્ટ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઈમારત પર ગ્રીન નેટ લગાવવામાં આવ્યું હોવા છતાં વાયુ પ્રદૂષણ અટકાવવા જરૂરી અન્ય વ્યવસ્થાઓનો અભાવ હતો. આ બેદરકારીને આધારે જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

  • 09 Dec 2025 10:07 AM (IST)

    તાપીમાં વધુ એક BLO કર્મચારીનું મોત

    તાપીમાં વધુ એક BLO કર્મચારીનું મોત થયુ છે. BLOનું કામ કરતા 38 વર્ષીય આંગણવાડી વર્કરનું મોત. કુકરમુંડાના પિશાવર ખાતે ઘટના બની. મૃતક મહિલા અન્ય બીમારીથી પણ પીડિત હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ બીમારીને કારણે મહિલાની તબિયત લથડી હતી.

  • 09 Dec 2025 08:58 AM (IST)

    ભરૂચઃ ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ

    ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલા નાઈટ્રેકસ કંપનીના પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટથી એક વ્યક્તિનું મોત થયું છે. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોલ ડાઈઝેસ્ટરમાં થયેલા આ જોરદાર વિસ્ફોટમાં નજીકમાં કામ કરતા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે બીજાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

  • 09 Dec 2025 08:32 AM (IST)

    રાજકોટઃ જસદણમાં અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત

    રાજકોટના જસદણમાં થયેલા માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુતનિધિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ કાર એટલી ખરાબ રીતે દબાઈ ગઈ હતી કે ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે કટરનો સહારો લેવો પડ્યો હતો. ઘટના સમયે જૈન સાધ્વીઓ જસદણથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતા બચાવ ટીમે તાત્કાલિક કાર્ય શરૂ કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

  • 09 Dec 2025 08:04 AM (IST)

    સંઘપ્રદેશ સેલવાસના દાદરામાં ભીષણ આગની ઘટના

    સંઘપ્રદેશ સેલવાસના દાદરા વિસ્તાર ખાતે ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. વાગધર રોડ પર આવેલા ઔદ્યોગિક શેડ વિસ્તારમાં આગ લાગી હતી, જેના કારણે લગભગ 3 થી 4 ફેક્ટરીઓ સંપૂર્ણપણે બળી ખાક થઈ ગઈ છે. સનલાઇટ, મોનાલિસા અને લિઝા ઇન્ડસ્ટ્રીઝ સહિતની ફેક્ટરીઓને ભારે નુકસાન થયું છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ વકરે તેને ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાતા હોવાથી આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

  • 09 Dec 2025 08:03 AM (IST)

    અમદાવાદમાં ઓવરટેક જેવી નજીવી બાબતમાં ફરી ફાયરિંગની ઘટના

    અમદાવાદમાં ઓવરટેક જેવી નજીવી બાબતમાં કારચાલકે બાઇકચાલક પર ફાયરિંગ કર્યું. નારોલના લાંભા તળાવ પાછળ આ ઘટના બની. ફાયરિંગમાં એક યુવકને ઇજા થતાં LG હોસ્પિટલમાં ખસેડાયો. યુવકને માથાના ભાગે ગોળી વાગી. 3 મિત્રો દર્શનાર્થે મલ્લાસણ જઇ રહ્યા હતા ત્યારે ઘટના બની. ફાયરિંગ કરનાર તથા અન્ય લોકો નશામાં ધૂત હોવાનો આક્ષેપ.

  • 09 Dec 2025 07:39 AM (IST)

    અમદાવાદ: સુભાષ બ્રિજમાં તિરાડ મામલે મનપાનું ઇન્સ્પેક્શન પૂર્ણ

    અમદાવાદના સુભાષ બ્રિજમાં જોવા મળેલી તિરાડને લઈને મનપાનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ થયું છે. મનપાએ કુલ ત્રણ કંપનીઓને ઇન્સ્પેક્શનમાં સામેલ કરી હતી, જેમાં પંકજ એમ. પટેલ, કસાડ અને મલ્ટી મીડિયા કંપનીઓએ પોતાનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ કરી દીધું છે. હાલમાં આ કંપનીઓ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે અને બુધવારે સવારે મનપાને પ્રથમ ત્રણ રિપોર્ટ સોંપવામાં આવશે. આ ઉપરાંત આગામી બે થી ત્રણ દિવસમાં વધુ ત્રણ સંસ્થાઓ—IIT મુંબઈ, IIT રૂડકી અને સુરતની SVNIT—દ્વારા પણ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

Published On - 7:37 am, Tue, 9 December 25