
લોકોના કરોડોનું કરી નાખનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી. અન્ય આરોપીઓની જામીન અરજી પર પણ નિર્ણય આવી શકે છે. મહેસાણામાં નસબંધી કરાવી દીધી હોય તેવા વધુ 28 વ્યક્તિઓની પૂછપરછ. નસબંધીના અન્ય કેસોમાં કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ. રાજ્યમાં લોકોને અનુભવાઈ કાતિલ ઠંડી, નલિયામાં 10 ડિગ્રી તાપમાન. તો આગામી 24 કલાકમાં ઉ.ગુજરાતમાં પણ પડી શકે હાડ થીજવતી ઠંડી. જીડી ગોયન્કા સહિત દિલ્લીની 2 શાળાઓમાં બોમ્બની ધમકી, વહેલી સવારે શાળાને મળ્યો ઈમેલ ,પોલીસે શરૂ કરી તપાસ. ઉત્તર ભારતના અનેક શહેરોમાં ગગડ્યો તાપમાનનો પારો. જમ્મુ-કાશ્મીરમાં હિમ વર્ષા. પ્રવાસન સ્થળોએ ઉમટ્યા પ્રવાસીઓ.. તો દિલ્લીમાં કમોસમી વરસાદે વધારી મુશ્કેલી અસદ રાજથી આઝાદ થઇ ગયું સીરિયા.. સીરિયાની રાજધાની દમિશ્કમાં બળવાખોરોએ કર્યો કબજો.. તો સેનાએ દેશમાં રાષ્ટ્રપતિની સત્તા સમાપ્ત થયાની કરી જાહેરાત.
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ધરખમ આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની બે લાખ પંદર હજાર બોરીની આવક થતાં યાર્ડ ડુંગળીથી છલકાયું છે. જેમાં 1 લાખ 90 હજાર લાલ ડુંગળીની બોરીની આવક અને 25 હજાર 20 સફેદ ડુંગળીની બોરીની આવક થઈ હતી. તો ડુંગળીની ભરપૂર આવક સામે 550થી 700 સુધીના ડુંગળીના ભાવ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. મહત્વનું છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ડુંગળી પકાવતા ખેડૂત ડુંગળી વેચવા માટે મહુવા યાર્ડમાં આવે છે. માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ જતાં યાર્ડ દ્વારા 200 વીઘા જેટલી અલગ જમીન પણ ભાડે રાખવામાં આવી છે.
વેરાવળ–જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે બે કાર સામ સામે અથડાતા મોટો અકસ્માત સર્જાયો, જેમાં 7 વ્યક્તિના મોત થયા છે. માર્યા ગયેલા 7 વ્યક્તિઓમાં 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેઓ ગળુ કોલેજમાં પરીક્ષા આપવા જઇ રહ્યાં હતા. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ અંદર બેઠેલા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
આ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે, જેમાં ચાર વિદ્યાર્થી છે, જે કેશોદની આજુબાજુના ગામના છે અને ગડુ મુકામે પરીક્ષા આપવા જતા હતા. જ્યારે બે મૃતક જાનુડા ગામના છે. સાતેયના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનવા જઈ રહ્યા છે, તેઓ 11 ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, તેથી નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાના નામને મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે સમાપ્ત થશે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં જ સંજય મલ્હોત્રાને કેન્દ્ર સરકારે RBI ગવર્નર પદ માટે નોમિનેટ કર્યા હતા. અત્યાર સુધી તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ (DFS)ના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.
સંજય મલ્હોત્રા 1990 બેચના રાજસ્થાન કેડરના વરિષ્ઠ અધિકારી છે. નવેમ્બર 2020 માં, તેમને REC ના અધ્યક્ષ અને MD બનાવવામાં આવ્યા. તેમણે થોડો સમય ઉર્જા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો પરંતુ તેઓએ પોતાનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો. પોતાની જુની વાતો વાગોળતા તુષાર સુમેરાએ કહ્યું હતું કે જે બિલ્ડીંગ બસ સ્ટેન્ડ જતી વખતે બહારથી જોતા હતા ત્યાંના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળવો તે ઇશ્વર કૃપા છે. દરેક વ્યક્તિનું આઇએએસ બનવું સ્વપ્ન હોય છે અને તેમાં પણ તમે જે સ્થળે અભ્યાસ કર્યો ત્યાં આઇએએસ બનીને આવવું વધારે સારૂ લાગે હું સર્કિટ હાઉસથી આવતો હતો ત્યારે મેં એ મારી શાળા જોઇ જ્યાં હું ભણવા માટે જતો હતો. તુષાર સુમેરાએ કહ્યું હતું કે રાજકોટ મારી માતૃભુમિ,જન્મભુમિ અને કર્મભુમિ બની છે ત્યારે હું મારી જાતને નસીબદાર ગણુ છું.તુષાર સુમેરા રાજકોટની ભૌગોલિક સ્થિતિથી વાકેફ છે જેથી તેઓ રાજકોટનો વિકાસ સુચારુ રીતે કરી શકશે તેવો દાવો કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના 34 માં મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો છે. આજે તેઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે હાજર થયાં હતા અને સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો.તુષાર સુમરા વર્ષ 2012ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. અગાઉ તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી પી દેસાઇની બદલી થતાં તેઓનું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટીંગ થયું છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી, પ્લાન પાસ અને બીયુ પરમીશન સહિત અનેક મુદ્દાઓથી ઘેરાયેલા મનપા તંત્રને ફરી ધમધમતું કરવું નવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોટો પડકાર બનશે.
BZ કૌભાંડની CIDની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન મળેલા કરારની તપાસમાં આરોપી મયુર દરજીએ એજન્ટ તરીકે 39 લોકોને રોકાણ કરાવ્યું હોવાની વિગતો સામે આવી છે.
પરિવાર અને અન્યનું રૂ.10 હજારથી લઈને 10 લાખ સુધી રોકાણ કરાવ્યું હતુ.મયુર દરજીએ 39 રોકાણકારોનું કુલ રૂ.1.09 કરોડનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારો પાસે રોકાણ કરાવી રૂ.15.60 લાખનું મેળવ્યું કમિશન.
અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને કારણે એક યુવકનો ભોગ લેવાયો છે. 18 વર્ષીય યુવાન પ્રિન્સ શર્માનું ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત થયુ છે. કમ્પાઉન્ડર મિત્રએ નશાકારક દવાનો ઓવરડોઝ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઇસનપુર પોલીસે આરોપી મિત્રની અટકાયત કરી છે. મૃતક પ્રિન્સ શર્મા અમદાવાદનો વટવા વિસ્તારનો રહેવાસી છે.
અમદાવાદઃ વટવા GIDCમાં આવેલી કંપનીમાં આગ લાગી છે. અલ્કેશ એન્ટરપ્રાઈઝમાં આગ લાગવાથી દુર દુર સુધી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે.
11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે.
ગાંધીનગર: નાના ચિલોડામાં ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા છે. લીંબડીયા કેનાલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, કારનો દરવાજો કાપીને બન્ને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં.
અમદાવાદ: શહેરમાં જંત્રીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જંત્રીના વિરોધમાં બિલ્ડરોએ આવેદન પત્ર આપ્યું. કલેક્ટર કચેરીએ ક્રેડાઈ, ગાહેડના સભ્યોએ આવેદનપત્ર આપ્યું. એપ્રિલ, 2025થી લાગુ થનાર જંત્રીનો બિલ્ડર જૂથ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાંધા અરજીનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન, મહેસુલ અધિકારીઓ સાથે બિલ્ડર જૂથની સંયુક્ત મિટિંગની માંગ છે.
હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ મનાલીમાં બરફ વર્ષા થઇ છે. આસપાસના વિસ્તારમાં બરફ વર્ષાથી સફેદ ચાદર છવાઈ છે. ઘાટીમાં અચાનક મોસમ બદલાતા તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. 12 ડિસેમ્બર સુધી બરફ વર્ષાની હવામાન વિભાગની આગાહી છે. નવા વર્ષ પહેલા મનાલીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. રૂસા હોસ્ટેલમાંથી દારુ મહેફિલ ઝડપાઈ છે. બાસ્કેટબોલ સ્પર્ધામાં રમવા આવેલા ખેલાડીઓની મહેફિલ ઝડપાઈ છે. ઝડપાયેલા 3 ખેલાડીઓ સામે બાસ્કેટબોલ એસોસિએશને કાર્યવાહી કરી. ત્રણેય ખેલાડીઓને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં ખેલાડીઓની રહેવાની વ્યવસ્થા કરાઈ હતી.
સુરત: લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ છે. ફાયરિંગને પગલે બે યુવક ઈજાગ્રસ્ત થયા છે. DJ વાગી રહ્યું હતું ત્યારે યુવકે ફાયરિંગ કર્યું હતું, ડિંડોલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા: સૂચિત જંત્રીને લઇને બિલ્ડર્સ ગ્રુપ, ખેડૂતો અને ક્રેડાઈના આગેવાની દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડરોએ સૂચિત જંત્રીના વિરોધમાં રેલી યોજી. સાયાજીનગર ગૃહથી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. કલેકટરને આવેદન આપી જંત્રીના દર કાબૂમાં આવે તે માટે રજૂઆત કરાશે. જંત્રીનો ભાવ વધતા વડોદરામાં મકાનના ભાવ વધવાની શક્યતાઓ છે. અગાઉ પણ 2011માં જંત્રીના દરનો ઉગ્ર વિરોધ કરાયો હતો. બિલ્ડરોની સાથે કોન્ટ્રાક્ટરો,મજુરો,બિલ્ડીંગ મટીરીયલ્સ વેપારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે.
મહારાષ્ટ્ર: થાણેના ટીટવાલામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. 4 શ્વાનોએ એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો. શ્વાનોએ બચકા ભરતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. મહિલાના માથા, પગ અને હાથ પર ગંભીર ઇજા પહોંચી છે. મહિલાને મુંબઇની જેજે હોસ્પિટલમાં દાખલ કરાઇ. ગઇ કાલે રાતે બનેલી ઘટનાના CCTV સામે આવ્યા છે.
ભરૂચની સાયખા GIDCમાં કામદારનું મોત થયુ છે. દત્તા હાઈડ્રો કેમ કંપનીમાં ઊંચાઈ પરથી કામદાર નીચે પટકાયો હતો. પતરાના શેડ બનાવવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હતી. ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ કામદારનું મોત નીપજ્યું.
રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે છે. માત્ર બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. નલિયામાં 10.8, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 13.2, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રીએ પારો પહોંચ્યો છે.
ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે. આમલાખાડી બ્રિજ પર ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો. ખાનગી બસ પલટી મારતાં 8 થી 10 મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. સત્વરે મદદે આવેલા સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા. 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો.
Published On - 8:50 am, Mon, 9 December 24