આજે 09 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવા અને ધરપકડ કરવામાં આવતી હોવાનો આક્ષેપ મનોજ સોરઠીયાએ કર્યો છે. AAP નેતાઓ પર આજે 3 FIR અને 1 ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ એવો કટાક્ષ કર્યો છે કે, હર્ષ સંઘવી ગુજરાતના ઇતિહાસમાં FIR મંત્રી તરીકે ઓળખાશે. ભાજપના નેતાઓમાં જો થોડી ઘણી શરમ હોય તો 30 વર્ષના કામનો હિસાબ પ્રજાને આપો અને વોટ માંગો.
દાહોદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે મોટો ઉલટફેર કર્યો છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની પસંદગીમાં મોટો અપસેટ સર્જતા રાજકારણ ગરમાયું છે. ભાજપે શિસ્તબદ્ધ કાર્યવાહી કરતા નગરપાલિકાના 36 માંથી 34 વર્તમાન કાઉન્સિલરોની ટિકિટ કાપી નાખી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માત્ર 2 કાઉન્સિલરોને પક્ષ દ્વારા ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર-3 માંથી લક્ષ્મીબેન ભાટ અને ઇસ્તીયાક સૈયદ પર પસંદગીનો કળશ ઢોળી તેમને રિપીટ કરાયા છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ જેવા દિગ્ગજ નેતાની ટિકિટ કપાતા કાર્યકરોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. પૂર્વ ઉપ પ્રમુખ શ્રદ્ધા ભડંગ અને કારોબારી ચેરમેન લખન રાજગોરના પત્તા પણ આ યાદીમાંથી સાફ કરી દેવાયા. ભાજપના મોટા ગજાના નેતાઓના નામ કપાતા સ્થાનિક રાજકીય આલમમાં ભારે ગણગણાટ અને અજંપો જોવા મળી રહ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા ભાજપના નેતાઓ હવે અપક્ષ અથવા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે તેવી પ્રબળ શક્યતા.
ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા જિલ્લામાં સમાવેશ થતા તાલુકા પંચાયત માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આસામ, કેરળ અને પુડુચેરીમાં સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયું છે. આજે સાંજે 5 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ, આસામમાં 84.42 %, કેરળમાં 75.01 % અને પુડુચેરીમાં 86.92 % મતદાન થયું છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં, નવ રચિત વાવ થરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ પર મહોર મારી છે. વાવ થરાદ જિલ્લા પંચાયતના 28 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આની સાથેસાથે થરાદ તાલુકા પંચાયત, વાવ તાલુકા પંચાયત, ભાભર તાલુકા પંચાયત, દિઓદર તાલુકા પંચાયત, સુઈગામ તાલુકા પંચાયત, લાખણી તાલુકા પંચાયત, રાહ તાલુકા પંચાયત, ધરણીધર તાલુકા પંચાયત, થરાદ અને ભાભર નગરપાલિકા માટેના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
IPS તરીકે રાજીનામુ આપનાર મનોજ નિનામાને આખરે ભાજપે ટિકિટ ફાળવી છે. ભાજપે અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકની ટિકિટ મનોજ નિનામાને ફાળવી છે. જુઓ અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા તાલુકા પંચાયત, ભિલોડા તાલુકા પંચાયત, બાયડ તાલુકા પંચાયત, ઘનસુરા તાલુકા પંચાયત, માલપુર તાલુકા પંચાયત, મેઘરજ તાલુકા પંચાયત, શામળાજી તાલુકા પંચાયત, સાંઠબા તાલુકા પંચાયત, મોડાસા અને બાયડ નગરપાલિકાના ઉમેદવારો જાહેર.
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે, ચર્ચા વિચારણાના અંતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના કુલ 52 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના જન્મ દિવસને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટમાં માતબર રકમના ભેટની જાહેરાત કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂપીયા 13 કરોડના ખર્ચે વિશાળ યાત્રી નિવાસ બનવા જઇ રહ્યુ છે. જેમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આ યાત્રી નિવાસ માટે 17 રૂમ પેટે રૂપીયા 5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજુ કરપડા ભાજપમાં જોડાયા એ અંગે જૂનાગઢ આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું કે, ખેડૂતોને હવે ખબર પડી હશે કે ખેડૂત નેતા કેટલા સ્વાર્થી છે. આપ નેતા રાજુ બોરખતરીયા એ કહ્યું સ્ક્રિપ્ટ પહેલાં જ નક્કી હતી. જેલમાં હતા ત્યારે જ કોના વિશે શું બોલવું, ક્યારે બોલવું અને ક્યારે ભાજપમાં જોડાવવું એ બધું નક્કી થઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના બધા નેતાઓ વિશે શું શું બોલવું એ પણ સ્ક્રિપ્ટેડ હતું. અમે જેલમાં હતા ત્યારે જ એ બધું ગોઠવીને નીકળ્યા હતા. ખેડૂતોને હવે ખબર પડશે કે જેને તેઓ ખેડુતોના હિતેચ્છુ માનતા હતા એ પોતાના લાભ માટે ભાજપમાં ભળી ગયા છે.
પંચમહાલની ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની કરાઈ પસંદગી. પસંદગી પામેલા ઉમેદવારોને ફોન મારફતે કરાઈ જાણ. ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 2 માંથી ચેતન ચૌહાણ, જીતુ સવલાણી, અલકાબેન પટેલની પસંદગી. વોર્ડ નંબર 3 માંથી વર્ષાબેન ઠાકર, ધર્મેશ પટેલ, શ્રુષ્ટિ બારીયા, લાલાભાઈ ભીલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 4 માંથી દિપેશ ઠાકોર, વોર્ડ નમ્બર 5 માં પારુલ દરજી, મયુર ચોકસી, હેમલ પટેલને ટિકિટ અપાઈ છે. વોર્ડ નંબર 10 મિત્તલબેન સોલંકી, ગૌરીબેન જોશી, આનંદ ઘડિયાલીને ઉમેદવાર બનાવ્યા છે. વોર્ડ નમ્બર 11 માં કેતન પરીખ, રમેશ તલાટીને ટિકિટ અપાઈ છે.
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત થઈ હતી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બન્ને વચ્ચે મુલાકાત યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે યોજાઈ રહેલ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક છોડીને સંઘવીએ રાજુ કરપડા સાથે મુલાકાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ કરપડાને અનેક સામાજીક નેતાઓએ મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી હતી.
વડોદરાની શિનોરમાં આવેલ બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે લાખોની સાઇબર ઠગાઈ થતા ખાતાધારકો એ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. 200 થી વધુ ખાતા ધારકોના ખાતામાંથી 10 -10 હજાર રૂપિયા ઉપડી ગયા. લાખો રૂપિયા ગુમાવતા ગ્રાહકોએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. શિનોરના આનંદી, સેગવા અને શિનોર શાખાના ખાતા ધારકો પર અસર થઈ છે. કોઈ OTP કે લિંક ખોલ્યા વગર ખાતામાંથી બરોબર રૂપિયા ઉપડ્યા હોવાનો ગ્રાહકોનો આક્ષેપ. મોબાઈલ ઉપર TRTR લખેલા મેસેજ સાથે રૂપિયા ઉપડ્યાની માહિતી આવી હતી. ખાતામાંથી રૂપિયા ઉપડતા ગભરાયેલા ગ્રાહકો બેંકમાં પહોંચી ખાતા ફ્રિજ કરાવવા લાગ્યા. બેંક મેનેજરોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની સલાહ આપતા ગ્રાહકોએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. સાઇબર ક્રાઈમમાં અંદાજિત 25થી વધુ ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી, 200 થી ઉપરાંત ગ્રાહકોના રૂપિયા ઉડી ગયા.
ખેડૂત હિતની વાત કરનાર અને આંદોલન કરનાર રાજુ કરપડા ભાજપમાં જોડાયા તે અંગે કોંગ્રેસના પ્રવકત્તા મનીષ દોશીએ કહ્યું કે, નાની દુકાનમાંથી રાજુ કરપડા મોટી કંપનીમાં જોડાયા છે. હવે તેઓ ખેડૂતોની સમસ્યા મુદ્દે મૌન ધારણ કરશે. છ મહિના પહેલા રાજુ કરપડા કહેતા કે ભાજપ ખેડૂત વિરોધી છે. હવે ગળામાં ભગવો ધારણ કરતા જ ખેડૂત તરફી ભાજપ થઈ ગયું.
મહેસાણાના કડીમાં પ્રેમ પ્રકરણમાં યુવકનુ અપહરણ કરી હત્યા કરવાના કેસમાં 2 આરોપી ઝડપાયા છે. કડીના આદુંદરાના યુવકની પ્રેમ પ્રકરણમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પરિણીત મહિલા સાથેના પ્રેમ સંબંધમાં, આરોપીઓએ ભેગા મળીને યુવકને આપ્યું દર્દનાક મોત. મહિલાને ધમકાવી વીડિયો કોલ કરાવી યુવકને થોળ બોલાવ્યો હતો. થોળથી પીકઅપ ડાલામાં અપહરણ કરી લાકડાના ધોકાથી માર માર્યો હતો. અમદાવાદના સાંકળ ગામના ખેતરમાં ગોંધી રાખી હત્યા કરી. પુરાવાનો નાશ કરવા લાશને લખતર પાસની નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. કડી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીની કરી ધરપકડ, એક ફરાર છે.
બોટાદના જૈન સમાજના આગેવાન મનીષ ગાંધીએ બોટાદ નગરપાલિકામાં 10 ટીકીટ આપવાને લઈ યોજી હતી બેઠક. ભાજપના શહેર પ્રમુખ કિરીટભાઈ દ્રારા સંતોષ કારક જવાબ આપવાની કરી વાત. જો જૈન સમજની માંગણી મુજબ ટીકીટ નહિ આપવામાં આવે તો, આગામી દિવસોમાં જૈન સમાજ મતદાનથી વંચિત રહેશે તેવી મનીષ ગાંધીએ આપી ચીમકી. જૈન સમાજના 4 હજાર મતદાર છે અને હર હમેશા ભાજપ સાથે સમાજ રહ્યો છે તેવી મનીષ ગાંધી એ કરી વાત. જૈન સમાજ આર્થિક રીતે સદ્ધર હોય અને સમજુ હોય સારી રીતે કામ કરી શકતો હોવાની કરી વાત.
જામનગરમાં સ્થાનિક રાજકારણમાં અનોખો મામલો સામે આવ્યો છે, જ્યાં Aam Aadmi Party (AAP)માંથી ગુજસીટોકના આરોપી અસલમ ખીલજીએ પોલીસ જાપતા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અસલમ ખીલજી પોલીસ વાનમાં કડક સુરક્ષા વચ્ચે આવીને વોર્ડ નંબર 12માંથી ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જે શહેરના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આ જ વોર્ડમાંથી AAPના અન્ય ઉમેદવારો તરીકે એડવોકેટ જેનબ ખફી અને હાજી રિઝવાને પણ ફોર્મ ભર્યા છે. નોંધનીય છે કે અસલમ ખીલજી અને તેની ગેંગ સામે મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેને કારણે સમગ્ર ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
આસામમાં મતદાન ઝડપથી ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં, રાજ્યભરમાં લગભગ 60% મતદાન પૂર્ણ થઈ ગયું છે. અત્યાર સુધીમાં, 59.63% મતદાન થઈ ગયું છે.
કેરળમાં મતદાન આસામ અને પુડુચેરી કરતાં થોડું ધીમું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં, કેરળમાં 50% મતદાન નોંધાયું હતું. અત્યાર સુધીમાં 49.70% મતદાન થઈ ગયું છે.
આસામની જેમ, પુડુચેરીમાં પણ જોરદાર મતદાન જોવા મળી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં, કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ મતદાનના 57% મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં 56.83% મતદાન થયું છે.
આણંદની Sardar Patel University માં થયેલા ‘લાફાકાંડ’ મામલે 22 દિવસ બાદ આખરે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. 18 માર્ચે અંગ્રેજી વિભાગમાં બનેલી આ ઘટનામાં વિભાગના તત્કાલીન HOD પારુલ પોપટે અધ્યાપકને ચાલુ વર્ગખંડમાં જ લાફો માર્યો હતો, જેને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. યુનિવર્સિટી દ્વારા શરૂઆતમાં કોઈ કાર્યવાહી ન થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. હવે રચાયેલી તપાસ સમિતિ પારુલ પોપટ સામેના આરોપોની વિગતવાર તપાસ કરીને રિપોર્ટ સોંપશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુરનાં પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ મંદિરમાં વલ્ડ કલાસ આધુનિક ગૌશાળાના નિર્માણ માટે રૂપિયા 10 કરોડનું દાન આપ્યું. 28 એકર જમીનમાં આ અત્યાધુનિક ગૌશાળા તૈયાર કરાશે જેમાં 500 ગાયને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા આપવામાં આવશે. થોડા સમય અગાઉ જ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે હનુમાનજી મંદિરે દર્શન કરવા આવેલ ત્યારે પણ તેમણે મંદિરના વિકાસ માટે 5 કરોડનું દાન આપ્યું હતું. એમ અત્યાર સુધી અંબાણી પરિવાર તરફથી સાળંગપુરનાં કષ્ટભંજન હનુમાન મંદિરને 15 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા કાનૂની વળાંક આવ્યા છે. ચૂંટણી રોકવા તેમજ અનામત નીતિને પડકારતી અરજી Supreme Court of India માં દાખલ કરવામાં આવી છે. પાટીદાર આગેવાન Dinesh Bambhaniya એ આ અરજી કરીને અનામત નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. મળતી માહિતી મુજબ, આ અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે અને ચીફ કોર્ટમાં આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.
વડોદરામાં મનપા ચૂંટણીને લઇને ભાજપના જૂના જોગીઓના પત્તા કટ થવાની સંભાવના ઊભી થઈ છે. આશંકા છે કે 13 કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે, જેમાં ખાસ કરીને ત્રણ ટર્મ પૂર્ણ કરનારા અને 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર સામેલ છે. હિતેન્દ્ર પટેલ અને નિતીન દોંગાની ટિકિટ કપાઈ શકે છે, તો ચિરાગ બારોટ અને નિલેશ રાઠોડના પત્તા પણ કટ થવાની શક્યતા છે. બંદિશ શાહ, રાજેશ શાહ અને રાજેશ પ્રજાપતિ નરસિંહ ચૌહાણની ટિકિટ પણ આ ફેરફારમાં સામેલ હોઈ શકે છે.
વડોદરાના અકોટામાં આવેલા અક્ષરધામ સોસાયટીમાં સ્કોર્પિયો કાર ડિવાઈડર કૂદી સોસાયટીમાં ઘૂસતાં કાફી અફરાતફરી સર્જાઈ હતી. ઘટનામાં એક વ્યક્તિની પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે થી ત્રણ લોકો ઘટનાસ્થળેથી ફરાર થયેલા છે. કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે અને પૂછપરછ દરમિયાન તેણે દારૂ પીધો હોવાનું કબૂલાત કર્યું છે. જાણકારી અનુસાર, સ્ટેશન પરત ફરતી વખતે કાર અકસ્માતમાં ફસાઈ હતી.
પુડુચેરીના મુખ્યમંત્રી અને મંગલમ અને થટ્ટનચાવાડી વિધાનસભા મતવિસ્તારના ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ (એઆઈએનઆરસી) ના ઉમેદવાર એન. રંગાસ્વામી પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યા પછી બાઇક ચલાવી રહ્યા છે.
ઇરાનને તાજેતરના યુદ્ધના કારણે અંદાજે રૂ. 13 લાખ કરોડનું આર્થિક નુકસાન થયું છે. આ કારણે દેશના GDPમાં લગભગ 20% જેટલો ઘટાડો નોંધાવાની શક્યતા છે. ક્રૂડ તેલની નિકાસ અટકવાને કારણે રૂ. 3300 કરોડનું નિકાસ નુકસાન થયું છે, અને વિશ્લેષકોના અનુમાન મુજબ ઇરાનને દેશની સમૂહ પુનનિર્માણ પ્રક્રિયામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે.
મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ, કામ અંગે પિતાએ ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા ઝીંકીને પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પુત્ર સામે માળિયા મિયાણા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ખોરાકી ઝેરની ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી, જેમાં ઉલટી અને ઉબકાની ફરિયાદો નોંધાઈ હતી. તબિયત લથડતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે કડી સ્થિત Bhagyoday Hospital તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને ખોરાકના નમૂનાઓની તપાસ પણ હાથ ધરાઈ છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. Israel દ્વારા Lebanon પર કરાયેલા ભીષણ હુમલાઓથી Iran ભડકી ઊઠ્યું છે. આ હુમલાના વિરોધમાં ઇરાને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ Strait of Hormuz ને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને ત્યાંથી પસાર થતા જહાજોને અટકાવ્યા છે. આ પગલાંને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને તેલના વેપાર પર ગંભીર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે વિશ્વ અર્થતંત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી શકે છે.
અમરેલીમાં 3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 41km દૂર નોંધાયું.
PM મોદીએ વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ
PM Narendra Modi tweets, “As the Puducherry Assembly elections commence, I urge every voter to come out and participate in record numbers. I especially appeal to our youth and to women voters to strengthen the process of democracy. Every vote matters in shaping the future of… pic.twitter.com/dHT87KB4Hk
— Tv9 Gujarati (@tv9gujarati) April 9, 2026
અમદાવાદ ખાતે Reserve Bank of India ની ઇમારત પાસે સુરક્ષા વ્યવસ્થાની કસોટી માટે NSG કમાન્ડો દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી. પોલીસ અને NSG ની સંયુક્ત કામગીરી હેઠળ સમગ્ર વિસ્તારને કડક સુરક્ષા ઘેરામાં લેવામાં આવ્યો હતો. RBI નજીકના રસ્તાઓ તાત્કાલિક બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. NSG કમાન્ડોની ટીમે અંદરના ભાગમાં કામગીરી સંભાળી હતી, જ્યારે અમદાવાદ SOG અને સ્થાનિક પોલીસે બહારના વિસ્તારોમાં મોરચો સંભાળ્યો હતો. સમગ્ર વિસ્તારને બેરીકેડ્સથી કોર્ડન કરીને સુરક્ષાની સઘન વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી.
આસામની ૧૨૬, કેરળની ૧૪૦ અને પુડુચેરીની બધી ૩૦ બેઠકો માટે આજે સાંજે ૭:૦૦ વાગ્યે મતદાન શરૂ થશે. આસામમાં ૭૨૨ અને કેરળમાં ૮૮૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
Published On - 7:21 am, Thu, 9 April 26