
આજે 08 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જામનગરની પટેલ કોલેની વિસ્તારમાં ધોળા દિવસે વૃદ્ધે સાયકલ ચોરીને અંજામ આપ્યો છે. પટેલ કોલોની વિસ્તારમાં ટ્યુશન ક્લાસની બહાર સાયકલ, બાઈક સહિતના વાહનો પાર્ક થયેલા હતા. ચોર પહેલા તો આ વિસ્તારમાં આંટાફેરા મારે છે. બધા વાહનો પર નજર કરે છે અને સાથે આસપાસનો માહોલ જુએ છે. વારંવાર રેકી કર્યા બાદ આખરે તેની નજર વિદ્યાર્થીની નવી નકોર એક સાયકલ પર ઢરે છે અને ધમીગતિએ સાયકલ ચોરીને રવાના થાય છે. પ્લાનિંગ સાથે કરેલી આ ચોરીમાં ચોર બસ સીસીટીવી સામે નજર કરવાનું ભૂલી જાય છે અને તેની ચોરી CCTVમાં કેદ થઈ જાય છે.
27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે.. ત્યારે રથયાત્રામાં અખાડાઓનો પણ અનેરું મહત્વ હોય છે.. આ વર્ષે પણ અખાડીયનો પરંપરાગત શસ્ત્રોનો ઉપયોગ કરીને અવનવા કરતબ કરશે.. મંદિર પ્રશાસન સાથે અખાડાઓમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે..રથયાત્રામાં જુદા-જુદા કરતબ કરતા અખાડીયનો દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચશે.. ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે 30 થી વધુ અખાડાઓ ભાગ લેવાના છે.. જેને લઈ કુમફૂ, કસરત, ચકરડું, તલવારબાજી, લાઠી ચલાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે..
ખાનગી લેબના રિપોર્ટે પાઠ્યપુસ્તકોના કાગળની ગુણવત્તાની પોલ ખોલી નાંખી છે. પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોના કાગળને લઇને આ ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં ટેન્ડરમાં જણાવ્યા મુજબના પુસ્તકોમાં કાગળની ગુણવત્તા ન જળવાઈ હોવાનો દાવો દાવો કરવામાં આવ્યો છે. ટેન્ડર મુજબ પુસ્તકમાં 70 GSMનો કાગળ હોવો જોઇએ પરંતુ લેબ ટેસ્ટમાં પુસ્તકનો કાગળ માત્ર 66 GSMનો હોવાનું સામે આવ્યું.,.,કાગળની બ્રાઇટનેસ પણ 92ને બદલે 75 હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે.,.,જેને લઈને કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ સામે ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે.,.,કોંગ્રેસનું કહેવું છે કે પુસ્તકના કાગળની ગુણવત્તાના નામે વાલી-વિદ્યાર્થીઓ પાસેથી લૂંટ મચાવવામાં આવી
ધોરાજીમાં રસ્તાના કામમાં ધાંધિયા સામે આવ્યા છે કે જ્યાં 8 કરોડના બનેલો રસ્તાનો ડામર માત્ર 24 કલાકમાં ઉખડી ગયો. આ ગંભીર આક્ષેપ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સ્થાનિકો કરી રહ્યા છે. જેમાં ધોરાજી જામકંડોરણા જકાત નાકાથી તોરણીયા પાટિયા સુધી રસ્તાના કામમાં ફરી મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ મુકવામાં આવ્યો છે. 8 કરોડના ખર્ચે 24 કલાક અગાઉ બનેલા બની રહેલા ડામરનાં રોડમાં ગોબાચારી થઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોનો દાવો છે કે કોન્ટ્રાક્ટરે નહિવત પ્રમાણમાં ડામર નાંખીને કપચી પાથરી છે. સમગ્ર ઘટનાને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ રસ્તાનાં કામમાં નબળી ગુણવત્તાની સામગ્રી વપરાઇ હોવાનો આરોપ લગાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે રસ્તાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો.
અંકલેશ્વરના 6 ગામોની 2300 એકર જમીન નર્મદા નદીમાં જ ગરકાવ થઇ છે. છેલ્લા 33 વર્ષની લડત છતાં સુરક્ષા દીવાલ અધૂરું કામ પૂર્ણ થયું નથી. ત્યારે સરકાર હવે વહેલી તકે પ્રોટેક્શન વોલનું કામ પૂરૂ કરે એવી માગ ઉઠી છે. એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી. નદીનું વહેણ હવે ફરીવાર અંકલેશ્વર તરફ ફંટાઇ રહ્યું છે. સંરક્ષણ દીવાલના અભાવે દરેક ભરતી ઓટ સાથે ધોવાણથી ધરતીપુત્રો જમીન ગુમાવી રહ્યા છે.
સરકારે હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં 80 ટકા કાપ અને બચેલી જમીનનું વળતર પણ 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ ફેલાયો છે.
બનાસકાંઠાના પાલનપુરમાં એક પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે, પોલીસકર્મી કચ્છ ખાતે ફરજ બજાવતા હતા જેમની હાલમાં જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે, આ પોલીસકર્મીએ પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું.આપઘાત પહેલા મૃતક પોલીસ કર્મીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી,આ સ્યૂસાઈડ નોટમાં તેમણે ભુજ SP વિકાસ સુંડા અને PI બી.પી. ખરાડી પર અત્યંત ગંભીર આક્ષેપ કર્યા છે. ષડયંત્ર કરીને ખોટો કેસ કરીને સસ્પેન્ડ કર્યાનો પણ ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં કરેલ છે. અન્ય પોલીસકર્મી સાથે અન્યાય ન થાય તે માટે ન્યાયની પણ માગ તેણે કરી છે
અમદાવાદના ઘોડાસર પુનિત નગર ક્રોસિંગ પાસે મોબાઈલ શોપનો ધંધો કરવો હોય તો, રૂપિયા આપવા પડશે તેમ આરોપી જય ગઢવીએ, વેપારી કમલેશ સમતાણીને કહ્યું હતું. વેપારી કમલેશને ફોન કરીને અસામાજિક તત્વો, રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરતા હતા.વેપારી કમલેશ સમતાણી પરિવાર સાથે ફરવા ગયા હતા. ગઈ કાલ રાત્રે વેપારી પરત આવતા ફોન કરી આરોપી જય ગઢવી એ વેપારી કમલેશને બોલાવ્યા હતા. વેપારી દુકાન પાસે મળવા પહોંચતા જ જય ગઢવી અને અન્ય સાગરીતો ડંડા લઈ તુટી પડ્યા હતા. આરોપી જય ગઢવી અને વિશાલ ઉર્ફે ઉલિયો સહિત 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવું આગોતરું આયોજન કર્યું છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રાજ્યની 149 નાગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજકોટમાં કોરોનાના વધુ 9 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 95 કેસ નોંધાયા છે. જેમાંથી 44 દર્દી સાજા થયા છે. હાલમાં 51 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાની વિગતો સામે આવી છે.
ગાંધીનગરના કલોલના બિલેશ્વરપુરાની કંપનીમાં આડા સબંધની શંકામાં યુવકની હત્યા કરાઈ છે. પત્નિ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને પતિએ એક યુવકની દસ્તાના ઘા ઉપર ઘા મારીને હત્યા કરી છે. બિલેશ્વર પૂરાની રાજ રત્ન મેટલ કંપનીમાં હત્યારો અને મૃતક બન્ને કંપની કેન્ટિનમાં સાથે કામ કરતા હતા. અગાઉ પણ મેનેજર દ્વારા હત્યારા યુવકની શંકા ના સમાધાન માટે મૃતકનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. મૃતકના મોબાઈલમાં હત્યારાની પત્નીનો કોઈ નંબર પણ મળી નહોતો આવ્યો કે વાત કરવા અંગેના કોઈ ચેટ કે રોકડિંગ પણ નહોતા મળી આવ્યા. છતાંય યુવકના મનમાં શંકા એ ઘર કરી લીધું હતું. જે બાદ ગઈ કાલે લોખંડના દસ્તાના માથામાં ઘા કરી હત્યા કરી નાખી. સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઇવે પર દુધરેજ ફાટક નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકના ઘટના સ્થળે મોત થયા છે. શહેર એ ડીવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી ગયો છે. પોલીસે ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે શહેરની સીવિલ હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 માં ભોગ લેવાયો છે. રાજકોટ શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. લીમડા ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે. મીઠાભાઈ ધંધુકીયા નામના 65 વર્ષે વૃદ્ધનું થયું મોત. કારચાલક વૃદ્ધને ઉડાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસનો સતત વધારો થવા પામ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર ગ્રામ્ય સહિત કલોલ, દહેગામમાં કોરોનાની દસ્તક થઈ છે. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા 38 પર પહોંચી છે. તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
મોરબીમાં નકલી DySP બનીને વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો એક કેસ નોંધાયો છે. કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. SMC ના તત્કાલીન DySP કે. ટી.કામરીયાના નામે ધમકી આપીને ડરાવી ધમકાવીને રૂપિયા 30 હજાર રૂપિયા ખંખેર્યા હોવાનુ સામે આવ્યું છે. આ અંગે પોલીસે દિલીપ જીવાણી, હિતેશ કામરીયા અને હિમાંશુ ભટ્ટ (રહે .ત્રણે મોરબી) વાળા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આ પ્રકારે અન્ય કેટલાને છેતર્યા છે. પોલીસને નામે કેટલા લોકોને ધાક ધમકી આપી છે તે અંગેની તપાસ હાથ ધરી છે.
મણિપુરમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થોઉબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોને આદેશોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
રાજકોટના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા શિકારી ઝડપાયા છે. બે યુવક ફરેણી ગામની સીમમાં તેતર પક્ષીનો શિકાર કરતા ધોરાજી વન વિભાગે ઝડપી પાડ્યા છે. વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ, શિકાર કરવાના ગુના માં વન વિભાગ દ્વારા 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અમરેલીના સાવરકુંડલા મહુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ઘટનામાં 1 મહિલાનુ મોત થયું છે. કાર ચાલકે સર્જેલ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. કાર ચાલકે બે બાઈકને હડફેટે લીધા હતા. બે બાઇકમાં કુલ પાંચ લોકો સવાર હતા.એક મહિલાનું ઘટના સ્થળે મોત થયુ હતું. અન્ય ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં રહેલા તમામ જહાજો અને વિમાનોને સતર્ક રહેવાની સલાહ આપી છે. નૌકાદળના યુદ્ધ જહાજો અને સંભવતઃ સબમરીન કવાયત દરમિયાન સામેલ થઈ શકે છે. આ કવાયત ભારતીય નૌકાદળની દરિયાઈ યુદ્ધ તૈયારીઓ અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો એક ભાગ છે.
કચ્છમાંથી ફરી એકવાર બિનવારસી ચરસ મળી આવ્યું છે. આ વખતે, લુણા બેટ પર બીએસએફ પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે દરમ્યાન બિનવારસી ચરસના બે પૅકેટ મળ્યા છે. વધુ તપાસ માટે બિનવારસી ચરસના પેકેટ, જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ તમિલનાડુ ભાજપ રાજ્ય કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે. પછી, તેઓ મદુરાઈમાં પાર્ટીના રાજ્ય, જિલ્લા અને મંડલ સ્તરના પદાધિકારીઓ સાથે પણ વાતચીત કરશે.
Published On - 7:26 am, Sun, 8 June 25