
આજે 08 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાના વિદેશી પોપટની ચોરી થઈ છે. ઈમ્પોર્ટેડ પોપટની દુકાન અલ સુગરા દુકાનનું શટલ તોડી ચોરી કરાઈ છે. મોહમ્મદ અકીબ શેખ વિવિધ પ્રજાતિના પક્ષી લાવી તેનું વેચાણ કરે છે. ગઈકાલે રાત્રે તેમની શોપમાં ચોરી થઈ હતી. તસ્કરો દુકાનનું શટર ઊંચું કરીને વિદેશી પ્રજાતિના પોપટની ચોરી કરી ગયા હતા. સવારે દુકાનમાં ચોરી થઈ હોવાનો તેમને કોલ આવ્યો હતો. દુકાનમાંથી 11 પોપટ, ત્રણ પિંજરા અને રૂપિયા 24 હજાર રોકડની ચોરી થઈ હતી. ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિના પોપટ તસ્કરો ચોરી ગયા. 15.18 લાખ કિંમતના પોપટ ચોરાઈ જતા સમગ્ર મામલો વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તસ્કર પક્ષીનો જાણકાર હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે. કારણ કે તસ્કરે સીસીટીવી કનેક્શન પણ બંધ કર્યું હતું. તેથી આ ઘટનામાં કોઈ જાણ ભેદુ હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે
અમદાવાદ જિલ્લાના કમિજલા ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. ગ્રામ્ય sog પોલીસે નામદેવ જીડીયા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. કમિજલા ગામમાં ક્રિષ્ના નામથી ભાડા પર ક્લિનિક શરૂ કર્યું હતું. ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ અને અન્ય સાધનો મળી આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુરુવારે, એટલે કે 10 જુલાઈ, 2025 ના રોજ વાપી રેલવે સ્ટેશન પર ઉત્તર બાજુએ આવેલા જૂના ફૂટ ઓવર બ્રિજના લોકાર્પણ અને અતુલ સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ માટે ગર્ડર્સના લોકાર્પણ માટે 11.25 કલાકથી 1.45 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ અને ડાઉન મુખ્ય લાઇનો પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. બ્લોકને કારણે અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
10 જુલાઈ, 2025 ના રોજ નિયમન થનારી ટ્રેન:
* 10 2025 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૦1 કલાક 20 મિનિટ દ્વારા નિયમન કરવામાં આવશે.
* 10 જુલાઈ, 2025 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક 35 મિનિટ દ્વારા નિયમન કરવામાં આવશે.
* 9 જુલાઈ, 2025 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 04711 બિકાનેર – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક વિશેષ 1 કલાક 35 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.
દાહોદ જિલ્લાના રૂપિયા 73 કરોડના મનરેગા કોભાંડમાં, કારાવાસ ભોગવી રહેલા મંત્રીપુત્રના જામીન મંજૂર થયા છે. મનરેગા કૌંભાડમાં છેલ્લા 1 મહિના ઉપરાંત સમયથી હતા જેલના સળિયા પાછળ રહેલા પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 73 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દાહોદ સેશન્સ કોર્ટે બળવંત ખાબડ તેમજ કિરણ ખાબડ ના શરતી જામીન મંજૂર કર્યાં છે. પોલીસ ચાર્જશીટ કોર્ટમાં દાખલ ના કરે ત્યા સુધી દાહોદમાં નહીં રહેવાની શરત રાખવામાં આવી છે. આ ઉપરાંત કૌંભાડ અંગેની તમામ મુદતોમાં કોર્ટમાં હાજરી આપવી પડશે. પાસપોર્ટ જમા કરાવવા પડશે.
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરો પૈકી 17 મૃતકોના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલને અંતિમ ક્રિયા માટેની પરવાનગી આપી હતી. અમદાવાદ પોલીસ અને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા વિધિપૂર્વક મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ મૃતકોની શાહીબાગ ખાતે આવેલ મુસા સુહાગ કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. જ્યારે હિન્દુ મૃતકોની વાડજ ખાતેના સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. મૃતકોના ધર્મ આધારિત ધાર્મિક વિધિ સાથે અંતિમ ક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મંજૂરીની બોગસ મહોરનો મામલો તુલ પકડી રહ્યો છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે મોન્ટુ પટેલની નિમંણુક જ ખોટી રીતે થઈ હોવાનું કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે કર્યો છે. લાયકાત વગર અને અનુભવ વગર મોન્ટુ પટેલ કેવી રીતે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ બની શકે તે એક મોટો સવાલ છે.
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલથી લઈને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકેની મોન્ટુ પટેલની કરમકુંડળી ખરડાયેલી છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં ચૂંટણી હારી ગયા છતાં પણ મોન્ટુ પટેલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પદ સુધી પહોંચવાનો કેવી રીતે રચ્યો કારસો. એક સાથે બે સ્ટેટમાંથી કેવી રીતે મોન્ટુ પટેલ નોમિનેટ થઈ શકે છે. તત્કાલીન પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ ને હટાવીને મોન્ટુ પટેલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર પોતાનો કબજો જમાવ્યો. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે નિમાવવા માટે હોય છે ધારાધોરણો.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે મોન્ટુની લાયકાત નથી તો કોની આશીર્વાદના આધારે મોન્ટુ પટેલે આ પદ મેળવ્યું છે તે મોટો સવાલ છે. આ સમગ્ર બાબતોની પણ તપાસ કરવા માટે ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે માંગણી કરી છે.
અમદાવાદના સોલામાં યુવક સામે દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમ સંબંધ દરમિયાન અંગત પળોનાં વીડિયો બનાવ્યો હતો. એક મહિનાં પહેલા યુવતીએ બીજા યુવક સાથે લગ્ન ક્યા. પ્રેમી સાથે સંબંધ તોડી નાખતા વીડિયો વાયરલ કર્યો હતો. યુવતીના માતા પિતા અને સંબંધીઓને અંગત પળોનાં વીડીયો મોકલ્યા હતા. જેના કારણે યુવતીનાં પતિએ તેને પિયરમાં પરત મોકલી દીધી હતી. યુવતીને લાગી આવતા ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીપક વ્યાસ નામનાં યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ.
સુરતના સચિનામાં જ્વેલર્સમાં ફાયરિંગ કરીને લૂંટનો બનાવ બન્યો છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમા રોષની લાગણી ફેલાઈ છે. પોલીસ મોડી આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જવેલર્સ વેપારી આશિષ રાજપરા મોતના પગલે સચિન બજાર સંપૂર્ણ બંધ રહ્યું છે. વેપારીઓ દ્વારા 400થી વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બજારની અંદર એક પોલીસ ચોકી બનાવવાની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન બજારમાં પોલીસવાળા પેટ્રોલિંગ કરવામાં નથી આવતી. ભરચક બજારમાં આવી ઘટનાના પગલે વેપારીઓમાં રોષ. આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી.
અંબાલાલ પટેલે, ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, હમણાં તડકા વચ્ચે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમા પણ વરસાદી ઝાપટા પડી શકે, પવનની ગતિ પણ રહેશે.
તારીખ 10 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેને કારણે મહીસાગર, વડોદરા,પંચમહાલ, દાહોદ, ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે. પાટણ, મહેસાણા, વિસનગર, હારીજ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 18 થી ચોમાસામાં બ્રેક આવશે. ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે. તારીખ 22 થી હવામાનમાં પલટો આવશે. તારીખ 22 થી બંગાળના ઉપસાગરમાં એક પછી એક સીસ્ટમ બની રહી છે.
તારીખ 24 થી 30 જુલાઈ માં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થઈ શકે છે. નર્મદા નદી બે કાંઠે થવાની શકયતા છે. સાબરમતી નદીનું જળસ્તર વધશે. જુલાઈ માસમાં પણ કેટલાક નાના ડેમો પણ ઓવર ફલો થવાની શક્યતા રહેશે. તળાવો, બંધો, ડેમો હજી પણ ભરાવવાની શક્યતા રહેશે.
સુરત: ચોમાસામાં રોગચાળાનો કહેર વધી રહ્યો છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી. મલેરિયા, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલટીના કેસમાં 10થી 12 ટકાનો વધારો થયો છે. બોગસ ડૉક્ટરો પાસે સારવાર ન કરાવવા તબીબોએ સલાહ આપી. સુરત નવી સિવિલના પીડિયાટ્રિક વિભાગના હેડે નિવેદન આપ્યુ છે કે શ્રમિકોના વિસ્તારમાં બોગસ તબીબો ક્લિનિક ચલાવતા હોય છે. કેટલાક દર્દીઓ મેડિકલથી દવા લઈ લે છે જેના કારણે સ્થિતિ બગડી જાય છે. ઘણા દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. બોગસ તબીબો પાસે ન જવા દર્દીઓની અપીલ કરાઈ છે.
સુરતઃ શ્વાનોના આતંકને કારણે મહિલાનો જીવ ગયો છે. ઉમરપાડામાં 15 જેટલા શ્વાનોએ મહિલાને ફાડી ખાધી હતી. 40 વર્ષીય મહિલા પર 15 શ્વાનોએ હુમલો કર્યો. કુદરતી હાજતે ગયા વખતે શ્વાનોએ મહિલાને ઘેરી હતી. શ્વાનોએ અસંખ્ય બચકાં ભરી લેતા મહિલાનું કરુણ મોત થયુ છે. પરિવારે શોધખોળ કર્યા બાદ મહિલાનો મૃતદેહ મળ્યો. ઉમરપાડા તાલુકાના જોડવાન ગામની આ ઘટના છે.
ભરૂચઃ ઝઘડિયાની DGVCLની કચેરીમાં દારૂની મહેફિલ જોવા મળી. જુનિયર ક્લાર્ક સહિતના કર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. ગ્રાહકે ફરિયાદ કરવા 38થી વધુ વખત કોલ કર્યા. કોલ ન ઉપાડતા ગ્રાહક કચેરીએ પહોંચ્યા.
કચેરીમાં કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો.
અમદાવાદ: ચોમાસામાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 8 બાળકના ચાંદીપુરાથી મોત થયા છે. તબીબોએ વાલીઓને સાવચેત રહેવાની અપીલ કરી. અસારવા સિવિલમા પણ તબીબોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ. બાળકોને તાવ ન ઉતરતો હોય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવા અપીલ કરી. સૌથી વધુ 10 વર્ષથી નીચેની વયના બાળકોમાં વાયરલની અસર જોવા મળે છે.
જામનગર શહેરમાં ફરી વરસાદનું આગમન થયુ છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો. ઉકળાટ બાદ ફરી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.
અમદાવાદ એરપોર્ટને ફરી ધમકીભર્યો મેઈલ મળ્યો છે. બાથરૂમની પાઈપલાઈનમાં IED વિસ્ફોટક છુપાવ્યાનો મેઈલ મળ્યો. બૉમ્બ અંગેનો ધમકીભર્યો મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓની તપાસ. પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટની તપાસ કરી. એરપોર્ટ પર તપાસના અંતે પોલીસને શંકાસ્પદ કંઈ ન મળ્યું.
અમદાવાદ: PCI અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની તપાસમાં હવે ED ઝંપલાવશે. EDએ કેસની વિગતો મેળવી આગામી સમયમાં તપાસ હાથ ધરશે. કોલેજોને માન્યતા આપવા લાંચ લીધાનો મોન્ટુ પટેલ પર આરોપ છે. માળખા વગરની 23 ફાર્મસી કોલેજોને મંજૂરી આપ્યાનો આક્ષેપ છે. CBIએ અમદાવાદ સ્થિત મોન્ટુ પટેલના બંગલે દરોડા પાડ્યા હતા. દિલ્લીમાં પણ PCI ઓફિસ, મોન્ટુ પટેલના ઘરે તપાસ થઈ હતી.
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 3.90 ઈંચ વરસાદ ખાબક્યો. પંચમહાલના ગોધરામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો. કચ્છના ગાંધીધામમાં 2.3 ઈંચ, માંડવીમાં 2.2 ઈંચ વરસાદ વરસ્યો. 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો.
અમદાવાદઃ રાણીપ વિસ્તારમાં PCBએ દરોડા પાડ્યા છે. કારમાંથી 9.41 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો. દારૂ અને કાર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કારમાંથી ચાર નંબર પ્લેટ મળી આવી છે. ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરાઇ. રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Published On - 7:18 am, Tue, 8 July 25