
આજે 06 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જૂનાગઢના સાસણ જંગલ વિસ્તારમાં જય અને વિરુનો પરિવાર જોવા મળ્યો. સિંહણ સાથે નાના સિંહ બાળના થયા દર્શન. ઇન ફાઈટમાં ઘાયલ થયા બાદ ગ્રુપની સિંહણો અને બચ્યા એકલા જંગલમાં જોવા મળ્યા. જુલાઈ મહિનામાં જય અને વીરુના ઇન ફાઇટ દરમિયાન ઘાયલ થયા બાદ 15 દિવસના અંતરે થયા હતા મોત. આવનારા દિવસોમાં જય અને વીરુના આ પરિવાર ગ્રુપમાં કોઈ યુવાન સિંહ નેતૃત્વ કરે તેવી પણ પૂરી શક્યતા છે.
અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં AMC સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. વરસાદ દરમિયાન શહેરના પાણી ભરાવાની સમસ્યા, રોડ રસ્તાઓ તૂટવા અને ડ્રેનેજની સ્થિતિને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીને ધ્યાને લઈને જરૂરી માર્ગદર્શન પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ આપી હતી. આજની બેઠકમાં મંત્રી અને શહેરના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, AMC કમિશનર, મેયર પણ ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદ શહેરના બીજેપીના 11 ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ઘણી વિચાર-વિમર્શ પછી આ ઇમારતનું નામ કર્તવ્ય ભવન રાખ્યું છે. કર્તવ્ય ભવન ફક્ત એક ઇમારતનું નામ નથી. તે કરોડો ભારતીયોના સપનાઓને સાકાર કરવા માટેની તપભૂમિ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપના પદાધિકારીઓએ, અમદાવાદ શહેરની પ્રજાના પૈસાનુ પાણી કરવાનો નિર્ણય કર્યો છે. મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીએ, 20 આઈટી પ્રોફેશનલને પ્રોજેક્ટ મેનેજર તરીકે ખાનગી ધોરણે નોકરીએ રાખશે. જેમને મહિને 3.24 લાખનો પગાર ચૂકવાશે. વર્ષે 3.40 કરોડ પગાર પાછળ ચૂકવાશે. જો કે, આવા આઈ.ટી. પ્રોફેશનલ કોણ છે ? તેઓની કામગીરી શું છે ? તેઓની એજ્યુકેશનલ લાયકાત શું છે ? આઈ ટી પ્રોફેશનલ ક્યાં બેસે છે ? હાલમાં કયાં ફરજ બજાવે છે ? તે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અંધારામાં છે અને સ્ટેન્ડિગ કમિટિએ આ એજન્ડાને મંજૂર કર્યો હોવાનું વિપક્ષના નેતાએ જણાવ્યું છે.
જામનગરના જોગવડ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. જોગવડમાંથી કોલેરાના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહીવટીતંત્રે, જોગવડ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ગામની આસપાસના 2 કિ.મીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.
મહેસાણામાં સોપારીના ડુપ્લીકેટ MDPL મસાલા બનાવતા મહિલા સહિત ત્રણ જણા ઝડપાયા છે. આરૂષ હાઈટ્સ ફ્લેટમાં પોલીસની રેડ દરમિયાન સોપારી – તમાકુયુક્ત મસાલાના ડુપ્લિકેટ પેકેટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. રાજેશ પટેલની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન આરૂષ હાઈટ્સ ફ્લેટમાં જીગ્નાશા પટેલ, પિન્કી પટેલ અને નિતિન પટેલ સામે ગુનો નોંધાયો છે. 61,600 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. ડુપ્લિકેટ મસાલાના પેકેટો મળી આવ્યા છે. પોલીસે કોપીરાઈટ એક્ટની કલમ 63, 65 હેઠળ ગુનો નોંધ્યો છે.
અમરેલીના રાજુલા SBI બેંકમાં ધોળા દિવસે કેશ કાઉન્ટરમાં ઘુસીને ચોરી થઈ હોવાનો બનાવ પોલીસના કોમ્પ્યુટર ઉપર નોંધાયો છે. રૂપિયા 1,50,000 રોકડા રકમની ચોરી થયાની બેન્ક મેનેજર દ્વારા ફરીયાદ નોંધાવી છે. બેન્ક આખી ધમધમતી હતી અને કેશ એકાઉન્ટ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને દોઢ લાખની ચોરી થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેશ એકાંઉન્ટર કર્મચારીઓ ઓફિસરોની હાજરી વચ્ચે ધોળા દિવસે ચોરી થતા બેન્કની ગંભીર બેદરકારી સામે આવી છે.
ચાંદખેડાની હસ્તિનાપુર સોસાયટીમાં કારમાં આગ ચાંપી દેવાનો બનાવ બન્યો છે. કારની નજીક પેટ્રોલ છાંટીને કારને સળગાવી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. ફરિયાદ પરત ના લેવાની અદાવતમાં કારને આગ ચાંપી હતી. અગાઉ સોસાયટીના સભ્યો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે સોસાયટીના બે સભ્યોની ક્રોસ ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી એક સભ્યે ફરિયાદ પાછી ના લેતા કારને આગ લગાડવામાં આવી હતી. ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેઝના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભારતીય જનતા પાર્ટીની આગામી શુક્રવારે એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલ, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર અને સાંસદ વી ડી શર્મા વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાત ભાજપની આ બેઠકમાં, ધારાસભ્યો અને સંસદ સભ્યો હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બેઠકમાં 9મી ઓગસ્ટથી શરૂ થતા પાર્ટીના વિવિધ કાર્યક્રમો, તિરંગા યાત્રા આયોજન અંગે મંથન કરાશે. રાજ્યભરમાં ભાજપ વિધાનસભા બેઠક દિઠ તિરંગા યાત્રા યોજાશે. આ વર્ષે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવને પણ હાઈલાઈટ કરાશે.
ભરૂચ જિલ્લામાં આંગણવાડી બહેનોને ન્યૂડ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો બનાવ સામે આવ્યો છે. આઇસીડીએસના સરકારી નંબર પર અશ્લીલ વીડિયો કોલ કરીને હેરાનગતિ કરવામાં આવે છે. 40થી વધુ આંગણવાડી કાર્યકરોને ન્યૂડ વીડિયો કોલ કરાયા હોવાનું સામે આવ્યું છે. એક જ નંબર પરથી કરવામાં વીડિયો કોલ કરવામાં આવે છે. આંગણવાડી સંગઠનના પ્રમુખે, આ ગંભીર ઘટના અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપીને ફરિયાદ નોધી જવાબદાર સામે પગલાં ભરવાની અરજ કરી છે.
એટીએસ દ્વારા પકડેલા પાંચ આતંકીઓ પૈકી મહિલા આતંકી સમા પરવીનની તપાસમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થયા છે. સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. સમા પરવીને પાકિસ્તાન ચીફ અસીમ મુનીરને લખ્યો હતો સંદેશ. ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમ્યાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા લખી પોસ્ટ. ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ. ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણનો પણ ઉલ્લેખ. હિન્દી સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવા પણ પોસ્ટમાં ઉલ્લેખ. લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં નોકરી આપવાની લાલચ આપી દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કરાતી એક ગંભીર ઘટનાનો પર્દાફાશ થયો છે, જેમાં રાજકોટની એક સગીરા સહિત બે યુવતીઓને દેહવેપારમાં દબાણથી જોડવાનો પ્રયાસ થયો હતો. આરોપીઓએ બેંકમાં નોકરી અપાવાની લાલચ આપીને યુવતીઓને અમદાવાદ બોલાવ્યા હતા અને 24 વર્ષીય યુવતીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને હોટલમાં ગોંધી રાખવામાં આવી હતી. યુવતીએ કુટુંબ અને પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક રેડ કરી, જેમાં દારૂ, ગાંજો અને અન્ય નશીલા પદાર્થો પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ ધામી, ધારાલી બજાર, હર્ષિલ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને કહ્યું- ભારતીય સેના, આઈટીબીપી, એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક લોકો સહિત અમારી બધી એજન્સીઓ બચાવ કાર્ય કરી રહી છે. ગઈકાલે એટલે કે મંગળવારે ૧૩૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલને કારણે ઘટનાસ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું છે. દેહરાદૂનનું ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે ૨૪ કલાક કાર્યરત છે. હું તમામ શક્ય સહાય પૂરી પાડવા બદલ પીએમ મોદીનો આભાર માનું છું. પીએમ મોદીએ આજે બચાવ કામગીરીની વિગતો પણ લીધી.
#WATCH | Uttarkashi cloudburst incident: Uttarakhand CM Pushkar Singh Dhami conducts an aerial survey of the cloudburst and flash flood-affected areas in Uttarkashi’s Dharali. pic.twitter.com/KzaytMHxnf
— ANI (@ANI) August 6, 2025
રાજકોટઃ જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થઇ છે. જેતલસર નજીક ગોડાઉનમાંથી 1 હજાર 212 બોરી મગફળીની ચોરી થઇ છે. ચોરાયેલી મગફળીની કિંમત 31 લાખ 64 હજારથી વધુ
મગફળીની ચોરી અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. પાલ આંબલિયાએ સવાલ કર્યો કે ગોડાઉનમાં CCTV કેમ નથી ? શું કોઈની મિલિભગતથી આ ચોરી થઈ છે? CCTV વગરના ગોડાઉનમાં મગફળી કેમ રાખી?
મુંબઈ: કબૂતખાના બંધ કરવા મુદ્દે જૈન સમાજ વિરોધ પર ઉતર્યો છે. કબૂતર ખાનાને ઢાંકેલી તાડપત્રી જૈન સમાજે ખોલી નાખી. કબૂતર ખાના ખોલી કબૂતરોને દાણા નાખવાનું શરૂ કર્યું. દાદરમાં જૈન સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યુ છે. કબૂતરને દાણા નાખવાના પ્રતિબંધ સામે જૈન સમાજ આક્રમક બન્યો છે.
હિમાચલ પ્રદેશઃ ભારે વરસાદને કારણે કિન્નોર કૈલાશ યાત્રા અટકાવાઈ છે. કિન્નોર જિલ્લાના તાંગલિંગમાં ભૂસ્ખલન સાથે પૂર આવ્યું છે. પૂરને કારણે નદી પરના લાકડાના પૂલ વહી ગયા. પૂરની સ્થિતિને જોતા કિન્નોર કૈલાશ યાત્રાને રોકી દેવામાં આવી. પર્યટકોને તાંગલિંગ ગામ અને ગણેશ પાર્કમાં રોકી દેવાયા.
ઉત્તરાખંડના ધરાલીમાં સર્જાયેલી કુદરતી આફતને પગલે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સતત રાહત અને રેસ્ક્યૂ ઓપરેશનનું મોનિટરિંગ કરી રહ્યા છે. આ સંદર્ભે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રેસ્ક્યૂ કામગીરીની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપતાં કહ્યું કે આફતને કારણે ફોન, ઈન્ટરનેટ અને ટાવરો સહિત વીજળી અને સંચાર વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે, જેની પુનઃસ્થાપના ઝડપથી થવી જોઈએ. CM ધામી ઘટનાસ્થળે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરકાશી તરફ રવાના થયા છે.
શ્રાવણ માસમાં ભક્તિભાવપૂર્વક ફરાળ લેનાર લોકો માટે રાજકોટમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી જલારામ ફરસાણ માર્ટમાં ભેળસેળથી ભરેલી ફરાળી પેટીસ પકડાઈ છે. આરોગ્ય વિભાગે તપાસ કરતાં જણાયું કે ફરાળી પેટીસમાં મકાઇના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઉપવાસ માટે યોગ્ય નથી. RMCના આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેતા ૮૫ કિલો પેટીસ અને ૫ કિલો મકાઇનો લોટ નાશ કર્યો હતો. આ ઉપરાંત ફરાળી ચીજવસ્તુઓના નમૂનાઓ અલગ અલગ પાંચ સ્થળેથી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
અમરેલી : સાવરકુંડલામાં વીજ ધાંધિયા મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ વિજપડી વીજ કચેરીએ જઇને સૂત્રોચ્ચાર કર્યા. 5 દિવસથી વીજ પુરવઠો અનિયમિત મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જાંબુડા, મઢડા, નવાગામ સહિતના ગ્રામ્યવિસ્તારના ખેડૂતોએ રજૂઆત કરી હતી. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ શાહીબાગની મનહર સોસાયટીમાં બબાલ થઇ છે. બે જૂથ વચ્ચે સામ-સામે આવ્યા છે. મારામારીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચી પોલીસ તપાસ હાથ ધરી.
અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ પાસે શેરબજારના પૈસાની લેતીદેતીને લઈને ફાયરિંગ થયુ હતુ, જેમાં આરોપીઓએ કારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટનામાં એક યુવકનું મોત થયુ છે. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે અને હાલમાં બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
Published On - 7:24 am, Wed, 6 August 25