
આજે 01 જુલાઇને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ક્વાડ બેઠક પહેલા, ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓ મુક્તપણે હરે ફરે છે. ભારતને સ્વરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. અમે અમારા સ્વરક્ષણ માટે અધિકારોનો ઉપયોગ કરીશું. પીડિતો અને ગુનેગારો સમાન ના હોઈ શકે.
ભરૂચના નેત્રંગ સ્થિત ચાસ્વડ ડેરીમાંથી ઘીની ચોરી થવા પામી છે. રૂપિયા 5 લાખ 60 હજારની કિંમતનુ 900 કિલો ઘી ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. 12 ફૂટ ઊંચી દીવાલ કૂદીને તસ્કર તબક્કાવાર ઘી ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. સ્ટોકની તપાસ કરતા ધીની ચોરીનો ભાંડો ફૂટ્યો છે. સીસીટીવી ફુટેજમાં આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સરકારી વેબસાઈટ પર સાઈબર એટેકની ફરિયાદની તપાસ કરશે NIA. એટીએસમાં નોંધાયેલી ફરિયાદની તપાસ NIAને સોંપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યની સરકારી વેબસાઈટ પર સાઈબર એટેકની ફરિયાદ નોંધાઈ હતી. ATSએ નડિયાદના જાસિમ અંસારી અને સગીરની ધરપકડ કરી હતી. આરોપીઓએ એક મહિનામાંં સરકારી વેબસાઈટો પર કર્યો હતો એટેક. ખાનગી ટેલિગ્રામ ચેનલ પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIA દ્વારા ફરીથી ફરિયાદ નોંધાઈ. આઈટી એક્ટ મુજબ NIA દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ટેકનીકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરવાની કામગીરી શરૂ કરાઈ.
ગુજરાત કોંગ્રેસના પાટીદારો નેતાઓની અમદાવાદમાં બેઠક યોજાઈ છે. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક યોજાઈ છે. કોંગ્રેસથી વિમુખ થયેલ પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજને પ્રતિનિધિત્વ આપવા ચર્ચા કરવાનો એજન્ડા છે. બેઠકમાં દિલ્લી હાઈકમાન્ડને મળવાની પણ થશે ચર્ચા. શક્તિસિંહના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું પદ ખાલી છે. કોંગ્રેસની ડોર પાટીદારના મળે તેના માટે થશે ચર્ચા. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બેઠક અંગે જણાવ્યું કે, હું તો ઈચ્છું છું કે કોઈ પાટીદાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બને. પ્રદેશ અધ્યક્ષ પદ ખાલી પડ્યું છે, ત્યારે તમામને એના પર દાવો કરવાનો હક છે. કિરીટ પટેલ, લલિત વસોયા, ગીતા પટેલ, લલિત કગથરા, મનહર પટેલ, ડૉ જીતુ પટેલ, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓ ઉપસ્થિત છે. મોરબી જિલ્લા પ્રમુખ કિશોર ચીખલિયા, જામનગર જિલ્લા પ્રમુખ મનોજ કથીરીયા, જૂનાગઢ શહેર પૂર્વ પ્રમુખ અમિત પટેલ આ પણ બેઠકમાં ઉપસ્થિત છે.
થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગમાંથી ચારમાંંથી ત્રણ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી છે. જ્યારે ખેેડૂત વિભાગમાંથી દસમાંથી નવ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી હતી. થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેનને બંન્ને વિભાગોમાંથી કુલ 2 જ બેઠકો મળી છે. થરા યાર્ડની કુલ 14 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. ભાજપ તરફથી મેન્ડેડ ના મળતા, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન આણદા પટેલ નવી પેનલ બનાવી ચૂંટણી લડ્યા હતા.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી આસામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી હતી. મૃતક શિવાલી કશ્યપ મૂળ આસામની છે. અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરી રહી હતી. સૌરભ પુરોહિત નામના યુવક સામે છેલ્લા 4 મહિનાથી ઘાટલોડિયાના વર્ધમાનનગરમાં રહેતી હતી શિવાલી અને 2 વર્ષ થી બન્ને એકબીજાના સંપર્કમાં હતા.
વલસાડ જિલ્લાના ઉંમરગામની GIDCની ઘટના. જી બી પેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં શેડ પડતા ચાર મજૂરો દબાયા હતા. જેમાંથી એકનુ મોત થયું છે. જ્યારે બાકીના 3ને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જી બી પેક પ્રાઈવેટ લિમિટેડ પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવે છે. ઘટનાને પગલે પોલીસ, ફાયર અને 108 સ્થળ પર પહોચીને ત્વરીત બચાવ અને રાહત કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર નભોઈ કેનાલમાં કાર ખાબકી છે. કારમાં સવાર પાંચ વ્યક્તિઓ ડૂબ્યાં હતા. ગાંધીનગર ફાયર ઘટના સ્થળે ત્વરીત પહોંચી ગયું છે. હાલ બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ, કોંગ્રેસના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફટકારેલી બદનક્ષીની નોટિસ અંગે જણાવ્યુ કે, આમ આદમી પાર્ટીની લિગલ ટીમ તેનો જવાબ પાઠવશે. ગઢવીએ કહ્યું કે, અમને લીગલ નોટિસની જાણ થઈ છે. ભૂતપૂર્વ ધારાસભ્યોએ માનહાનિનો દાવો કર્યો છે. નોટિસ અંગે અમારી લીગલ ટીમ તે અંગે તપાસ કરશે. એકવાર નોટિસ મળ્યા બાદ શું કારણ છે, શું તથ્ય છે, તે અંગે જોઇશું. નોટિસમાં શું શું ઉલ્લેખ કરાયો છે તે અંગે ચકાસણી કરાશે. કયા આધારે …કયા દાવા સાથે નોટિસ અપાઈ છે, તેની તપાસ થશે અને લીગલ ટીમ તેમને લીગલ જવાબ આપશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજીત 3 લાખ જેટલા પશુપાલકો માટે સાબર ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરી દ્વારા પશુદાણમાં ભાવ ઘટાડો કરાયો છે. 65 કિલોગ્રામ પશુદાણની બેગ પાછળ 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 50 રૂપિયા ભાવ ધટાડો કરતા, સાબરડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને દૈનિક 8 લાખ રૂપિયાની બચત થશે. અગાઉ 65 કિલોગ્રામ બેગનો ભાવ 1600 રૂપિયા હતો. આવતી કાલથી નવો ભાવ અમલમાં આવશે. 1550 રૂપિયાના ભાવે આવતી કાલથી પશુપાલકોને પશુદાણ વેચાણ કરાશે.
ગાંધીનગરના યુવકોની કારને મુઝફ્ફરનગરમાં ગંભીર અકસ્માત નડતા, ચારના મોત થયા છે. ગાંધીનગરના યુવકો ઈનોવા કારને મુઝફ્ફરનગરના બ્રિજ ઉપર અક્સ્માત નડ્યો હતો. જેમાં એમની ઈનોવા કાર રેલીંગ તોડી 20 ફૂટ ઊંડે ખાબકી હતી.અકસ્માતમાં ચાર યુવકોના મૃત્યુ થયા હતા. ઉતર પ્રદેશના મુઝફ્ફરનગરના સરકારી હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહ લેવા માટે પરિવારજનો પહોંચ્યા છે. ઘટનામાં હજુ એક યુવક ગભીર રીતે ઘાયલ થયો છે, જેને પણ એમ્બ્યુલન્સમાં રીફર કરી ગાંધીનગર લાવવા ની તૈયારીઓ કરાઈ છે.
રાજકોટ: પ્રથમ વરસાદમાં જ મનપાની કામગીરીની પોલ ખુલી. માત્ર 2 ઈંચ વરસાદમાં 20 ફૂટ જેટલો ડામરનો રસ્તો તણાયો. ગોપાલ ચોક પાસે રસ્તો તણાતા ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા. રસ્તા પરથી નદીની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોંગ્રેસે તંત્ર સામે ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ છે.
રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
રાજકોટઃ કોંગ્રેસ નેતા લલિત વોસાયાએ ગોપાલ ઈટાલિયા પર બદનક્ષીનો દાવો કર્યો. ગોપાલ ઇટાલિયાને 10 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ ફટકારી. વિસાવદર પેટાચૂંટણીમાં લલિત વસાયાની બદનામી કર્યાનો આરોપ છે.
લલિત વસોયા રૂપિયા આપતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો. પુરાવા ન હોવા છતાં સ્ટિંગ ઑપરેશનના નામે બદનામી કર્યાનો દાવો કર્યો. લલિત વસોયાએ નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ માગ્યો.
હિમાચલ પ્રદેશ: વાદળ ફાટ્યા બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હમીરપુર તાલુકાના અનેક ગામ જળમગ્ન થયા. બ્લાહ ગામમાં પૂરના પાણી ફરી વળતા અનેક લોકો ફસાયા. પૂરમાં ફસાયેલા લોકોનું પોલીસકર્મીઓ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. બાળકો સહિત લોકોને બચાવી સલામત સ્થળે ખસેડાયા.
ગાંધીનગરઃ સેક્ટર-1 ચ-0 પાસે બાળકી ખાડામાં પડતા મોત થયુ છે. ગાંધીનગર ફાયરને કોલ મળતા ઘટનાસ્થળે પહોંચી છે. વરસાદને કારણે અનેક ખાડા પડ્યા છે. ત્યારે મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીનો સ્થાનિકોનો આરોપ છે.
કચ્છનો પ્રખ્યાત પાલરધુ ધોધ જીવંત થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ધોધ સક્રિય થયો છે. દેશલપર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભુજ-નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિર પાસે ધોધ આવેલો છે.
તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટનો મામલામાં મૃત્યુઆંક 37 પર પહોંચ્યો છે. 35થી વધુ લોકો ઘાયલ છે. સંગારેડ્ડીની સિગાચી ફાર્મા કંપનીમાં આ ઘટના બની હતી. બ્લાસ્ટ બાદ વિકરાળ આગની ઝપેટમાં અનેક કામદારો આવ્યા હતા. ઘાયલોને જુદી-જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા.
દાહોદ: દેવગઢ બારિયા પાસેનો પુલ ધોવાયો છે. પાનમ નદી પરનો પુલ વરસાદી પાણીમાં ધોવાયો. પુલ પર મોડા ખાડા પડી જતા લોકોને હાલાકી થઇ રહી છે. રસ્તાની હાલત બિસ્માર બનતા અકસ્માતનો ભય છે. સ્થાનિકોએ તાત્કાલિક પુલના સમારકામની માગ કરી. સમારકામ નહીં થાય તો દુર્ઘટના સર્જાઇ શકે છે.
ગાંધીનગર: ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે. કલોલના વડસર-ખત્તરજ રોડ પર કારમાંથી જથ્થો ઝડપાયો. 5 લાખની વિવિધ બ્રાન્ડની 3 હજાર બોટલ પોલીસે કબજે કરી. કાર સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને પાસા હેઠળ ગુનો નોંધ્યો.
સાબરકાંઠા બેંકના ચેરમેન હંસાબેન પટેલ સામેનો વિવાદ વધુ વકર્યો છે. રાજ્યના અધિક રજિસ્ટ્રાર દ્વારા સહકારી માળખામાં એક મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે, જેના પગલે હંસાબેન પટેલને ચેરમેન પદ પરથી દૂર થવું પડી શકે છે. હંસાબેન પટેલ ખોટી રીતે સેવા સહકારી મંડળીમાં સભાસદ બનીને બેંકના ચેરમેન બન્યા છે. આ અંગે સતત રજૂઆતો કરવામાં આવતા, આખરે રાજ્યના અધિક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને સેવા સહકારી મંડળીના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.અધિક જિલ્લા રજિસ્ટ્રાર આદેશ બાદ હિંમતનગરના સહકારી આગેવાનોએ હંસાબેન પટેલને હોદ્દા પરથી દૂર કરવાના આદેશનું પાલન ઝડપથી થાય તે માટે રજૂઆત કરી છે
ગાંધીનગરઃ દહેગામના ઝાંક ગામની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઇ છે. જમ્યા બાદ 200 જેટલા બાળકની તબિયત લથડી. તમામ બાળકોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા. હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે. 24 કલાક સુધી બાળકોનો હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રખાયા. વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવોની ફરિયાદ છે. કલેકટર મેહુલ દવેએ દાખલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી. બાળકોની સારવાર અંગે કલેક્ટરે માહિતી મેળવી.
Published On - 7:45 am, Tue, 1 July 25