01 ઓગસ્ટના મહત્વના સમાચાર: નવસારીમાં અંબિકા નદીનું પાણી 35 ફૂટે પહોંચતા 50 હજાર લોકો પ્રભાવિત

આજે 01 જુલાઈને ઓગસ્ટના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

01 ઓગસ્ટના મહત્વના સમાચાર: નવસારીમાં અંબિકા નદીનું પાણી 35 ફૂટે પહોંચતા 50 હજાર લોકો પ્રભાવિત
| Edited By: | Updated on: Aug 01, 2026 | 10:02 AM

LIVE NEWS & UPDATES

  • 01 Aug 2026 10:02 AM (IST)

    નવસારીમાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 35 ફૂટે પહોંચતા 50 હજાર લોકો પ્રભાવિત

    નવસારી જિલ્લાના ગણદેવીમાંથી વહેતી અંબિકા નદીએ ભારે વરસાદને પગલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભયજનક સપાટી 28 ફૂટ સામે નદીની જળસપાટી વધીને 35 ફૂટે પહોંચી જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદીના વધેલા જળસ્તરના કારણે બીલીમોરા શહેરના અંદાજે 50 હજાર લોકો પ્રભાવિત થયા છે. ઉપરાંત અંબિકા કાંઠાના ગણદેવી અને વાંસદા તાલુકાના કુલ 45 ગામો પણ પૂરની અસર હેઠળ આવ્યા છે. નદીમાં સતત વધી રહેલી પાણીની આવકને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

  • 01 Aug 2026 09:46 AM (IST)

    રાજ્યમાં મેઘતાંડવ, એક જ દિવસમાં 8 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

    રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે એક જ દિવસમાં 8 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારી જિલ્લામાં 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે તાપીમાં 1,300થી વધુ અને સુરતમાં 1,400થી વધુ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં 914 અને વડોદરામાં 300થી વધુ લોકોને પણ સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 12 સ્ટેટ હાઈવે અને 252 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 17, SDRFની 33 તેમજ ભારતીય સેનાની 6 ટીમોને વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.


  • 01 Aug 2026 09:35 AM (IST)

    સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, તંત્રે જાહેર કરી સાવચેતીની સૂચના

    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ડેમમાંથી પાણીની આવક વધતાં સાવચેતીની જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને ચુડા અને ગોખરવાળા ગામના લોકોને સતર્ક રહેવા અને નદીમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાની માલમિલકત અને જરૂરી સામાન સલામત સ્થળે ખસેડવાની પણ વિનંતી કરવામાં આવી છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે.

  • 01 Aug 2026 09:26 AM (IST)

    રાજકોટના જસદણમાં સાર્વત્રિક વરસાદ, 2 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી

    રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સતત વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં જસદણમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જસદણ ઉપરાંત આટકોટ, પાંચવડા, જીવાપર, કમળાપુર અને લીલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જસદણના નવા બસ સ્ટેન્ડ અને ચિતલિયા રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

  • 01 Aug 2026 09:24 AM (IST)

    દેવ ડેમનું પાણી છોડાતા ઢાઢર નદીમાં ઘોડાપૂર, ડભોઈના 7 ગામોનો સંપર્ક તૂટ્યો

    વડોદરા જિલ્લાના દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના ગામોમાં ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે અને પૂરનાં પાણીના કારણે સાત ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ડાંગીવાડા, નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા તેમજ મગનપુરા અને સુવાલજા સહિતના ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ડભોઈ-વાઘોડિયા માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે, જેના કારણે વાઘોડિયા GIDC અને હોસ્પિટલ સુધી પહોંચવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર ચોમાસે પૂરનાં પાણીથી પરેશાન બનતા આ ગામોના લોકો માટે ફરી મુશ્કેલી ઊભી થઈ છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

  • 01 Aug 2026 09:24 AM (IST)

    નવસારીમાં અતિવૃષ્ટિનો કહેર, 160 રસ્તા બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો

    નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લામાં કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં તમામ રસ્તાઓ પંચાયત હસ્તકના માર્ગો છે. સૌથી વધુ વાંસદા તાલુકામાં 53 અને ગણદેવી તાલુકામાં 33 રસ્તાઓ બંધ કરાયા છે. કુલ 155 રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ઉપરાંત ચાર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને પણ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 01 Aug 2026 09:24 AM (IST)

    મહીસાગરના લુણાવાડામાં મોડીરાત્રે મેઘતાંડવ, રસ્તાઓ નદીમાં ફેરવાયા

    મહીસાગર જિલ્લામાં મોડીરાત્રે પડેલા ધોધમાર વરસાદે લુણાવાડા શહેરને પાણી-પાણી કરી દીધું હતું. ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. લુણાવાડા-શામળાજી હાઈવે પર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. હાઈવે કિનારે આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે વરસાદ બંધ થતાં ધીમે ધીમે પાણી ઓસર્યા બાદ હાઈવે ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

  • 01 Aug 2026 09:23 AM (IST)

    વડોદરામાં વરસાદથી હોસ્ટેલમાં પાણી ભરાયા, 150 વિદ્યાર્થીઓને મધરાતે સ્થળાંતર કરાયા

    વડોદરામાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસી ગયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા રાત્રે લગભગ 3 વાગ્યે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે સંકલન કરીને હોસ્ટેલમાં રહેતા 150 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સ્થળાંતર કરાયેલા લોકોમાં 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

  • 01 Aug 2026 09:23 AM (IST)

    સુરતના ભાટકોલ ગામમાં પૂરની સ્થિતિ, ગામ બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત

    સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટકોલ ગામ ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં અનેક ઘરો અને રસ્તાઓ જળમગ્ન થતાં લોકોનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે તંત્ર પરિસ્થિતિ પર નજર રાખીને જરૂરી કામગીરી કરી રહ્યું છે.

  • 01 Aug 2026 09:23 AM (IST)

    અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર, વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર

    અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. વિરમગામ અને માંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે. વિરમગામ શહેરમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભરવાડી દરવાજા, પરકોટા, વિરમગામ-માંડલ રોડ, બસ સ્ટેશન રોડ, શાક માર્કેટ અને સેવાસદન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરનું જનજીવન પણ ખોરવાયું છે.

  • 01 Aug 2026 08:48 AM (IST)

    અમદાવાદમાં CNG મોંઘી, અદાણીએ પ્રતિ કિલો રૂ. 4નો ભાવ વધારો ઝીંક્યો

    અમદાવાદના વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ CNGનો દર અગાઉના રૂ. 90.02 પ્રતિ કિલોથી વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થયો છે. નવા ભાવ અમલમાં આવતા ખાનગી વાહનચાલકો તેમજ CNG આધારિત ઓટો-રિક્ષા અને ટેક્સી ચાલકોના ઇંધણ ખર્ચમાં વધારો થશે.

  • 01 Aug 2026 08:34 AM (IST)

    વલસાડમાં ઔરંગા નદીના બ્રિજ પર પૂર વચ્ચે ફસાયેલા ત્રણ યુવકોનું રેસ્ક્યુ

    વલસાડમાં ઔરંગા નદીના બ્રિજ પાસે મોડી રાત્રે પૂરના ઘસમસતા પાણી વચ્ચે ત્રણ યુવાનો ફસાઈ ગયા હતા. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં બ્રિજ પરથી પસાર થઈ રહેલા ત્રણેય યુવકો બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતાં તંત્ર અને ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે પાણીના પ્રવાહ વચ્ચે સફળ બચાવ કામગીરી કરીને ત્રણેય યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

  • 01 Aug 2026 08:13 AM (IST)

    વલસાડમાં પૂર વચ્ચે ફસાયેલા ત્રણ યુવકોનું સફળ રેસ્ક્યુ, ફાયર ટીમે બચાવ્યા જીવ

    વલસાડના બંદર રોડ પર ઔરંગા નદીના બ્રિજ ઉપર ઘસમસતા પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે ઔરંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં ત્રણેય યુવકો બ્રિજ પર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. વલસાડ નગરપાલિકાની ફાયર ટીમે અંધારી રાત્રિ અને પૂરનાં તેજ પ્રવાહ વચ્ચે જોખમ ખેડીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને ત્રણેય યુવકોને સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યા.

  • 01 Aug 2026 08:08 AM (IST)

    નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક, પ્રથમ વખત સપાટી 130 મીટરને પાર

    ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત ડેમની જળસપાટી 130 મીટરને પાર પહોંચી 130.60 મીટર નોંધાઈ છે. હાલ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના અંદાજે 74 ટકા સુધી ભરાયો છે. ઉપરવાસમાંથી હાલમાં 67 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કેનાલમાં 1,637 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નોંધનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં ડેમની સપાટી 126 મીટર હતી, જેની સરખામણીએ હવે પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

  • 01 Aug 2026 07:48 AM (IST)

    ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 255 તાલુકામાં મેઘમહેરથી જનજીવન પ્રભાવિત

    રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળ્યું છે. સુરતના અંબિકા વિસ્તારમાં 24 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે તાપીના ડોલવણમાં 16.72 ઇંચ અને ખેડાના વસોમાં 16.38 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રાજ્યના 30 તાલુકામાં 7 ઇંચથી વધુ અને 145 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.

આજે 01 જુલાઈને ઓગસ્ટના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:47 am, Sat, 1 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.