આજે 01 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ઈરાને યુએઈમાં આવેલા એમેઝોનના ડેટા સેન્ટરો પર ડ્રોનથી હુમલો કર્યો છે. જેના કારણે ઇમારતોને નુકસાન થયું. આ પહેલી વાર છે, જ્યારે યુદ્ધમાં વાણિજ્યિક ડેટા સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેનાથી વૈશ્વિક સુરક્ષા અને ટેકનોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચિંતાઓ વધી રહી છે.
મહેસાણાના કડીના ઉંટવા ગામની સીમમાં થયેલા 4 લોકોની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આકરો ચુકાદો આપ્યો છે. મોતીબા આશ્રમમાં હત્યા અને લૂંટ ચલાવનાર આરોપી પતિ-પત્નીને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી છે. વર્ષ 2004માં આરોપીઓએ ધારીયા વડે 4 જણાની ઘાતકી હત્યા કરી હતી. આશ્રમના ટ્રસ્ટી ચિમનલાલ, માતાજી સમતાનંદ, કોન્ટ્રાક્ટર મોહનભાઈ અને સેવક કરમણભાઈને ઉતાર્યા હતા મોતને ઘાટ. હત્યા બાદ દાગીના અને સામાન મળી કુલ રૂ. 1.69,750ની મત્તાની ચલાવી હતી લૂંટ. 5 મા એડિશનલ સેશન્સ જજની કોર્ટે આરોપી ગોવિંદસિંગ અને તેની પત્ની રાજકુમારીને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ ફટકારી. આ ઉપરાંત બંને આરોપીઓને રૂપિયા 50-50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
વડોદરા પાદરામાં આઠ મહિના પૂર્વે તુટી પડેલ ગંભીરા બ્રિજ આજથી દ્વિચક્રી વાહન અને પદયાત્રી માટે ખુલ્લો મુકાયો છે. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વિધિવત શ્રીફળ વધેરી બ્રિજને ખુલ્લો મુક્યો. 80 ટનનું સ્ટીલનું માળખું તૂટેલા ભાગ પર મુકવામાં આવ્યું છે. બ્રીજનું ઓવરલોડ ટેસ્ટિંગ કરી અને બ્રિજ મુકાયો ખુલ્લો. ગત જુલાઈ મહિનામાં બ્રિજ તૂટી પડ્યો હતો. આઠ મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરી અને બ્રિજ ખુલ્લુ મુકાયો છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે FIR થતાં જ, વરાછા- કતારગામ પોલીસનો આપ પાર્ટીના કાર્યકરો ઘેરાવ કર્યો હતો. AAP ના કાર્યકરો ડ્રગ્સની ડીલ કરવા નથી આવ્યા કહીને DCPની ઓફિસમાં ઘૂસ્યા હતા. ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવનાર આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પુણા પોલીસ સ્ટેશનમાં એક અને કતારગામ પોલીસ સ્ટેશનમાં બે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા. જે આપ પાર્ટીના કાર્યકર્તા હોવાથી મોટી સંખ્યામાં આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
માર્ચ 2026 માં સ્ટેટ GST ની આવકમાં 19% નો વધારો નોંધાયો છે. આ વર્ષે માર્ચ મહિનામાં સ્ટેટ જીએસટીને 7,352 કરોડની આવક થઈ છે. 2025 ના માર્ચ મહિનામાં જીએસટીને 6,190 કરોડની થઈ હતી આવક. જીએસટીને વેટ હેઠળ 2,714 કરોડ, વિદ્યુત શુલ્ક 1,328 કરોડ, વ્યવસાય વેરાની આવક 24 કરોડની થઈ. માર્ચ 2026 માં જીએસટીને કુલ આવક 11,418 કરોડની થઈ. માર્ચ 2025-26 માં જીએસટી હેઠળ 81,410 કરોડની આવક થઈ છે. પાછલા વર્ષની સરખામણીએ આવકમાં 11.1% વધારો નોંધાયો છે. વર્ષ 2025-26 માં વેટ હેઠળ 32,677 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 12,493 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 266 કરોડની થઈ હતી આવક, આમ કુલ આવક 1,26,846 કરોડ થઈ છે.
અમદાવાદના બોડકદેવમાં, માત્ર 200 રૂપિયા માટે 10 વર્ષના દીકરાની હાજરીમાં પતિએ, પત્ની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પરણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પતિ ધીરજ વઢવાણા વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ. પત્નીએ અંગત ખર્ચ માટે પૈસા નહીં આપતા કર્યો હિંસક હુમલો. બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનો દૌર શરૂ થયો છે. અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ઉત્તર ઝોનની બેઠક યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેની ઉપસ્થિતિ. પક્ષના પદાધિકારીઓ, ધારાસભ્યો સહિતના હોદ્દેદારો હાજર રહ્યાં હતા. શહેર અધ્યક્ષ, મહામંત્રી સહિતના હોદ્દેદારો પણ હાજર. બેઠકમાં ચૂંટણીલક્ષી સમીક્ષા કરાઈ હતી. રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી, પૂર્વ મંત્રી બળવંત રાજપૂત, ભીખુ પરમાર સહિતના નેતાઓ પણ બેઠકમાં પહોચ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યાં હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને ભાજપના આદેશ પર ખંભાળીયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને આપના ગોપાલ રાયે, અધિકારીઓને ચિંમકી આપી હતી કે, ગુજરાતમાં ભાજપની સરકાર અનંતકાળ સુધી રહેવાની નથી. હા જી હા કરીને સરકારી વાજીત્ર ના બનો. કોંગ્રેસની ચૂપકિદીને કારણે ભાજપ ગુજરાતમાં મનફાવે તેમ વર્તી રહી છે. વિસાવદરમાં તમામ તાકાત લગાવી હોવા છતા આમ આદમી પાર્ટી જીતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય નાગરિકનો અવાજ બની રહી છે જેનાથી ડરીને ભાજપે આમ આદમી પાર્ટીના 162 અગ્રણી કાર્યકરો સામે ખોટા પોલીસ કેસ કરાવ્યા છે. સરકાર બદલાશે.
બોટાદના પાળીયાદના સાયલા નજીક રતનપર અને છૈડા ગામ વચ્ચે કાર-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર દંપતિનુ મોત થયું છે. બાઈક સવાર દંપતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક દંપતિના મૃતદેહોને પાળીયાદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
પાલનપુર અંબાજી હાઈવે પર અકસ્માતમાં બેના મોત થયા છે. બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત થયા હતા. ટક્કર થતા બાઈક પર સવાર બે લોકો ઘટના સ્થળે મોત નીપજયા. અંબાજી હાઈવે પર મુમનવાસ પાટીયા પાસે થયો અકસ્માત. મૃતકના મૃતદેહોને વડગામ રેફરલમાં ખસેડાયા છે. વડગામ પોલીસે વધુ તપાસ ધરી છે.
આમ આદમી પાર્ટીના બિહારના કાર્યકર ઉપર ખોટી કલમો લગાવીને પોલીસે કસ્ટડીમાં લેતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખંભાળિયા પોલીસ સ્ટેશને તડાફડી બોલાઈ છે. પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને હોબાળો થયાના વાવડ ફેલાતા જ, DYSP, LCB, SOG સહીત પોલીસના ધાડેધાડા ખંભાળિયા પોલીસ મથકે ઉમટ્યા હતા. પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બિહારથી આવેલા આપ કાર્યકર દીપક કુમાર સિંગ પર થયેલ ફરિયાદ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આપ કાર્યકર પર લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાનો આરોપ લગાવાયો છે. ઇસુદાન ગઢવી પોલીસ કાર્યવાહી સામે આકરા પાણીએ. વીડિયો ઉતારતા કાર્યકરોને પોલીસે રોક્યા હતા. તેમજ પી.આઈ. સાથે ચકમક થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને લઈને ઇસુદાન ગઢવીને નજરકેદ કરવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાંથી પસાર થતી મહી નદી પર આવેલો તાંતરોલી બ્રિજ 16 દિવસ અવરજવર માટે કરાયો બંધ. મહી નદી પરનો જૂનો તાંતરોલી બ્રિજ તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. ખાનપુર, કડાણા અને ત્યાંથી રાજસ્થાનને જોડતો મહત્વનો બ્રિજ છે તાંતરોલી. આ બ્રિજ બંધ કરાતા રાજસ્થાન જવા માટે ફરીને જવુ પડશે. આજથી 16 એપ્રિલ સુધી બ્રીજ પર વાહનો અને રાહદારીઓ માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. બ્રીજની મજબૂતી ચકાસવા માટે હાથ ધરાયો બ્રીજ લોડ ટેસ્ટ. ભારે વાહનો શરૂ કરવાના હેતુથી તંત્ર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. ચોમાસામાં ડુબાણમાં રહેતા બ્રીજની સુરક્ષાને ધ્યાને રાખી ટેસ્ટિંગ શરૂ કરાયું છે.
અમદાવાદમાં દારુનો ધંધો કરનારા બુટલેગરોએ દારુની હેરાફેરી માટે નવો નુસખો શોધી કાઢ્યો છે. રિક્ષામાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રિક્ષાના CNG બાટલો મુકવાની જગ્યાએ, દારુની બાટલીઓ ગોઠવી દેવાઈ હતી. રિક્ષા CNG ગેસના બાટલાને એમને એમ રાખીને પેટ્રોલ ઉપર ચલાવતા હતા રિક્ષા. 140 દારૂની બોટલ 1.01 લાખનો મુદામાલ કબજે કરી એક આરોપી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાદિક મિર્ઝા ધરપકડ કરી. ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ દૂધ સહકારી સંઘ દ્રારા દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલોફેટે રૂપિયા 20નો વધારો રાજકોટ દૂઘ સહકારી સંઘે કર્યો છે. આ ભાવ વઘારાની સાથે પશુપાલકને હવે કિલોફેટે રૂપિયા 830 ચૂકવવામાં આવશે. આજથી લાગુ થયેલા દૂધના ખરીદ ભાવ વધારાનો લાભ, રાજકોટ દૂઘ સહકારી સંઘ સાથે જોડાયેલા 50,000 પશુપાલકને થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ, ટીવી 9 સાથે કરેલ વાતચીતમા ખુલ્લા મને કેટલીક બાબતોનો સ્વીકાર કર્યો હતો. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓ રાજ્યના સતત પ્રવાસે છે. આ પ્રવાસ થકી તેમણે જાણ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કાર્યકર્તાને ભાજપની ટિકિટ મળતા મૂળ ભાજપના કાર્યકર દુંખી થાય છે. પક્ષમાં વધી રહેલ જૂથવાદ અને આંતરિક મતભેદ-મનભેદ એ પરિવારની જેમ પક્ષ મોટો થઈ રહ્યો હોવાની નિશાની છે. ભાજપે નક્કી કર્યું છે કે, જેમની પણ સામે ક્રિમિનલ કે ફોજદારી ફરિયાદ હશે તેને ટિકિટ નહીં મળે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની જાહેરાત પૂર્વે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ કોંગ્રેસે કરી લીધી છે. અત્યાર સુધી બોગસ મતદાતાઓથી ભાજપ ચૂંટણીઓ જીતતું હતું. SIR ની કામગીરીમાં 74 લાખ બોગસ મતદાતાઓ કમી થયા છે. બોગસ મતદાતાઓના કારણે ભાજપને ફાયદો થતો હતો. ભાજપ સરકાર બધા જ મોરચે નિષ્ફળ ગઈ છે. જેનો કોંગ્રેસને લાભ થશે.
વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. કરજણના નેશનલ હાઈવે 48 પર આવેલા આ ટોલ પ્લાઝા પર નવા દર દર્શાવતાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. હવે સિંગલ ટ્રિપ માટે ટોલ ₹25 અને રિટર્ન માટે ₹40 વધારી દીધા છે. કાર અને જીપ માટે રિટર્ન ટોલ દરમાં ₹5નો વધારો થયો છે, જ્યારે મીની બસમાં રિટર્ન ટોલ દર ₹10 વધ્યા છે. વધારાના પગલાથી બસ અને ટ્રક માટે ટોલ ટેક્સ સિંગલ ટ્રિપમાં ₹10 અને રિટર્નમાં ₹20 વધ્યો છે. આ સુધારાથી મુસાફરો અને વાહનચાલકો પર ટોલ ખર્ચનો અસર દેખાશે.
જમ્મુના કાનાચક સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ, ભારતીય સેનાના રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (ડ્રોન) પર પાકિસ્તાની સેનાએ લગભગ 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી સરહદી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. જોકે, સદનસીબે આ ગોળીબારમાં ભારતીય ડ્રોનને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને તે સુરક્ષિત રહ્યો હતો. ભારતીય સેનાએ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી છે અને જરૂરી જવાબી પગલાં લેવા માટે સતર્કતા વધારી છે.
માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નોન પ્લાન રસ્તાઓના વિકાસ અને જાળવણી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અંદાજે 3,440 કરોડ રૂપિયાના ખર્ચે 5,700 કિલોમીટર લંબાઈના કુલ 2,342 રસ્તાના કામોને મંજૂરી આપી છે. આ અંતર્ગત નોન પ્લાન રસ્તાઓનું રીસરફેસિંગ કરવામાં આવશે જેથી માર્ગોની ગુણવત્તામાં સુધારો થાય. સાથે જ રસ્તાના મેન્ટેનન્સનો સમયગાળો વધારીને 4 વર્ષથી 8 વર્ષ સુધી કરવામાં આવ્યો છે, જ્યારે 25 કરોડ સુધીના કામોમાં સમય મર્યાદા 4 વર્ષથી વધારી 7 વર્ષ સુધી કરવામાં આવી છે. હવે રસ્તાની જાળવણીની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવશે, જેમાં ડામરની સપાટી અને આસપાસના સાઈનેજ જાળવવાનું પણ તેમની ફરજ રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રસ્તાઓની ગુણવત્તા અને દીર્ઘકાલીન ટકાઉપણામાં વધારો થવાની અપેક્ષા છે.
અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત બનાવવાની કામગીરી ચાલુ છે, જેમાં શહેર પોલીસ કમિશનરે ગરીબનગર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મુખ્ય પોલીસ અધિકારી (CP) દ્વારા ટ્રાફિક સમસ્યાઓની સ્થિતિ જોઈને સુધારાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાઓ ઓછી કરવા માટે કેટલીક કટો બંધ કરવામાં આવી છે અને પોલીસ સતત માર્ગ પર નજર રાખી રહી છે. શહેરમાં વાહનચાલકોની સુવિધા માટે ટ્રાફિક વ્યવસ્થાના નવીન ઉપાય અમલમાં મુકવામાં આવી રહ્યા છે, જેથી શહેરમાં ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય.
રાજકોટમાં RMCની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા આરંભ થઇ છે, જે બે દિવસમાં ત્રણ અલગ-અલગ ઝોન મુજબ હાથ ધરાશે. 9 જેટલા નિરીક્ષકો 18 વોર્ડોમાં જઈને દાવેદારોની સુનાવણી કરશે અને તેમને ટોળાશાહી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. વિવિધ વોર્ડોમાં દાવેદારોની નોંધણી ચાલી રહી છે, જેમાં એક જ વોર્ડમાંથી 50થી 100 જેટલા ઉમેદવારોએ આવેદન પાઠવ્યા છે. પૂર્વ મેયર નયના પેઢડિયા સહિત પૂર્વ કોર્પોરેટરોએ પણ પોતાનું દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો દ્વારા ત્રણ નામોની પેનલ તૈયાર કરી તેને ચૂંટણી સમિતીને સોંપવામાં આવશે, અને અંતે ચૂંટણી સમિતિ જ ઉમેદવારીના આખરી નામો જાહેર કરશે.
દેશમાં આજથી વસતી ગણતરી–2027નો પ્રારંભ થયો છે, જે આઝાદી બાદ પહેલીવાર જાતિ આધારિત માહિતી સાથે કરવામાં આવી રહી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં દેશભરમાં 30 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે અને ગણતરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થઈ સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં રહેઠાણની સ્થિતિ અને મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. આ માટે પરંપરાગત પદ્ધતિ સાથે ડિજિટલ ડિવાઈસનો પણ ઉપયોગ કરવામાં આવશે અને કર્મચારીઓ ઘરે-ઘરે જઈને 33 સવાલો પૂછશે, સાથે જ નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન વિગતો ભરવાની સુવિધા પણ આપવામાં આવી છે. બીજા તબક્કામાં જાતિ આધારિત વસતીની ગણતરી કરવામાં આવશે, અને આ પ્રક્રિયામાં સહયોગ ન આપનારાઓ માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
દેશના અનેક મહાનગરોમાં હવાઈ ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે, જેના કારણે એવિએશન સેક્ટર પર સીધી અસર જોવા મળી રહી છે. ATFમાં આશરે 115 ટકાનો વધારો થતાં તેની કિંમત ₹96,638થી વધીને લગભગ ₹2.07 લાખ પ્રતિ કિલોલીટર સુધી પહોંચી ગઈ છે. સૌથી વધુ ભાવ ચેન્નઈમાં ₹2.14 લાખને પાર થયા છે, જ્યારે દિલ્લીમાં ₹2.07 લાખ, કોલકાતામાં ₹2.05 લાખ અને મુંબઈમાં ₹1.94 લાખ પ્રતિ કિલોલીટર સુધી પહોંચ્યા છે. 1 માર્ચ 2026ની સરખામણીએ ભાવ લગભગ બેગણા થઈ જતા એરલાઈન્સના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આવનારા સમયમાં ફ્લાઈટ ટિકિટોના દરોમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એપ્રિલ મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે, કારણ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.195નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેનો ભાવ રૂ.2078ને પાર પહોંચી ગયો છે. નોંધનીય છે કે પહેલી માર્ચે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.115નો વધારો થયો હતો, એટલે કે માત્ર એક જ મહિનામાં કુલ રૂ.310નો વધારો નોંધાયો છે. આ સાથે જ એક વર્ષમાં પાંચમી વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થતા હોટલ અને વેપારીઓ પર ખર્ચનો બોજો વધ્યો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો ન થતાં સામાન્ય ગૃહિણીઓને થોડી રાહત મળી છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ટ્વીટ કર્યું, “આવતીકાલે રાત્રે 9 વાગ્યે (ET), રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર મહત્વપૂર્ણ અપડેટ આપવા માટે રાષ્ટ્રને સંબોધન કરશે.” આ આવતીકાલે ભારતીય સમય મુજબ સવારે 6:30 વાગ્યે થશે.
Published On - 7:17 am, Wed, 1 April 26