01 એપ્રિલના મહત્વના સમાચાર: આજથી નવો આવકવેરા અધિનિયમ 2025 થયો લાગુ,નોકરીયાત વર્ગ માટે HRAના નવા નિયમો લાગુ
આજે 01 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
01 Apr 2026 09:30 AM (IST)
દેશમાં આજથી વસતી ગણતરી-2027નો પ્રારંભ
દેશમાં આજથી વસતી ગણતરી–2027નો પ્રારંભ થયો છે, જે આઝાદી બાદ પહેલીવાર જાતિ આધારિત માહિતી સાથે કરવામાં આવી રહી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં દેશભરમાં 30 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે અને ગણતરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થઈ સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં રહેઠાણની સ્થિતિ અને મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. આ માટે પરંપરાગત પદ્ધતિ સાથે ડિજિટલ ડિવાઈસનો પણ ઉપયોગ કરવામાં આવશે અને કર્મચારીઓ ઘરે-ઘરે જઈને 33 સવાલો પૂછશે, સાથે જ નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન વિગતો ભરવાની સુવિધા પણ આપવામાં આવી છે. બીજા તબક્કામાં જાતિ આધારિત વસતીની ગણતરી કરવામાં આવશે, અને આ પ્રક્રિયામાં સહયોગ ન આપનારાઓ માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
-
01 Apr 2026 08:55 AM (IST)
દેશના અનેક મહાનગરોમાં હવાઈ ઈંધણની કિંમતોમાં વધારો
દેશના અનેક મહાનગરોમાં હવાઈ ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે, જેના કારણે એવિએશન સેક્ટર પર સીધી અસર જોવા મળી રહી છે. ATFમાં આશરે 115 ટકાનો વધારો થતાં તેની કિંમત ₹96,638થી વધીને લગભગ ₹2.07 લાખ પ્રતિ કિલોલીટર સુધી પહોંચી ગઈ છે. સૌથી વધુ ભાવ ચેન્નઈમાં ₹2.14 લાખને પાર થયા છે, જ્યારે દિલ્લીમાં ₹2.07 લાખ, કોલકાતામાં ₹2.05 લાખ અને મુંબઈમાં ₹1.94 લાખ પ્રતિ કિલોલીટર સુધી પહોંચ્યા છે. 1 માર્ચ 2026ની સરખામણીએ ભાવ લગભગ બેગણા થઈ જતા એરલાઈન્સના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આવનારા સમયમાં ફ્લાઈટ ટિકિટોના દરોમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
-
01 Apr 2026 08:35 AM (IST)
અમદાવાદઃ પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાનું આયોજન
અમદાવાદમાં પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી, જે કેમ્પ હનુમાન મંદિરથી વાયુદેવતા મંદિર સુધી અંદાજે 16 કિલોમીટરનો માર્ગ કાપશે. આ શોભાયાત્રામાં હનુમાનજીનો રથ, ગદા, ઊંટગાડી તેમજ આશરે 200 બાઈકનો સમાવેશ થવાથી વિશેષ આકર્ષણ ઊભું થયું છે, સાથે જ વિવિધ ઝાંખીઓ લોકોનું ધ્યાન ખેંચશે. યાત્રા માર્ગ પર 50થી વધુ સ્થળોએ સ્વાગત કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ શોભાયાત્રા મંદિરથી શાહીબાગ અંડરબ્રિજ, પોલીસ કમિશનર કચેરી અને ત્યાંથી વાસણા સુધી પહોંચશે, જેને કારણે શહેરમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો છે.
-
01 Apr 2026 08:04 AM (IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે અને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં કોઈપણ સમયે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી શક્યતા વચ્ચે આજે થી પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. ભાજપના નિરીક્ષકો જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં જઈને સંભવિત ઉમેદવારો અંગે સેન્સ લેશે, જે પ્રક્રિયા આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કરી પાર્લમેન્ટરી બોર્ડને રિપોર્ટ સોંપવામાં આવશે અને આ રિપોર્ટના આધારે પ્રદેશ સમિતિ અંતિમ ઉમેદવારોની પસંદગી પર મંજૂરી આપશે.
-
01 Apr 2026 07:29 AM (IST)
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.195નો વધારો
એપ્રિલ મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે, કારણ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.195નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેનો ભાવ રૂ.2078ને પાર પહોંચી ગયો છે. નોંધનીય છે કે પહેલી માર્ચે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.115નો વધારો થયો હતો, એટલે કે માત્ર એક જ મહિનામાં કુલ રૂ.310નો વધારો નોંધાયો છે. આ સાથે જ એક વર્ષમાં પાંચમી વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થતા હોટલ અને વેપારીઓ પર ખર્ચનો બોજો વધ્યો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો ન થતાં સામાન્ય ગૃહિણીઓને થોડી રાહત મળી છે.
-
-
01 Apr 2026 07:28 AM (IST)
આજથી નવો આવકવેરા અધિનિયમ 2025 થયો લાગુ
આજથી નવા નાણાકીય વર્ષ 2026–2027ની શરૂઆત સાથે દેશમાં અનેક મહત્વપૂર્ણ આર્થિક અને કરવેરા સંબંધિત ફેરફારો અમલમાં આવ્યા છે. નવા આવકવેરા અધિનિયમ 2025 લાગુ થતાં નોકરીયાત વર્ગ માટે HRAના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે, સાથે જ PAN અને ITR સંબંધિત પ્રક્રિયાઓમાં પણ નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યા છે. NRI માટેના કરવેરા નિયમો તેમજ ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડની આવક પર લાગુ પડતા નિયમોમાં પણ સુધારા કરાયા છે. આ સિવાય, ટોલ પ્લાઝા પર હવે રોકડમાં ચુકવણી કરવાની સુવિધા બંધ કરવામાં આવી છે અને NHAI દ્વારા વાર્ષિક પાસના દરોમાં 2.5 ટકા વધારો કરવામાં આવ્યો છે, જેનો સીધો પ્રભાવ વાહનચાલકો પર પડશે.
-
01 Apr 2026 07:18 AM (IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે ઈરાન પર રાષ્ટ્રને સંબોધન કરશે
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ટ્વીટ કર્યું, “આવતીકાલે રાત્રે 9 વાગ્યે (ET), રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર મહત્વપૂર્ણ અપડેટ આપવા માટે રાષ્ટ્રને સંબોધન કરશે.” આ આવતીકાલે ભારતીય સમય મુજબ સવારે 6:30 વાગ્યે થશે.
આજે 01 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.