
આજે 15 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાત સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર 16 જૂને રાજકિય શોકની જાહેરાત કરી છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે રાજકોટમાં કરવામાં આવશે. આ સમય દરમિયાન ત્રિરંગો અડધી કાઠીએ ફરકશે.
ભાવનગર શહેરમાં બે ફ્લાઈટો બંધ થતા લોકોની વધી મુશ્કેલી. મુંબઈ અને પુણેની વિમાન સેવા બંધ થતાં વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અલંગ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને અન્ય એક્સપોર્ટ ઈમ્પોર્ટના વ્યવસાયને લઈ વેપારીઓ મુંબઈ અને પુણેમાં મુસાફરી કરે છે. તેથી આ એરલાઈન સેવા શહેરના લોકો માટે અનિવાર્ય છે. વિમાન સેવાઓ બંધ થવાથી શહેરના વ્યવસાય, રોજગારને ગંભીર અસર થવાની શક્યતા. ઉડાન સ્કીમનો નિર્ધારીત સમયગાળો પૂર્ણ થઇ ગયો હોવાથી આ સેવા બંધ કરાઈ છે. શહેરમાં એર કનેક્ટિવિટી મળી રહે તે માટે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણીયા સમક્ષ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો કેન્દ્રીય નાગરિક-ઉડ્ડયન મંત્રીએ શહેરની હવાઈ સેવા જળવાઈ રહેશે તેના માટે ખાતરી આપી.
કાગડોળે રાહ જ જોયા બાદ આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યોા છે. રાજકોટથી માંડીને દ્વારકા સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. જામનગરમાં મેઘરાજાએ જમાવટ કરી. તો રાજકોટમાં મેઘરાજાએ તોફાની ઇનિંગ રમતા શહેર પાણી પાણી થયું.. તો આ તરફ અમરેલીમાં પણ મેઘાનું આગમન ખેડૂતોની ખુશીનું કારણ બની. તો જૂનાગઢ, દ્વારકા અને ભાવનગરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સર્વત્ર ખુશીની લહેર ફરી વળી.
ભારે ઉકળાટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં મેઘરાજાએ જમાવટ કરી છે.. સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી, અને વરસાદે તંત્રની પોલ ખોલી. તો નવસારી, ડાંગ અને વલસાડમાં પણ સાર્વત્રિક વરસાદના સમાચાર છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે, તો ચોમાસાની રાહ જોઇ રહેલા નાગરિકોની આતૂરતાનો અંત આવ્યો છે.
રણવીરસિંહ અને તેમના પત્ની ચેતનાબા આધારકાર્ડ ના કામથી ઘરેથી બહાર નીકળ્યા અને વિમાન ક્રેશ થતા મૃત્યુ મળ્યું. આ પરિવાર ઓળખ સમાન આધારકાર્ડ ના કામથી બહાર નીકળ્યો અને પરિવાર માટે આધાર સમાન પતિ-પત્ની ના મૃત્યુ થયા. 20 વર્ષની દીકરી પિતા ના રહયા હોવાનું જાણી રહી છે જ્યારે 7 વર્ષનો બાળક પિતાની રાહ જોઈ રહ્યો છે. આજે 15 જૂને ફાધર્સ ડે છે. ફાધર્સ ડે ના દિવસે પિતા ઘરે પહોંચે એની રાહ અમદાવાદના મેઘાણીનગરનો નાનો બાળક જોઈ રહ્યો છે. જો કે એને ખબર નથી કે તેના પિતા કયા ગયા છે. મનદીપ નામના આ નાના બાળકના પિતા અને માતા 12 જૂને બપોરે ઘરે થી આધાર કાર્ડ ના કામથી બહાર નીકળ્યો હતો પરંતુ પરત જ નથી ફર્યો. વિમાન ક્રેશ થયુ એ સ્થળેથી મળેલી આધારકાર્ડની કોપી અને ગાડીની નંબર પ્લેટ પરથી જાણી શકાયુ છે કે પતિ પત્નીના મૃ્ત્યુ થયા છે. પરિવાર હાલ તેમના મૃતદેહની રાહ જોઈ રહ્યો છે. ઘરના સૌથી નાના સાત વર્ષના બાળકને તો હજુ ખબર જ નથી કે તેના માતાપિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. બાળકને તો એમ જ સમજાવવામાં આવ્યુ છે કે મમ્મી-પપ્પા હોસ્પિટલમાં છે.
આપને જણાવી દઇએ, ગઇ કાલ સાંજથી સ્થાનિકોની હાલત ખરાબ છે.ઘરોમાં પાણી ભરાઇ જતા લોકો ડુંગર પર ચઢી ગયા છે. ખાવા-પીવાના ફાંફા પડ્યા છે. લોકોનું નુકસાન થયું છે. છતાં, તંત્રનું કોઇ અધિકારી પૂછવા નથી આવ્યું. આવી મુશ્કેલીમાં સ્થાનિકોનું જીવન દુભર બન્યું છે. અત્યારે આવી હાલત છે. તો, ભર ચોમાસામાં શું થશે? ત્યારે, આંખ આડા કાન કરીને બેઠું વહીવટી તંત્ર ધ્યાન દોરે અને સ્થાનિકોની વ્હારે આવે તે જરૂરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડીની સાંઇ વાટીકા સોસાયટીમાં એક બાળ શ્વાનને અકસ્માતે મોતને ઘાટ ઉતારવાનો બનાવ બન્યો છે. સોસાયટીમાં ફરતા બાળ શ્વાન પર કાર ચઢી ગઈ હતી. જેમાં એક બાળ શ્વાનનુ મોત થયું હતું, જ્યારે એકને ઇજા થવા પામી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. પાડોશીએ કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જીઆઇડીસી પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહ, અમદાવાદ એરપોર્ટ પર આવેલ ગુજરાત સરકારના ગુજસેલ ખાતેથી એરક્રાફ્ટ મારફતે રાજકોટ લઈ જવાશે.
અત્યાર સુધી કુલ 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જે પૈકી 14 મૃતદેહ તેમના પરિવારજનો સોંપવામા આવ્યા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 32ના પરિવારના સંપર્ક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. જેમાં અમદાવાદના 4, વડોદરાના 2 , ખેડા 1, અરવલ્લી 1 બોટાદના 1, મહેસાણા 4, ઉદયપુર 1 નો સમાવેશ થાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI-171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે બપોરે 12 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.
સૂત્રોના હવાલેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વિમાન દુર્ધટનામાં સ્વર્ગસ્થ થયેલ પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA સેમ્પલ, તેમના પરિવારજનના સેમ્પલ સાથે મેચ થયા હોવાની વિગતો સામે આવી છે. જો કે, આ બાબતે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પ્લેન ક્રેશ દુઘર્ટનાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. ક્રેશ સાઈડ પર UK અને USA ની ઇન્વેસ્ટિગેશન એજન્સીના 20 અધિકારીઓ પહોચ્યા છે. એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો (AAIB)ની ટીમ પણ સાથે હતી. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ (NTSB) ની એક ટીમ પહોંચી છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ની ટીમ પણ પહોંચી છે. આજે દિવસ દરમિયાન ક્રેશ સાઈડ પર આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટીગેશન એજન્સી ટીમ સેમ્પલ લઈ તપાસ કરશે. પ્લેન ક્રેશ દુઘર્ટનાથી સતત 3 દિવસથી અલગ અલગ એજન્સી પહોંચીને તપાસ કરી રહી છે. ગઈ કાલે UKનુ ડેલિગેશન ક્રેશ સાઈડ પર પહોંચ્યું હતું. NIA અને NSG ની ટીમ પણ ક્રેશ સાઈડની તપાસ કરી ચૂક્યા છે.
મહુવામાં તળાજા કોંગ્રેસના પૂર્વ નગર સેવક પર હુમલો કરાયો છે. મોડી રાત્રે 5 યુવકોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત પૂર્વ નગર સેવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે. હુમલો કરવાનું કારણ અકબંધ છે.
વિમાન દુર્ઘટનામા માર્યા ગયેલા પૈકી 31 મૃતકોના DNA મેચ થયા છે. સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યાનુસાર, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA મેચ કરવાની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 12 મૃતદેહ તેમના પરિવારજનોને આપવામાં આવ્યા છે. ઉદયપુર, બરોડા, વિસનગર, ખેડા , બોટાદના મૃતકનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન કરવામાં આવે પછી જ મૂવમેન્ટ કરાશે. મૃતકના પરિવારજનોને એ સિવાય કોઈ દોડાદોડી નહીં કરવા વિનંતી કરવામાં આવી છે. પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના મૃતદેહના DNA મેચ કરવાની કામગીરી ચાલુ છે. હાલ 13 લોકોની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા 27 જિલ્લાના 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના વિવિધ 24 જિલ્લાના 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે આજે રવિવારે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી, જલાલપોર અને ઓલપાડ એમ 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા એક વ્યક્તિ સિવાય બાકીના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરનુ મોત થયું હતું. આગને કારણે ઓળખી ના શકાય તેવી હાલતમાં મળી આવેલા મૃતદેહનું ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને સોપવામાં આવી રહ્યાં છે. શનિવાર મોડી રાત્રી સુધીમાં કુલ 11 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા છે.
દરેક મૃતદેહ પોલીસ એસ્કોર્ટ વાહન સાથે મોકલવામાં આવે છે. સાથે ડોકટરોની ટીમ પણ મૃતકના ઘર સુધી મોકલવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામે વીજળી પડવાથી યુવકનું મોત થયું છે. સીમ વિસ્તારમાં યુવક હતો ત્યારે આકાશી વીજળી પડતાં તેનુ મોત થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. થાનગઢ તાલુકામાં ચારથી પાંચ જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. ભારે પવન અને વીજળીના ચમકારા વચ્ચે વરસી રહેલા વરસાદમાં વિજળી પડતા યુવકનું મોત થયુ છે. યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થાનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્લેન ક્રેશની ઘટનાના મૃત્યુ પામેલા વિસનગરના 2 લોકોની અંતિમવિધિ કરાઈ છે. વિસનગરના દિનેશભાઈ અને ક્રિષ્નાબેનનું વિમાન તુટી પડવાથી મોત થયું હતું. સ્વ. દિનેશભાઈ પટેલ અને સ્વ. ક્રિષ્નાબેન પટેલનો મૃતદેહ વિસનગર લવાયો હતો. વિસનગરમાં બંને મૃતકોની અંતિમવિધિ કરાઈ છે. મૃતદેહ લવાતા પરિવાર હીબકે ચડ્યું હતું. વિસનગરના પોયડાના માઢમાં રહેતું હતો પરિવાર. દિનેશભાઈનો દીકરો વિક્રમ લંડનમાં સ્થાયી થયો હતો. વિક્રમ વર્ક પરમિટ પર લંડન સિટીમાં સ્થાયી થયો હતો. દીકરાએ તેના માતા પિતાને પણ લંડન બોલાવ્યા હતા. ગુરુવારે જ એર ઈન્ડિયાની ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી.
એરપોર્ટ પર મૂકવા દીકરી પ્રિયા પણ અમદાવાદ ગઈ હતી. દીકરી માતા પિતાને મૂકીને વિસનગર પહોંચે તે પહેલા પ્લેન ક્રેશના સમચાર મળ્યા હતા. દુર્ઘટનાના સમાચાર મળતા દીકરી હચમચી ગઈ હતી.
અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ્ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી મૃતદેહના ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. DNA સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ આજે પરિવારજનોને સોંપવાની વ્યવસ્થા હાલ ગોઠવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.
Published On - 7:32 am, Sun, 15 June 25