રાજ્યમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, પરંતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાએ મોકલવામાં વાલીઓમાં ખચકાટ જોવા મળી રહ્યો છે. શાળા શરૂ થવામાં એક દિવસ બાકી રહ્યો છે, પરંતુ માત્ર 1 ટકા વાલીઓ જ શાળામાં સંમતિ પત્ર લેવા આવ્યા છે.
ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાના સરકારના નિર્ણયને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. સંચાલકોએ માહિતી આપી કે પ્રથમ દિવસે 1 ટકાથી ઓછા વાલીઓ સંમતિ પત્ર અને પૂછપરછ કરવા માટે વાલીઓ શાળાએ આવ્યા છે. પ્રાથમિક વર્ગો શરૂ કરવામાં વાલીઓનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ શાળાએ આવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી વાલીની સંમતિ લેવી ફરજીયાત છે, પરંતુ અત્યાર સુધીમાં માંડ 5થી 10 ટકા વાલીઓએ જ વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા સંમતિ આપી છે.
તો બીજી તરફ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. વાલીઓની રજુઆત છે કે જો દોઢ મહિના માટે શાળા શરૂ થાય તો વાલીઓને ફી ભરવી પડશે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ અને સ્ટેશનરી સહિતનો ખર્ચ વાલીઓને કરવો પડશે. દોઢ મહિના માટે આ ખર્ચ કરવા વાલીઓ તૈયાર નથી.