
ગુજરાતમાં નવી નવ જિલ્લા સહકારી બેંક ખોલવા માટે ગુજરાત સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા વિભાજનને કારણે ગુજરાતમાં નવી નવ જિલ્લા સહકારી બેંક અસ્તિત્વમાં આવશે. આ બેંક શરૂ કરવા માટે નાબાર્ડ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દરખાસ્ત કરશે. જે દરખાસ્ત મંજૂર થયે, ગુજરાતમાં નવી નવ જિલ્લા સહકારી બેંક શરૂ કરવામાં આવશે.
ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ, આજે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની જાણકારી આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધારને સહકારીતા પ્રધાન અમિત શાહે પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે, હકારિતા મંત્રાલય દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે, નાબાર્ડ દ્વારા દેશના કેટલાક જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સહકારિતા મંત્રાલયને એપ્રોચ નોટ રજૂ કરવામાં આવી હતી. આ નોટમાં ગુજરાતમાં પણ નવી 09 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો.
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભારત સરકારના દિશાનિર્દેશ હેઠળ આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આ નવી 09 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.
રાજ્યની વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના થશે. જેમાં, પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ જિલ્લામાં, સાબરકાંઠા બેંકના વિભાજનથી અરવલ્લી જિલ્લામાં, સુરત બેંકના વિભાજનથી તાપી જિલ્લામાં, વડોદરા બેંકના વિભાજનથી છોટાઉદેપુર જિલ્લામાં, જામનગર બેંકના વિભાજનથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જૂનાગઢ બેંકના વિભાજનથી પોરબંદર જિલ્લામાં, ખેડા બેંકના વિભાજનથી આણંદ જિલ્લામાં તેમજ વલસાડ બેંકના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લામાં નવી બેંકોની રચના થશે, તેમ જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું.બેંકોની રચના માટે રાજ્ય સરકાર હવે નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને આ અંગેની દરખાસ્ત મોકલશે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરશે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.