ગુજરાત(Gujarat) સરકારે આજે ભારે વરસાદ(Monsoon 2022) બાદ નુકશાન સહાયની જાહેરાત કરી છે. આ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વિગતો જાહેર કરી છે. જેમાં રાજય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ માનવ મૃત્યુ માટે 4 લાખ રૂપિયા અપાશે. જ્યારે પશુમાં દૂધાળા પશુ, ગાય, ભેંસ અને ઉંટ માટે 30 હજાર, બકરી અને ઘેટાં માટે 3 હજાર રૂપિયા આપવામાં આવશે.
મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પશુઓ માટે નિયમ મુજબ સહાય જાહેર કરાઈ છે, જેમાં ગાય, ભેંસ, ઊંટ જેવાં દૂધાળા પશુ માટે રૂ. 30, 000 ઘેટા-બકરાં વગેરે માટે રૂ. 3000 તેમજ બિન દૂધાળાપશુ જેવાં કે, બળદ, ઊંટ, ઘોડાવગેરે માટે રૂ. 25,000 રેલ્લો, ગાયનીવાછરડી, ગધેડો, પોની વગેરે માટે રૂ. 16,000 ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મરઘા પશુ સહાય માટે પ્રતિ પક્ષી રૂ. 50 લેખે પ્રતિ કુટુંબની મર્યાદામાં વધુમાં વધુ રૂ. 5000 ની સહાય અપાશે. રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. 95,100 અને પર્વતીય વિસ્તાર માટે રૂ. 1,01,900, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. 4100 ની સહાય આપવામાં આવશે.
મંત્રીએ સહાયની વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારા-ધોરણ મુજબ મૃત્યુ પામેલાં તમામને પ્રતિ વ્યક્તિ રૂ. ૪ લાખની સહાય આપવા કલેકટરઓને સૂચના આપી હતી. જે અન્વયે અત્યારસુધીમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિદ્વારકા અને ખેડા જિલ્લામાં મૃત્યુ પામેલાં પાંચ નાગરિકોને કુલ રૂ. 20 લાખની સહાય ચૂકવવામાં આવી છે,જયારે બાકીના તમામને બનતી ત્વરાએ સહાય ચૂકવવામાં આવશે. તા. 7 જુલાઈથી અત્યારસુધીમાંકુલ ૩૧ નાગરિકોના મૃત્યુ થયા છે.
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૧,૦૩૫ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ ૨૩,૯૪૫ નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે, જ્યારે ૭,૦૯૦ નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાંછે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. અત્યારસુધીમાં કુલ ૫૭૫ નાગરિકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય તેમજ કેશડોલ અપાશે. રાજ્યમાં વરસાદવાળા મોટાભાગના વિસ્તારોમાં એસ.ટી. બસના રૂટ પૂર્વવત કરવામાં આવ્યા છે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 5:49 pm, Wed, 13 July 22