અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ આવી રહેલા અતિ ભયાનક વાવાઝોડા તાઉ તે સામે ગુજરાત સજજ થયુ છે. તાઉ તે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં એક પણ મૃત્યુ ના થાય તેવુ ઝીરો કેઝ્યુલ્ટીને ધ્યાને લઈને આયોજન કરાયુ હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં વાવાઝોડા તાઉ તે સામે કેવા પ્રકારનું આયોજન કરાયુ છે તેની વિગત મેળવી હતી. સાથોસાથ તાઉ તે વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાના દર્દીઓને કોઈ હાલાકી ના પડે તે તેમની સારવારમાં કોઈ વિક્ષેપ ઉભો ના થાય તે પ્રકારનું આયોજન કરવા પણ તાકીદ કરાઈ છે.
જો વાવાઝોડું તાઉ તે ગુજરાતમાં ત્રાટકે તો રાજ્યના દરિયાકાંઠો ધરાવતા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની કોવીડ હોસ્પિટલોને વિન્ડ પ્રુફ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે તેની માહીતી આપીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, કે જો સ્થિતિ વધુ વણસે તો તેવા સંજોગોમાં કોરોનાના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી વધુ ICU એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને જરૂર પડ્યે બીજા જિલ્લામાંથી ICU એમ્બ્યુલન્સની મદદ લેવાશે.
ગુજરાતના મુખ્યપ્રધાન કહ્યુ હતું કે, વાવાઝોડા તાઉ તે ના કારણે વિજ પૂરવઠો ખોરવાઈ જવાથી કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ હાલાકી ના ભોગવવી પડે તે માટે આગોતરુ આયોજન કરાયુ છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો સતત મળતો રહે તે માટે વર્તમાન રૂટને બદલે, કટોકટીના સમયે વૈકલ્પિક માર્ગ તૈયાર કરાયો છે. તો સાથોસાથ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલો માટે ઓક્સિજનનો બફર સ્ટોક પણ કરી લેવાયો છે.
ગુજરાતના દરિયાકાંઠો ધરાવતા જિલ્લામાંથી દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો, બોટ સહીત સલામતરીતે પરત આવી ગયા છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 26થી વધુ ટુકડીઓ દરિયાકાંઠો ધરાવતા અને વાવાઝોડા તાઉ તે ની સંભવિત અસરમાં આવનારા જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે.
વાવાઝોડા અંગે અગમચેતીના પગલારૂપે વન- પર્યાવરણ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જાહેર કે ધોરી માર્ગ ઉપર વૃક્ષો પડી જાય તો તાત્કાલિક તેને દૂર કરીને માર્ગ વ્યવહાર પૂર્વવત કરવા, મોબાઈલ ટાવરને ળઈને કોઈ વિક્ષેપ ઉભો થયો હોય તો તે મરામત્ત કરીને કોમ્યુનિકેશન ઝડપથી પૂર્વવત કરવાની સૂચનાઓ આપી દેવાઈ હોવાનું વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.
વિજ ક્ષેત્રે પણ કોઈ ક્ષતિ ના રહી જાય તે માટે આયોજન કર્યાની વિગતોથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માહિતી આપીને અવગત કરાવ્યા હતા. વાવાઝોડાની તીવ્રતાની સંભાવનાને ધ્યાનમાં લઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને, વાવાઝોડા તાઉ તે થી અસર પામનારા સંભવિત જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાય નહિ અને જો વીજ પુરવઠાને કોઈ અસર પડે તો તાકીદે પૂર્વવત કરી દેવાની સુચના આપી દેવાઈ છે.