રાજ્યમાં કોરોના મોરચે બેવડી રાહત. એક તરફ કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે, તો બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ ત્રણ હજાર દર્દી કોરોનાને હરાવીને સાજા થયા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 12,064 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા, તો કોરોનાથી વધુ 119 દર્દીઓને જીવ ગુમાવ્યા.
અમદાવાદ શહેરમાં 3744 પોઝિટિવ કેસ સામે આવ્યા અને 17 દર્દીનાં મોત થયા. સુરત શહેરમાં 903 કેસ નોંધાયા અને 8 દર્દીએ જીવ ગુમાવ્યા. વડોદરા શહેરમાં 648 કેસ સામે આવ્યા અને 5 દર્દીનાં મોત થયા. રાજકોટ શહેરમાં 386 કેસ નોંધાયા અને 7 દર્દીનાં મૃત્યુ થયા. રાજ્યમાં 1 લાખ 46 હજાર એક્ટિવ કેસ છે, જે પૈકી 775 વેન્ટિલેટર સારવાર હેઠળ છે. રાજ્યના જે મહાનગરોએ સૌથી વધુ ચિંતા ઉભી કરી હતી તે અમદાવાદ, સુરત અને રાજકોટમાં સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા વધારે દર્દીઓ સ્વસ્થ થયા.
અમદાવાદ શહેરમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 3744 નવા કેસ નોંધાયા, તો નવા કેસ કરતા વધુ 5220 દર્દીઓ સારવાર બાદ સાજા થયા. અમદાવાદ શહેરમાં 17 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 24 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો વધુ 96 કોરોના દર્દી સામે આવ્યા અને 50 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા.