ગુજરાતમા વર્ષોથી સત્તાની બહાર રહેલ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કસી કમર, રાજ્યસ્તરની 7 કમિટી રચી

ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતના સંકલ્પ સાથે ચૂંટણીમેદાનમાં ઉતરવા માટે કોંગ્રેસે આગોતરી તૈયારી કરી છે. નેતાઓ અને કાર્યકત્તાઓના સંકલન સાથે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો જીતવા માટેની રણનીતિ ઘડી છે.

ગુજરાતમા વર્ષોથી સત્તાની બહાર રહેલ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કસી કમર, રાજ્યસ્તરની 7 કમિટી રચી
(ફાઈલ ફોટો)
| Edited By: | Updated on: Mar 05, 2026 | 8:06 PM

ગુજરાતમાં SIRની કામગીરી સંપન્ન થયા બાદ, આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. તેની સાથે જ, રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થયા છે. આ મહિનાના અંત સુધીમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના છે. જેને ધ્યાને લઈને ગુજરાતમાં વર્ષોથી સત્તાકારણથી અરણ્યવાસ ભોગવી રહેલ કોંગ્રેસ પક્ષે કમર કસી છે. ગુજરાત કોંગ્રેસે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને રાજ્યસ્તરની વિવિધ સાત કમિટીઓની રચના કરી છે. જેના વડા તરીકે કોંગ્રેસના વિવિધ નેતાઓને કમાન સોંપી છે.

ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતના સંકલ્પ સાથે ચૂંટણીમેદાનમાં ઉતરવા માટે કોંગ્રેસે આગોતરી તૈયારી કરી છે. નેતાઓ અને કાર્યકત્તાઓના સંકલન સાથે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો જીતવા માટેની રણનીતિ ઘડી છે. ચૂંટણી માટે રણનીતિ ઘડવા માટે સ્ટ્રેટેજી કમિટી બનાવાઈ છે. જેની બાગડોર પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સોંપવામાં આવી છે. આ કમિટીમાં ખેડૂત નેતા લાલજી દેસાઈને વાઇસ ચેરમેન બનાવાયા છે. જ્યારે હેમાંગ વસાવડાને કન્વીનર બનાવાયા છે.

ચૂંટણી પ્રચાર માટે પણ કેમ્પેઈન કમિટીની રચના કરવામાં આવી છે. જેના ચેરમેન તરીકેની જવાબદારી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને જવાબદારી આપવામાં આવી છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના પૂર્વ નેતા પરેશ ધાનાણીને ચેરમેન અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને કન્વીનર બનાવાયા છે. ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીમાં સિદ્ધાર્થ પટેલને ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વાઇસ ચેરમેન અને બિમલ શાહને કન્વીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન કમિટીમાં જગદીશ ઠાકોરને ચેરમેન બનાવાયા છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલને વાઇસ ચેરમેન અને હિંમતસિંહ પટેલને કન્વીનર બનાવવામાં આવ્યા છે. મેનીફેસ્ટો કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી ધારાસભ્ય શૈલેષ પરમાર, વાઈસ ચેરમેન તરીકેની જવાબદારી ઋત્વિક મકવાણાને અને કોંગ્રેસના પ્રવકત્તા મનીષ દોશીને કન્વીનર તરીકેની જવાબદારી આપવામાં આવી છે. મીડિયા કમિટીના ચેરમેન ડોક્ટર એની યાજ્ઞિકને બનાવાયા છે. જ્યારે લલિત કગથરાને વાઇસ ચેરમેન અને ગ્યાસુદ્દીન શેખને કન્વીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

Published On - 7:56 pm, Thu, 5 March 26