ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભ દિવસે તારીખ ૫ નવેમ્બર શુક્રવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ ૦૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાર બાદ નૂતન વર્ષ(New Year)નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.
ગુજરાતના સી એમ ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૪૫ થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ અભિગમના પરિણામે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120 પુરૂષો કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : અમદાવાદ : ઘાટલોડીયામાં વૃદ્ધ દંપતિની હત્યા મામલે પોલીસની તપાસ તેજ, શંકાના દાયરામાં ઘરઘાટી
આ પણ વાંચો : આજનો દિવસ મહુડીમાં કેમ ખાસ ? ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિનું મહત્વ
Published On - 5:10 pm, Wed, 3 November 21