
PM Narendra Modi’s Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીની શરૂઆત આગામી 17 સપ્ટેમ્બર, નરેન્દ્ર મોદીના જન્મદિવસથી કરવામાં આવશે. આ અંતર્ગત ગુજરાત ભાજપ દ્વારા ‘આશીર્વાદનો દીવડો’ નામનો વિશેષ કાર્યક્રમ યોજાશે. (Gujarat BJP to Organize Aashirwad No Divdo Programme)
‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના દરેક વોર્ડ અને શક્ય તેટલા વધુ ઘરોમાં દીવડો પ્રગટાવવામાં આવે તેવો ભાજપનો પ્રયાસ રહેશે. સાંજે એક જ સમયે લોકો દ્વારા દીવડો પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના કાર્યકાળના 25 વર્ષની ઉજવણી માટે ગુજરાત ભાજપ દ્વારા કુલ 13 પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ કાર્યક્રમો માત્ર ઉજવણી પૂરતા મર્યાદિત ન રહે અને તેમાં લોકસેવા તથા લોકભાગીદારીનો સમાવેશ થાય તે માટે પક્ષના પ્રભારી દ્વારા સૂચના આપવામાં આવી છે.
ભાજપ સંગઠન દ્વારા તમામ કાર્યક્રમોને વધુમાં વધુ લોકો સાથે જોડીને જનભાગીદારીનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે પક્ષના કાર્યકરોને પણ વિવિધ સ્તરે આયોજન સાથે જોડવામાં આવશે.
‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમને ‘વોકલ ફોર લોકલ’ અભિયાન સાથે જોડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એટલે કે દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં સ્થાનિક સ્તરે તૈયાર થતા દીવડા સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે દિશામાં આયોજન કરવામાં આવશે.
નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી અને ભારત દેશના વડાપ્રધાન તરીકેના 25 વર્ષના કાર્યકાળની ઉજવણીની સત્તાવાર શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. વડાપ્રધાનના જન્મદિવસને કેન્દ્રમાં રાખીને શરૂ થનારી આ ઉજવણી દરમિયાન ગુજરાત ભાજપ દ્વારા આગામી દિવસોમાં વિવિધ લોકસેવા અને જનભાગીદારીના કાર્યક્રમો યોજવામાં આવશે. ભાજપનો પ્રયાસ છે કે 25 વર્ષની આ ઉજવણી માત્ર સંગઠનના કાર્યક્રમો સુધી સીમિત ન રહે, પરંતુ સામાન્ય નાગરિકો પણ તેમાં જોડાય અને લોકભાગીદારીના માધ્યમથી તેને વ્યાપક જનઉત્સવનું સ્વરૂપ મળે.