ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી સફળતા હાંસલ કરી છે. આતંકી સંગઠનો સાથે સંકળાયેલા એક શખ્સની નવસારીમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ફૈઝાન શેખ હોવાનું જાણવા મળ્યું છે, જે નવસારી જિલ્લાના રામપુરા ડૂંડાવાળા વિસ્તારનો વતની છે.
નવસારીના ઝારાવાડ ખાતે રહેતા ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે. તે અલ કાયદા અને જેસે મહમદ સાથે સંકળાયેલો હોવાની માહિતીના આધારે ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી છે.ગેરકાયદે હથિયારો રાખી આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ફૈઝાન શેખ નવસારી શહેરમાં ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતો. મૂળ યુપીના રહીશ ફૈઝાન શેખ ઘણા સમયથી નવસારીમાં રહી ધંધો રોજગાર કરતો હતો.એટીએસએ શંકાસ્પદ કામગીરી જણાતા ધરપકડ કરી છે.
ATSની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ફૈઝાન શેખ જૈશ-એ-મહોમ્મદ અને અલ કાયદા જેવા પ્રતિબંધિત આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત થયો હતો. આરોપી કટ્ટરપંથી વિચારસરણી તરફ વળ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ફૈઝાને આતંક અને ભય ફેલાવવાના ઈરાદે ગેરકાયદે રીતે હથિયારો અને દારૂગોળો ખરીદ્યા હતા. એટલું જ નહીં, તેણે કોઈ ચોક્કસ જૂથના વ્યક્તિની હત્યા કરવાનો પણ પ્લાન બનાવ્યો હોવાની માહિતી ATSને મળી છે. હત્યાને અંજામ આપવા માટે જ હથિયારો ખરીદવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
હાલ આરોપીને વધુ પૂછપરછ માટે ATS કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક કડીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને રાજ્યમાં કોઈપણ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ATS દ્વારા આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.