હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે શું કહ્યું ભાજપ-પાટીદાર નેતાઓએ? જાણો અહીં
નીતિન પટેલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને પાપી કહેવું યોગ્ય નથી. કોઈનાથી ભૂલ થઈ હોય તો સમય આવે સુધરતી હોય છે. સારુ કામ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરે તો તેને તક મળી શકે છે. હું કોઈ એક વ્યક્તિની નહીં પણ સામાન્ય માણસની વાત કરું છું.
હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપમાં જોડાવા અંગેની જાહેરાત થયા બાદ ભાજપ (BJP) અને પાટીદાર (Patidar) સમાજના નેતાઓ તેમના વિશે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગાંધીનગર (Gandhinagar) માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે પણ ગોળ ગોળ જવાબો આપ્યા છે. તેમણે કહ્યું કે હાલ મારી પાસે કોઈ સત્તાવાર સૂચના નથી. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું કે કોઈ પણ વ્યક્તિને સમાજની સેવા કરવા માટે ભાજપમાં આવવું હોય તો તે આવકાર્ય છે. તેમણે એમ પણ કહ્યું કે રાજદ્રોહના કેસ અંગે કોઈ ટિપ્પણીઓ કરવાનો યોગ્ય સમય નથી. જે તે સમયએ જરૂર પડશે તો સંબંધીત વ્યક્તિઓ વાત કરશે. હાર્દિક વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમે કોઈ કોર્ટના જજ નથી કે કોઈને ગુનાગાર ગણીએ કે કોઈ સાધુ નથી કે કોઈને પાપી ગણીએ. કોઈ પણ વ્યક્તિને પાપી કહેવું યોગ્ય નથી. કોઈનાથી ભૂલ થઈ હોય તો સમય આવે સુધરતી હોય છે. સારુ કામ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરે તો તેને તક મળી શકે છે. છેલ્લે તેમણે એમ પણ કહ્યું કે હું કોઈ એક વ્યક્તિની નહીં પણ સામાન્ય માણસની વાત કરું છું. જે ભાજપના માધ્યમથી દેશની સેવા કરવા ઇચ્છતા, ભાજપના સિદ્ધાંતો સાથે દરેક વ્યક્તિ ભાજપમાં આવકાર્ય છે.
હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું પાલનપુરમા સામાજિક કાર્યક્રમમા આવ્યો છું રાજકારણની વાત કરવા નહિ. આમ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ મુદ્દે ગૃહમંત્રીએ બોલવાનું ટાળ્યું હતું.
હાર્દિક ભાજપમાં જોડાય ત્યારે તેને સમાજને ઉપયોગી થવું જોઇએઃ જેરામ પટેલ
હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર કડવા પાટીદાર અગ્રણી જેરામ પટેલે કહ્યું કે 75 વર્ષમાં પાટીદાર સમાજને કોંગ્રેસે અન્યાય કર્યો છે. અત્યાર સુધી કોંગ્રેસે ક્યારેય પાટીદાર સમાજને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. હાર્દિક કોંગ્રેસમાં જોડાયો ત્યારે તેને અનુભવ થયો. હાર્દિક ભાજપમાં જોડાય ત્યારે તેને સમાજને ઉપયોગી થવું જોઇએ. હાર્દિક કઇ રીતે કામ કરે છે તેના પર તેની કારકિર્દી આધારીત છે.
કનુભાઈ દેસાઈ, દર્શના જરદોષ, ઈશ્વર પરમારે હાર્દિકને આવકાર્યો
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એ કહ્યું પાર્ટીમાં જે પણ આવે તેનું સ્વાગત છે. સુરતના સાસદ દર્શના જરદોષ એ કહ્યું ભાજપ માં જે પણ જોડાય છે તે પાર્ટી ની વિચારધારાને લઈને જોડાય છે. જે પણ વ્યક્તિ પાર્ટીમાં આવે છે તે નરેન્દ્ર ભાઈના હાથ મજબૂત કરશે. ધારાસભ્ય ઈશ્વર પરમારનું નિવેદન જે પણ વ્યક્તિ પાર્ટીમાં આવે સ્વાગત છે. ભાજપ પાર્ટી એવી છે જે દરેક ને આવકારે છે.
લાલજી પટેલે કહ્યું, હાર્દિકે પોતાના અંગત સ્વાર્થ માટે સમાજને છોડી દીધો
SPG નેતા લાલજી પટેલે પ્રતિક્રિયા આપી કે, પાટીદાર સમાજ જાણી ગયો છે કે આ માણસે પોતાના અંગત સ્વાર્થ માટે સમાજને છોડી દીધો છે. લાલજી પટેલે જણાવ્યુ કે પાટીદાર આંદોલન સમયે પાટીદારો માટે લડનાર હાર્દિકે કોંગ્રેસમાં રહ્યો ત્યાં સુધી એક પણ પાટીદાર સભાને સંબોધી નથી.લાલજી પટેલે જણાવ્યુ કે, સમાજ સમજી ગયો છે કે આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ ભાજપમાં જઇ રહ્યો છે. આવા આગેવાનને પાટીદાર આગેવાન કહેતા અમનેય શરમ આવે છે.