Surat તાજેતરમાં જ સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ખાનગી શાળાઓને ધોરણ 11માં પ્રવેશ માટે સમસ્યા નથી થવાની. પરંતુ સરકારી શાળામાં અભ્યાસ કરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશનો પ્રશ્ન ન ઉભો થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત જ ધોરણ 11ના વર્ગો શરૂ કરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં 24 વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી 13 વર્ગો પાયલોટ પ્રોજેક્ટ(pilot project ) તરીકે શરૂ કરી દેવામાં આવ્યા છે.
સરકારી સ્કૂલમાં જયારે ધોરણ 11ની શાળાઓ શરૂ થઇ ત્યારે મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને ભણાવવા આવતા શિક્ષકોને લઈને પણ હતો. પરંતુ જયારે એક ઉમદા કાર્ય શરૂ કર્યું છે ત્યાંરે તેને આગળ ધપાવવા માટે અનેક લોકો આગળ પણ આવી રહ્યા છે. આવું જ થયું છે સુરતમાં. જ્યાં હવે ધોરણ 11ના વિદ્યાર્થીઓને એકાઉન્ટ અને કેરિયર કાઉન્સિલિંગ પણ શીખવાડમાં આવશે.
આ ઉપરાંત આંકડાશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયોનો અભ્યાસ કરાવવા સુરતના ચાર્ટડ એકાઉન્ટટોએ તૈયારી બતાવી છે. સુરતમાં આવા 78 ચાર્ટડ એકાઉન્ટન્ટ(charted accountant) તૈયાર થયા છે જે સરકારી શાળામાં જઈને અભ્યાસ કરાવશે.
સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ધર્મેશ પટેલના જણાવ્યા પ્રમાણે જે સી.એ.ની જે વિષયમાં માસ્ટરી હશે તે વિષય તેઓ વિદ્યાર્થીઓને બનાવશે. એક ક્લાસમાં 6 સીએ ભણાવવા જશે. અને આખું વર્ષ તેઓએ સરકારી સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીઓને ભણાવવાની તૈયારી બતાવી છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ સુરત બ્રાન્ચના ચેરમેન નવીન જૈને જણાવ્યું હતું કે આ મામલે તેઓ સ્થાયી સમિતિ ચેરમેન સાથે વાતચીત કરી હતી અને શાળાના વિદ્યાર્થીઓને ભાવવા તૈયારી બતાવી હતી. સરકારી સ્કૂલમાં ભણવા આવતા વિદ્યાર્થીઓનું પણ કંઈક બનવાનું સપનું અધૂરું ન રહી જાય અને તેઓને પણ ઉચ્ચતમ અભ્યાસ મળે તે હેતુથી તેઓએ આ તૈયારી બતાવી છે. સુરતમાં પહેલા 3 સી.એ. આ તૈયારી બતાવી હતી અને હવે ધીમેધીમે તેમાં 78 જેટલા ચાર્ટડ એકાઉન્ટન્ટ જોડાયા છે.
નોંધનીય છે કે ધોરણ 11ના 1592 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમના માટે 48 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. ત્યારે જાણીતા ચાર્ડ્ટ એકાઉન્ટન્ટ જયારે આ વિષયોનો અભ્યાસ કરાવશે ત્યારે વિદ્યાર્થીઓને અઘરા વિષયો સમજવામાં સરળતા રહેશે. ભવિષ્યમાં કારકિર્દી પસંદ કરવા માટેનું તેમનું ફોકસ ક્લિયર બનશે. અને નિષ્ણાતો પાસેથી અભ્યાસ લેવા બદલ તેમનો આત્મવિશ્વાસ પણ વધશે.