
ડુંગળીનો ભાવ ઘટવોએ જનતા માટે રાહતના સમાચાર છે, પરંતુ ખેડૂતો માટે ડુંગળીનો ભાવ ઘટવોએ ચિંતાનો વિષય બની ગયો છે. વાત એમ છે કે, ભાવનગરના જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ભાવ ઘટાડાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આ પરિસ્થિતિને ધ્યાનમાં દોરતા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા એક સંમેલનની યોજના કરવામાં આવશે.
ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા મંગળવારના રોજ એટલે કે, 15 એપ્રિલના રોજ એક સંમેલન યોજાવાનું છે. જણાવી દઈએ કે, આ સંમેલનમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી સહિતના અલગ-અલગ જિલ્લાઓના ખેડૂતો અને આગેવાનો તેમની હાજરી આપવાના છે. સફેદ ડુંગળીના ભાવમાં થયેલ ઘટાડાથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે અને આ સમસ્યાનો નિવાડો લાવવા જ તેઓ મંગળવારે સંમેલનમાં એકઠા થવાના છે.
ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જણાવ્યું છે કે, છેલ્લા 2 મહિનાથી સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલની વાત કરીએ તો, છેલ્લા આઠેક દિવસમાં ડુંગળીના ભાવ 50 થી 100 રૂપિયા જેટલા ઘટયા છે. બીજું કે, જ્યારે યાર્ડમાં કોઇ કાર્યક્રમ હોય ત્યારે ડુંગળીના ભાવમાં વધારો થાય છે. હવે આવું કેમ થાય છે અને શા માટે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તે જાણવું જરૂરી છે.
Published On - 12:29 pm, Mon, 14 April 25