છેલ્લા કેટલાક દિવસોથી સુરતનું રાજકારણ ગરમાયુ છે. ભાજપના કાર્યકરો આપમાં જોડાઈ રહ્યા હોવાના કારણે શહેર ભાજપની ઊંઘ હરામ થઈ છે. જોકે ભાજપે એ ખુલાસો કરવા પત્રકાર પરિષદ કરવી પડી હતી કે આપમાં જોડાયેલા કાર્યકરો ભાજપના નથી. તો બીજી તરફ આપે પુરાવા સાથે રજૂ કર્યું છે કે તેમની પાર્ટીમાં જોડાનાર બધા ભાજપી સદસ્યો જ છે.
આવામાં આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સીસોદીયા સુરત આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ આપના બીજા મોટા નેતાની સુરત મુલાકાતને લઈને ભાજપના તંબુમાં ખળભળાટ મચી ગયો છે.
આવતીકાલે સવારે 7 વાગ્યે મનીષ સીસોદીયા સુરત એરપોર્ટ પર આવશે તે બાદ તેઓ સુરત મનપાના આપના 27 કોર્પોરેટરો સાથે બેઠક કરવાના છે. દિવસ દરમ્યાન તેઓ સામાજિક અને વેપારી અગ્રણીઓ સાથે પણ મિટિંગ કરવા જઈ રહ્યા છે.
જોકે સૌની નજર મનીષ સીસોદીયાની પ્રેસ કોંફરન્સ પર પણ છે. કહેવાય રહ્યું છે કે આ પ્રેસ કોંફરન્સમાં સુરતના સૌરાષ્ટ્રવાસી મોટા માથા આપનો હાથ પકડી શકે છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીનું નામ હાલ ચર્ચામાં છે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક જીરાવાળા અને પાસ કન્વીનર ધાર્મિક માલવીયા પણ આપની સાથે જોડાય તેવી વાત છે. મહેશ સવાણી ઘણા સમયથી આપ સાથે સંપર્કમાં છે. અને હવે સીસોદીયાની હાજરીમાં જ તેઓ જોડાય તેવી ચર્ચા છે.
વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અસ્સલ ભાજપ સ્ટાઇલમાં જ આમ આદમી પાર્ટીએ રાજનીતિ શરૂ કરી દીધી છે. અને એમ પણ મનપામાં 27 સીટો જીત્યા પછી સુરત એ આમ આદમી પાર્ટી માટે ગુજરાત જીતવા મુખ્ય મથક બની ગયું છે. જોવાનું એ રહેશે કે મનીષ સીસોદીયાની હાજરીથી આવતીકાલે સુરતના રાજકારણમાં શું નવો વળાંક આવે છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી હાજીર હો..!! માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટનું તેડુ
આ પણ વાંચો: Surat: કોરોના ઘટતા હોસ્પિટલમાં સ્ટાફ વધુ અને દર્દી ઓછા જેવી પરિસ્થિતિ, લેવાયો આ મોટો નિર્ણય