અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ( covid hospital ) 108ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સિવાય પણ દાખલ થઈ શકાશે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોએ 75 પરસન્ટ બેડ કોવીડ19ના દર્દી માટે અનામત રાખવા પડશે,એએમસી ક્વોટામાં દાખલ થવા માટે 108ના રેફરન્સની જરૂર નહી રહે
અમદાવાદ શહેરની અંદર આવેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હવે દાખલ થવા માટે 108ની કોઈ જરૂર નહી રહે. આવતીકાલ 29મી એપ્રિલને સવારના 8 વાગ્યાથી ખાનગી વાહનમાં આવનાર દર્દીને પણ સારવાર અર્થે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવશે તેમ અમદાવાદ શહેરમા ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમાયેલા વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવે રાજીવકુમારે જણાવ્યુ છે.
અમદાવાદના સબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં, મોડે મોડે પરંતુ અતિ મહત્વના નિર્ણયો લેવાયા છે. અમદાવાદ શહેરની તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની હોસ્પિટલના કુલ બેડમાંથી 75 ટકા બેડ કોરોનાના દર્દી માટે રાખવા પડશે. જ્યારે બાકીના 25 ટકા બેડ અન્ય બિમારી ધરાવનારા દર્દી માટે અનામત રાખવા પડશે. આ નિર્ણયથી અમદાવાદ શહેરમાં વધુ 1000 બેડની ક્ષમતા વધશે.
હોસ્પિટલમાં દાખલ થનારો દર્દી અમદાવાદનો રહીશ છે કે નહી તેના માટે અમલી બનાવેલ આધારકાર્ડનો અમલ પણ હવેથી રદ કરવામા આવ્યો હોવાનુ રાજીવકુમારે લેખિત યાદીમાં જણાવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસનના કવોટામાં દાખલ થવા માટે 108ના રેફરન્સની હવે જરૂર નહી પડે. દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિસપ્લે બોર્ડ રાખવુ પડશે અને તેમાં હોસ્પિટલમા ઉપલબ્ધ બેડની સ્થિતિ રિયલ ટાઈમ અપડેટ કરતા રહેવું પડશે.
Published On - 2:48 pm, Wed, 28 April 21