જામનગર તાલુકાના 102 ગામમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોના કેસ વધતા અને દર્દીઓને ગામમાં જ સવલતો મળી રહે તે હેતુથી આવા કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. ગામની સ્કૂલ કે કોમ્યુનિટી હોલ, ગામમાં આવેલી જગ્યામાં આવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
સ્થાનિક દાતાઓની મદદથી સરપંચ અને આગેવાનો સાથે મળીને ગામમાં કોવિડ કેર કે ઓઈસોલેશન સેન્ટર કાર્યરત કર્યા છે. જ્યાં કોરોના દર્દીને ભોજન, દવા, રહેવા, તબીબી સારવાર સહિતની સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે. નાધેડી ગામમાં 50 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કાર્યરત થયુ છે.
જામનગર તાલુકાના 102 ગામમાં આવા 102 કોવિડ કેર સેન્ટર કાર્યરત થયા છે. તાલુકામાં કુલ 4000થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યાં સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો, સરપંચ, તેમજ આરોગ્ય વિભાગની ટીમના સહીયારા પ્રયાસથી ગામડામાં જ દર્દીઓને સવલતો આપવામાં આવી રહી છે.
કોરોના દર્દી હોમ કવોરન્ટાઈન થાય તો શકય છે કે પરીવારના અન્ય સભ્યને પણ સંક્રમણ થઈ શકે. તેથી દર્દી આવા કોવિડ કેર સેન્ટરમાં રહે તો તેના પરીવાર સુરક્ષિત રહી શકે. તેમજ દર્દીને તબીબી સારવાર, ભોજન, દવા, સહિતની સુવિધા કોવિડ કેર સેન્ટરમાં મળી શકે છે. જેમાં તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સેવા આપી રહ્યા છે.
ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ફુલ થયા છે. ત્યારે ગામડાઓમાં સ્થાનિક આગેવાન અને દાતાઓના સહયોગથી કોવિડ કેર સેન્ટરો કાર્યરત થયા છે. જે દર્દીઓને મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. દર્દીને ગામની બહાર ન જવુ પડે અને જરૂરી સુવિધા મળી શકે તે માટેના સહયારો પ્રયાસ કરવામાં આવ્યો.
હાલમાં જ્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે હોસ્પિટલમાં બેડ અને દવાઓની અછત વર્તાઈ રહી છે, તેવી પરિસ્થિતીમાં લોકો સામાજીક લોકો આગળ આવીને કોરોનાના દર્દીઓની મદદ કરી રહ્યા છે. લોકો સોસાયટીઓમાં પણ હવે તો કોવિડ કેર સેન્ટર ઉભુ કરી રહ્યા છે.
આટલા મોટા પ્રમાણમાં કેસ સામે આવતા દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા સામે કેટલાક પડકારો ઉભા થયા છે, જેથી હવે લોકો પોતે પણ વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે અને સરકારનો બોજો ઓછો કરી રહ્યા છે. ગામડાંઓમાં હવે લોકો ભંડોળ ઉભુ કરીને કોરોના માટેના કોવિડ કેર સેન્ટર બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: Crime: મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ