સુરતમાં કોરોના કહેર બાદ રાહતના સમાચાર મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. 25 દિવસ બાદ શહેરમાં કોરોનાના દર્દીના મોતની સંખ્યા ઘટી રહી છે અને સ્મશાનમાં પણ હવે અંતિમ સંસ્કાર માટે પહેલા કરતા ઓછા મૃતદેહો આવી રહ્યા છે.
સુરતના તમામ સ્મશાનમાં થોડા દિવસો પહેલા સુધી કરૂણ દ્રશ્યો સર્જાય રહ્યા હતા. દરોજ એક સાથે એક સ્મશાનમાં 25-30 મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હતા. જેમાં હવે ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલમાં એકલ દોકલ મૃતદેહ જ અંતિમસંસ્કાર માટે લવાઇ રહ્યા છે. સુરતના અશ્વિનીકુમાર, ઉમરા અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહો છેલ્લા લગભગ 25 દિવસથી 24 કલાક ચાલુ રહેતાં હતાં અને અંતિમ સંસ્કાર માટે 18 થી 24 કલાકનું વેઇટિંગ ચાલતું હતું, તે હવે સુમસામ થઈ રહ્યાં છે. જે દર્શાવે છે કે શહેરમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. હોસ્પિટલોમાં પણ નવા દાખલ દર્દીઓની સંખ્યા 60 ટકા જેટલી ઘટી ગઈ છે. હોસ્પિટલોમાં ઓપીડીમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે.
અશ્વિનીકુમાર સ્મશાનગૃહોમાં પહેલા 100 થી વધુ બોડીઓ કોવિડ અને નોન કોવિડ આવતી હતી તે હવે 60 થી 65 થઈ છે. સાથે જ ઉમરા સ્મશાનગૃહોમાં પહેલા દરરોજ 80 થી 100 બોડીઓ આવતી તે ઘટીને 50 થઈ છે, કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં પણ થોડો ધટાડો નોંધાઇ રહ્યો છે સાથે જ નવું શરૂ કરેલ પાલ સ્મશાન ગૃહમાં દરરોજ 30 કોવિડ બોડીઓ આવતી જ્યાં હવે 7- 8 બોડીઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
બે મહિનાથી કોરોનાને કારણે દેશમાં જે ભયજનક સ્થિતી ઉત્પન્ન થઇ હતી તેમાં કંઇક હદે હવે રાહત મળી રહી છે. કોરોનાના કારણે રોજ એટલા લોકો મૃત્યુ પામી રહ્યા હતા કે, સ્મશાન ગૃહોને 24 કલાક ચાલુ રાખવાની પરિસ્થિતી ઉભી થઇ હતી. કરૂણતા એ હદે હતી કે સ્મશાન 24 કલાક ચાલુ રહેવાથી સ્મશાનની ચીમની પણ પીગળી રહી હતી. તેવામાં હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.