ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસ વચ્ચે અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બનવા જઈ રહ્યું છે. જેમાં રવિવારે સામે આવેલા કોરોના આંકડાએ શહેરીજનો અને વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. જેમાં રવિવારે સામે આવેલા કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં રાજ્યના સૌથી વધારે 443 કેસ સામે આવ્યા હતા અને સૌથી વધારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત બીજા નંબરે રહ્યું હતું. સુરતમાં કોર્પોરેશનના કોરોનાના 405 કેસ નોંધાયા છે અને બે લોકોનાં મોત થયા છે.
અમદાવાદમાં બે દિવસમાં 99 કેસ ઉમેરાયા
અમદાવાદ શહેરમાં શુક્રવારે Coronaના 344 કેસ નોંધાયા હતા અને શનિવારે તે વધીને 405 થયા અને જે રવિવારે વધીને 443એ પહોંચ્યા છે. જે કોરોનાના વધતાં કેસોની ગતિ દર્શાવે છે. જેમાં અમદાવાદ શહેરમાં 19 માર્ચની રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9 વાગેથી સવારે 6 વાગે સુધીની કરવામાં આવી છે. તેમજ શનિ અને રવિવારના રોજ મોલ અને સિનેમા પણ બંધ કરવામાં આવ્યા છે. જો કે તેમ છતાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશને સુપર સ્પ્રેડરને શોધવા માટે ટેસ્ટ કરવાની શરૂઆત કરી
અમદાવાદ શહેરમાં Coronaના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં રવિવારે કોરોનાના 443 જેટલા કેસ નોંધાયા હતા. જે અમદાવાદ શહેરના અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ કેસ છે. જેમાં દેશમાં કોરોનાના કેસ પર નિયંત્રણ લાવવા માટે કોર્પોરેશનને સુપર સ્પ્રેડરને શોધવા માટે ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. જેની માટે મહાનગરપાલિકાએ ઝોન વાઈસ 18 જેટલા સેન્ટરો શરૂ ર્ક્યા છે.
સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાવવા માટે રવિવારથી 18 ખાનગી લેબમાં રૂપિયા 500માં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જેમાં ખાણીપિણી, કરિયાણા, શાકભાજી અને ફ્રૂટ વેચાણ સાથે સંકળાયેલા લોકો તેમજ અન્ય કોઈપણ વસ્તુની ડીલીવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ, ડીલીવરીબોય તથા કર્મચારીઓ માટે ફરજિયાત આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવાનો રહેશે.
રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી: સીએમ રૂપાણી
ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસ અને સંપૂર્ણ લોકડાઉનની અફવાઓ વચ્ચે CM Rupaniએ આજે ફેસબુક લાઈવમાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી. તેમજ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે લોકોને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. તેમણે સંબોધનમાં સરકારે કરેલા કામકાજની વિગતો આપી હતી. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોના રોજગારની પણ ચિંતા છે. આ ઉપરાંત અમે રાજ્યના નાગરિકોની સુવિધા માટે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1,580 કેસ નોંધાયા, 7ના મોત
Published On - 9:51 pm, Sun, 21 March 21