
ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે અનેક લોકોનાં મોત થયાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ ઝેરી દારુની અંદાજે 250 બોટલ વેચાઈ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આરોપ છે.
કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ઘટનામાં પ્રથમ વ્યક્તિના મૃત્યુ સમયે જ બેદરકારી દાખવવામાં આવી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ (PM) કરાવ્યા વગર તેના મૃતદેહને ઉજ્જૈન લઈ જવા દેવામાં આવ્યો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં પુરાવા અને તપાસની પ્રક્રિયા અંગે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ ઝેરી દારુના સેવનને કારણે કેટલાક લોકોની આંખોની દૃષ્ટિ જતી રહી છે અને તેઓ અંધ બન્યા છે. ઘટનાની ગંભીરતા જોતા અસરગ્રસ્તોને યોગ્ય સારવાર અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની કોંગ્રેસે માંગ કરી છે.
કોંગ્રેસે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, “ભાજપ હપ્તા લઈને ગુંડાઓને છૂટ્ટો દોર આપે છે.” સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, સરકારમાં ઉચ્ચ સત્તા પર બેઠેલા જવાબદાર લોકોમાંથી કોઈ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું કેમ આપતું નથી?
સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે કોંગ્રેસ દ્વારા પાંચ વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ભાવનગર જઈને ઘટનાસ્થળની મુલાકાત લેશે અને સમગ્ર મામલે સ્થળ તપાસ કરશે. ત્યારબાદ ટીમ દ્વારા વિગતવાર અહેવાલ તૈયાર કરીને કોંગ્રેસ પક્ષને રજૂ કરવામાં આવશે.