KUTCHH : વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે પાંચમાં દિવસે કચ્છમાં કિસાન સર્વોદય કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણીનું સંબોધન
આજે કચ્છમાં ખેડૂતો માટે કિસાન સર્વોદય કાર્યક્રમ
KUTCHH : રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અનુસંધાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છમાં કિસાન સર્વોદય કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધન કર્યું તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા.
મુખ્યપ્રધાને કહ્યું પાણી વગરના નહીં,પણ પાણીદાર કચ્છ માટે અમે આગળ વધી રહ્યાં છીએ. સૌરાષ્ટ્રના 115 ડેમાં આજે સૌની યોજનાથી ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના પાંચ હજાર તળાવો આજે સુજલામ સુફલામ યોજનાથી ભરાયા છે.
ઉનાળામાં પણ નર્મદા નહેર ચાલું હતી અને ઉનાળું પાક માટે પણ ખેડૂતોને પાણી આપ્યું છે. ભૂતકાળમાં પાણીના ટીપે ટીપા માટે લોકો મરતા હતા,રમખાણો થતા હતા,કોંગ્રેસનું એ શાસન લોકો ભૂલ્યા નથી. પાંચ વર્ષમાં પાણીદાર ગુજરાત બનાવવાની દિશામાં સરકારે કામ કર્યું છે.
વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે સરળ કાયદાઓ કર્યા. કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે અને કોંગ્રેસની ખેડૂત વિરોધી માનસિકતા પ્રકટ થઇ ગઈ છે. આ કાયદાઓનો વિરોધ કરનારા લોકોને પણ ખેડૂતો ઓળખી ગયા છે. કોંગ્રેસે દેવા નાબુદીની ખાલી વાતો કરી. UPAના વર્ષના શાસનમાં માત્ર એક વખત ખેડૂતોનું 70 હજાર કરોડનું દેવું માફ કર્યું હતું. ક્યા ખેડૂતનું દેવું માફ થયું અને કોનું ન થયું એ તો ભગવાન જાણે, પરંતુ વડાપ્રધાન મોદીએ કિસન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા અને આખા દેશના ખેડૂતોના ખાતામાં 8 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.
ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે FPOથી માંડી અનેક સુવિધાઓ ઉભી કરી. ખેડૂત આધુનિક ખેતી કરે, ખેડૂતની આવક ડબલ થાય, એની ચિંતા મોદી સરકારે કરી છે. ગુજરાતે પણ નક્કી કર્યું છે કે 100 FPO બનાવવા, અને મને આનંદ છેકે ભારતના સૌથી વધુ 51 FPO ગુજરાતમાં છે.આવનારા દિવસોમાં ખેડૂતોનું સંગઠન કરી નવા 100 FPO બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યાં છીએ.