છોટા ઉદેપુર: અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં સામે આવી છે, જ્યાં લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી. માહિતી મુજબ આરોપી તાંત્રિક બાળકીના ઘરની સામે જ રહેતો હતો, તેને ઉઠાવી જઇને તેની બલી ચઢાવી દીધી હતી.
ઘટના કઇક એવી છે કે પાંચ વર્ષની બાળકી તેના ઘરની સામે રમતી હતી. આરોપી લાલુ તડવી, જે ગામમાં ભૂવા તરીકે ઓળખાય છે, તે બાળકી પાસે ગયો અને તેણે બાળકી પર તાંત્રિક વિધિ કરવા માટે તેને પોતાની ઝૂંપડપટ્ટી તરફ લઈ ગયો. અંધશ્રદ્ધાના નામે ભૂવાએ કુહાડી વડે બાળકીનું ગળું કાપી નાખ્યું, અને તે ઘટનાને તાંત્રિક વિધિનો એક ભાગ ગણાવતો હતો. વધુમાં વિગત એવી મળી છે કે આ બાળકીને ઘરમાં બનાવાયેલા મંદિર પાસે જ લઇ જઇને તેની બલી ચઢાવવામાં આવી છે. જેથી આ હત્યા તાંત્રિક વિધિ માટે જ થઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
SHOCKING! Minor sacrificed in superstitious beliefs in #ChhotaUdepur #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/bRwAA2kjhi
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2025
આ હત્યાના થોડા સમય પછી ભૂવા બીજા એક બાળકને પણ બલી આપવા લઈ જતો હતો, પણ ગામજનોએ જોઈ લીધું અને તાત્કાલિક અટકાવી દીધો. તેમણે બાળકને બચાવી પોલીસને જાણ કરી, જે બાદ મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને લાલુ તડવીની તાત્કાલિક અટકાયત કરી છે. આ ઘટના ગામમાં ભય અને આક્રોશનું મોજુ ઉઠાવનાર બની છે, અને હવે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી ખાતરી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. અંધશ્રદ્ધાના નામે આવા ઘાતક અપરાધો સામે કડક પગલાં લેવાની જરૂર છે, અને આ ઘટનાએ ફરી એકવાર આંધળી માન્યતાઓને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકી છે.