છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના મધ્યમાં આવેલો એક એવો વિસ્તાર કે જે વિસ્તાર પહેલી નજરે કોઈ શહેર કે નગર હોવાનો એહસાસ થાય છે. પણ હકીકતમાં ચાર અલગ અલગ પંચાયતનો વિસ્તાર છે કે જે વિસ્તારના ચાર ગામ એક બીજામાં ભળી ગયા છે. આ વિસ્તારની મકાનો અને દુકાનો માટે એક એક ફૂટના અંતરે પંચાયત બદલાયેલી છે. ભલે અલગ અલગ પંચાયતમાં રહેતા રહીશોની ઓળખ બોડેલીની જ છે. અલગ અલગ પંચાયત માં રહીશો આ વિસ્તારના વિકાસ માટે આ વિસ્તારને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
રાજ્યનો છેવાડાનો નવરચિત છોટાઉદેપુર જિલ્લો અને આ જિલ્લાના મધ્યમા આવેલ વિસ્તાર ચાર ગામો એક બીજામાં સમાવિસ્ટ થઈ ગયા હોવા છતાં દરેક ગામના લોકો ને બોડેલી (Bodeli) ગામની ઓળખ છે. ભલે તે અલગ અલગ ગ્રામ પંચાયત માં રહેતા હોય. કોઈ પણ વિસ્તારમાં આવેલ દુકાનો, સરકારી સાંસ્થા પર બોડેલીનો જ ઉલ્લેખ કરવામાં આવે છે.
બોડેલી ગામ આર્થિક રીતે જોતાં ખૂબ વિકસિત છે. અને અહી વસ્તીનું ધોરણ પણ વધી ગયું છે. ચાર પંચાયતો નો વિસ્તાર એક બીજા ગામમાં ભળી ગયો છે. એક મકાનની બાજુ માં આવેલા મકાનની પંચાયત અલગ હોવાનું સામે આવ્યું છે. તો કેટલીક એવી પણ જગ્યા આવેલી છે કે ત્યાં ત્રણ કે ચાર પંચાયતના રસ્તા ભેગા થાય છે. સીમાંકનને લઈ ઘણી વખત અહી રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જિલ્લાની મધ્યમાં આવેલ અલીપુરા ચોકડી કે જેની ચાર દિશા માં ચાચક, અલીખેરવા , ઢોકળીયા, અને બોડેલીની અલગ અલગ પંચાયત આવેલી છે. મધ્ય પ્રદેશ, મહારાસ્ટ્ર, રાજસ્થાન તરફ જવું હોય તો આ ચાર પંચાયતની મધ્યમાં આવેલ અલીપુરા ચોકડી પાસેથી પસાર થવે પડે છે. ટ્રાફિકનો સતત ઘસારો રહે છે.
ટ્રાફિકને કંટ્રોલ કરવા પોલીસને સતત તૈનાત રહેવું પડે છે. જે નજારો જોતાં મોટું શહેર કે નગર લાગે છે. પણ આ ચોકડીની તમામ દિશામાં આવેલ ગામો વિકાસથી વંચિત છે. રોડ રસ્તા, ગટરની વયવસ્થા, પાણીની સમસ્યાને લઈ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગામના સમજુ લોકો નું કહેવું છે કે ગ્રામ પંચાયતના સરપંચો પોતાના હોદ્દાને સાચવી રાખવા માટે નગર પાલિકા બને તેવું ઇચ્છતા નથી. નેતાઑને પણ નગર પાલિકા બને તેમાં રસ નથી. કેટલાક લોકોએ નગર પાલિકા બને તે માટે વર્ષો પહેલા ચળવળ ચલાવી હતી. સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત પણ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારમાં રજૂઆતો પણ કરી છે પણ આજ દિન સુધી નગરપાલિકાનો દર્જો આ વિસ્તાર ને મળ્યો નથી. સમજુ લોકો નું માનવું છે કે નગર પાલિકા બનાવવામાં આવે તો આ ગ્રાન્ટમાં વધારો થાય અને આ વિસ્તારનો વિકાસ થાય. અને પોતાની સમસ્યાઓ લઈને પંચાયતે જતાં એક પંચાયત બીજી પંચાયતને ખો આપે છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે તેનાથી છુટકારો પણ મળશે.