વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. આ મામલે હરણી પોલીસ મથકે FIR દાખલ થઇ છે. હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બોટના ચાલક અને મેનેજરની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
હરણી પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધમાં બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બોટના ચાલક અને મેનેજરની સહિત 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ બોટના ચાલક અને મેનેજરની અટકાયત બાદ પુછપરછ હાથ ધરાઇ છે.
આ તમામ 18 લોકો સામે IPC 304,308,337,338,114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશભાઇ રમણભાઇ ચૌહાણે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પિકનિક પર આવેલા બાળકો ભરેલી બોટ ડુબવા અને 14 લોકોના મોત થવા મામલે અનેક ખુલાસા થયા છે. માહિતી મળી છે કે લેક્ઝોનના બોટ રાઈડમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. બોટમાં યોગ્ય સમારકામ, મેન્ટનન્સ, લાઈફ જેકેટની સુવિધા ન હતી. સુરક્ષાના સાધનો, બોટ, રિંગ, દોરડાની સુવિધાનો અભાવ હતો.
બોટિંગ ચાલુ કરાવતા પહેલા પણ કોઈ સૂચનાઓ અપાઈ ન હતી. બોટની ક્ષમતા કરતા વધારે બાળકો અને શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા. બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જ બેસાડવામાં આવ્યા હતા. ગુનેગારોની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે પછી શાળા સંચાલકની પણ એક બેદરકારીએ શિક્ષકો સહિત 14 બાળકોનો જીવ લઈ લીધો છે. .વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં શિક્ષકો સહિત 27 બાળકો ડૂબ્યા હતા. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે.
Published On - 7:37 am, Fri, 19 January 24