આણંદ શહેરમાંથી એક એવો પેચીદો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આણંદ પોલીસ પણ માથું ખંજવાળી રહી છે. મૂળ પાકિસ્તાની અને હવે ભારતના નાગરિક બનેલા 40 વર્ષીય કપિલદેવ મહેશ્વરી છેલ્લા 5 મહિનાથી રહસ્યમય રીતે ગાયબ છે. આ કોઈ સામાન્ય મિસિંગ કેસ નથી. આની પાછળ છુપાયેલું છે એક પ્રેમ પ્રકરણ, પત્ની પર ગુજારેલો સિતમ અને એક 14 વર્ષના માસૂમ બાળકની નાગરિકતાનું જોખમ! પત્નીનો આરોપ છે કે પતિ અન્ય મહિલાના પ્રેમમાં અંધ થઈને ઘર છોડી ભાગી ગયો છે, પણ આ ચક્કરમાં પોતાના અને દીકરાના અસલી ડોક્યુમેન્ટ પણ ગાયબ થયા છે.
વર્ષ 2010માં પાકિસ્તાનના હૈદરાબાદના કપિલદેવના લગ્ન પાકિસ્તાનના મીઠી શહેરની ભાવના સાથે થયા. વર્ષ 2012માં તેમના આંગણે દીકરાની કિલકારી ગુંજી. સુરક્ષિત ભવિષ્યની આશા સાથે આ પરિવાર વર્ષ 2013-14માં કાયદેસર પ્રોસેસ પૂર્ણ કરી પાકિસ્તાનથી ભારતનાં ગુજરાતના વડોદરામાં આવી વસ્યો. સમય જતાં બંનેને ભારતની સન્માનજનક નાગરિકતા પણ મળી ગઈ. લાગતું હતું કે હવે જિંદગી પાટા પર આવી ગઈ છે, પણ કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું!
વડોદરાથી આ પરિવાર આણંદની બોરસદ ચોકડી પાસે આવેલા શિવ બંગલોઝમાં રહેવા આવ્યો. અહીં જ કપિલદેવની જિંદગીમાં બીજી મહિલાની એન્ટ્રી થઈ! પત્નીનો ગંભીર આક્ષેપ છે કે પતિ અન્ય મહિલાના પ્રેમમાં એવો તો પાગલ થયો કે સગા દીકરા અને પત્નીને ભૂલી ગયો. પ્રેમ પ્રકરણના કારણે ઘરમાં રોજ કંકાસ થતો અને કપિલદેવ પત્ની ભાવના પર ઢોર માર મારી અત્યાચાર ગુજારતો હતો. આ નરક જેવી જિંદગીથી કંટાળીને ભાવનાબેન છેલ્લા 7 વર્ષથી પોતાના માસૂમ દીકરાને લઈ રાધેશ્યામ પાર્ટી પ્લોટ વિસ્તારમાં પોતાના માતા-પિતાના ઘરે આશરો લેવા મજબૂર બન્યા છે.
પતિ કપિલદેવ તો પત્ની અને બાળકને મૂકી તેના બાળકના અને પત્નીના ઓરીજીનલ ડોક્યુમેન્ટ લઈને ગુમ થયો પણ ખરી આફત તો હવે આવી છે! કપિલદેવ અને ભાવના તો ભારતીય નાગરિક બની ગયા, પણ તેમના 14 વર્ષના દીકરાની નાગરિકતા હજુ પણ પાકિસ્તાની છે! પુત્રના લોન્ગ ટર્મ વિઝા એટલે કે LTV આગામી વર્ષ 2027માં પૂરા થઈ રહ્યા છે. દીકરો કાયદેસર રીતે ભારતમાં રહી શકે તે માટે માતા ભાવનાએ સરકારી કચેરીઓના ધક્કા ખાવાનું શરૂ કર્યું. પરંતુ સરકારી કાયદા મુજબ દીકરાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની જરૂર પડી, જે પતિ કપિલદેવ પાસે છે .ભાવના જ્યારે ડોક્યુમેન્ટ લેવા પતિ પાસે પહોંચી, ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ ખબર પડી કે કપિલદેવ છેલ્લા 5 મહિનાથી રહસ્યમય રીતે ગાયબ છે અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ છે!
લાચાર ભાવનાએ આખરે ન્યાય માટે આણંદ ટાઉન પોલીસના દ્વાર ખખડાવ્યા છે અને પતિ ગુમ થયાની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ મામલાની ગંભીરતા સમજી ચુકી છે. કપિલદેવના મોબાઈલના સીડીઆર કઢાવવામાં આવ્યા છે, બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરાયું છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કપિલદેવ તે પ્રેમિકા સાથે ક્યાંક ભાગી ગયો છે? કે પછી પત્નીને ડોક્યુમેન્ટ ન આપી હેરાન કરવા માંગે છે.
આ કેસ હવે માત્ર એક સામાન્ય માણસના ગુમ થવાનો નથી રહ્યો, આ લડાઈ એક માસૂમ બાળકના અસ્તિત્વની છે! જો પોલીસ વહેલી તકે કપિલદેવને અથવા તેના કબજામાં રહેલા ઓરિજિનલ દસ્તાવેજો નહીં શોધી કાઢે, તો 2027માં વિઝાની મુદત પૂરી થતાં જ આ 14 વર્ષના બાળકને ભારત છોડવું પડી શકે છે! જે દીકરો ભારતીય સંસ્કૃતિમાં મોટો થયો, તેને પાકિસ્તાન મોકલવાની નોબત આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે, આણંદ પોલીસ આ પ્રેમ, દગા અને રહસ્યના તાણાવાણા ઉકેલીને માસૂમ બાળકને ન્યાય અપાવી શકે છે કે નહીં!
એક પિતાના કારનામાની સજા આજે એક માસૂમ દીકરો ભોગવી રહ્યો છે. પત્નીને હવે પતિ પાછો નથી જોઈતો, તેને બસ તેના દીકરાનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે. આશા રાખીએ કે આણંદ પોલીસ આ મામલે સચોટ તપાસ કરી વહેલી તકે ડોક્યુમેન્ટ શોધી કાઢે, જેથી એક માસૂમ બાળકને માં થી વિખુટા પડવાનો સમય ન આવે.
(વીથ ઈનપુટ, ધર્મેન્દ્ર કપાસી)