
ગાંધીનગરમાં મેઘરાજાની ઇન્ટ્રી સાથે ખાડાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ગાંધીનગરના સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કાર્ય દરમિયાન ખાડામાં પડી જતાં એક બાળકનું દુઃખદ અવસાન થયું છે. સ્થાનિકોએ મહાનગરપાલિકા પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે.
મૃતક બાળક પોતાના મિત્રો સાથે રમતો હતો. ત્યારે આ ઘટના બની હતી. બગીચાના વિસ્તારમાં ચાલુ ખોદકામ હોવા છતાં ત્યાં કોઈ પણ પ્રકારનું ચેતવણી પત્રક, બોર્ડ કે સુરક્ષાના ઉપાયો મૂકવામાં આવ્યા નહોતા. ખાડામાં પાણી ભરાયાં હોવાથી બાળક તેમાં ડૂબી ગયું અને તેનું મોત થયું છે. જ્યારે રાત્રે બાળક ઘરે પરત ન ફર્યો ત્યારે પરિવારજનો તથા આસપાસના લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસને પણ જાણ કરાઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડને કોલ કરાયો અને ઘટનાસ્થળે પહોંચીને તેમણે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. લોકોમાં કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળ્યો છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટનામાં નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, “રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ભારે વરસાદના કારણે હાલાકી સર્જાઈ છે. ખાડામાં પડી જતાં બાળકનું મોત દુખદ ઘટના છે. રાજ્ય સરકાર આવા મામલાઓ પ્રત્યે ગંભીર છે અને લોકોને પણ વરસાદી દિવસોમાં ખાસ સાવચેતી રાખવાની વિનંતી છે.” હવે જોવાનું રહ્યું કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલુ કામોને લઈને કોર્પોરેશન કઈ રીતે જવાબદારી લે છે અને આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કયા પગલાં લે છે.
Published On - 1:58 pm, Tue, 1 July 25