ભારત-પાકિસ્તાન વચ્ચે સીમા પર સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ રઘવાયુ બનેલુ પાકિસ્તાન સરહદ પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યુ છે. ન માત્ર સરહદ પર પાકિસ્તાન સિવિલિયન વિસ્તારોને પણ ટાર્ગેટ કરી રહ્યુ છે અને ડ્રોન હુમલા કરી રહ્યુ છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી ગુજરાતના અનેક શહેરોમાં સાંજે સાત વાગ્યાથી બ્લેકઆઉટના આદેશ આપવામાં આવ્યા છે. સરહદી જિલ્લાઓ અને દરિયાઈ સીમાવાળા જિલ્લાઓમાં બ્લેકઆઉટનો આદેશ કરાયો છે. જેમા જામનગર, ઓખા, દ્વારકામાં બ્લેકઆઉટ કરવામા આવશે. દ્વારકાધિશ મંદિરને પણ સાંજે 7 વાગ્યાથી બંધ કરવાનો આદેશ અપાયો છે. આ સાથે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં પણ સાંજે 7 વાગ્યે બ્લેકઆઉટ કરવાનો આદેશ કરાયો છે.
જામનગરમાં રાત્રે 8 કલાકથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યુ છે. સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટનો નિર્ણય કરાયો છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામા આવી છે. સંભવિત હુમલા સામે વહીવટી તંત્ર સજ્જ છે.
આ તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં BSF, સેના અને પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલુ છે. સમગ્ર સ્થિતિ અંગે જિલ્લા SP અક્ષયરાજે માહિતી આપી હતી કે સરહદી વિસ્તારો સુરક્ષિત છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. દેશની સુરક્ષા જોખમાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મુકવી, સૈન્ય વાહનોની હિલચાલના ફોટો કે વીડિયો વાયરલ ન કરવા સૂચના આપી છે. બ્લેકઆઉટ કરવા માટે સરહદી ગામોના લોકોને સહયોગ મળી રહ્યો છે. સંવેદનશીલ ગણાય ત્યારે જ બ્લેકઆઉટ કરવામાં આવે છે. બ્લેકઆઉટનું પાલન કરવા અને અફવા ન ફેલાવવા સૂચના આપવામાં આવી છે. ડ્રોન દેખાવા બાબતે તંત્ર પુષ્ટિ ન કરે ત્યાં સુધી સંયમ જાળવવા સૂચના આપવામાં આવી છે.
કચ્છના ભૂજમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયરન વગાડી લોકોને સલામત સ્થળે પહોંચી જવા અપીલ કરાઈ હતી. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. અફવાઓ પર ધ્યાન ન આપવા અને ખોટી વાતો ધ્યાનમાં ન લેવા અપીલ કરાઈ છે.
Published On - 5:38 pm, Sat, 10 May 25