
અમદાવાદમાં રિક્ષા ભાડા વધારાની માંગને લઈને ચાલી રહેલી હડતાળ વચ્ચે કેટલાક વિસ્તારોમાં રિક્ષાચાલકોની દાદાગીરી સામે આવી છે. હડતાળના નામે કેટલાક રિક્ષાચાલકો લાકડી અને ડંડા લઈને રસ્તા પર ઉતર્યા હોવાના આક્ષેપો થયા છે. હડતાળમાં ન જોડાયેલા રિક્ષાચાલકોને રોકવા માટે રસ્તા પર હોબાળો કરવામાં આવતા મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
હડતાળમાં જોડાયેલા કેટલાક રિક્ષાચાલકોએ અન્ય રિક્ષાઓને રસ્તા પર રોકી હતી. હડતાળમાં ન જોડાયેલા રિક્ષાચાલકોની રિક્ષાઓ રોકીને મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. જેના કારણે પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવા નીકળેલા મુસાફરો રસ્તા પર અટવાઈ ગયા હતા.
કેટલાક વિસ્તારોમાં રિક્ષાચાલકો લાકડી અને ડંડા સાથે રસ્તા પર ઉતર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય રિક્ષાચાલકોને હડતાળમાં જોડાવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ પ્રકારની સ્થિતિને કારણે જાહેર રસ્તા પર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે.
રિક્ષામાં મુસાફરી કરી રહેલા લોકોને અધવચ્ચે ઉતારી દેવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. એક તરફ રિક્ષાચાલકને ચૂકવેલું ભાડું ચૂકવાઈ ગયું, જ્યારે બીજી તરફ નિર્ધારિત સ્થળે પહોંચવા માટે મુસાફરોએ ફરી વાહન શોધવું પડ્યું. પરિણામે મુસાફરો પર વધારાનો ખર્ચ અને સમય બંનેનો બોજ આવ્યો હતો.
રિક્ષાચાલકોની માંગણીઓ હોય અને તેના માટે હડતાળ કરવામાં આવે તે અલગ બાબત છે, પરંતુ અન્ય રિક્ષાચાલકોને રોકવા, મુસાફરોને પરેશાન કરવા કે જાહેર માર્ગ પર દાદાગીરી કરવી યોગ્ય છે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. હડતાળના નામે કોઈ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં તેવી ચર્ચા પણ વેગ પકડી રહી છે.
રિક્ષાચાલકોની દાદાગીરીના અહેવાલો બાદ અમદાવાદ પોલીસ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે હડતાળમાં ન જોડાયેલા રિક્ષાચાલકોને હેરાન કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની પરેશાની થાય તો પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે તમામ PIને મોરચો સંભાળવા આદેશ આપ્યો છે. લુખ્ખાગીરી કે દાદાગીરી કરનારા રિક્ષાચાલકો સામે પોલીસ કાર્યવાહી કરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. જેના પગલે હવે હડતાળ દરમિયાન રસ્તા પર ગેરકાયદેસર રીતે અન્ય રિક્ષાઓને રોકનારાઓ સામે પોલીસની કાર્યવાહી પર નજર રહેશે.
રિક્ષાચાલકોની ભાડા વધારાની માંગણીઓ અંગે સરકાર અને તંત્ર સમક્ષ રજૂઆત થઈ શકે છે, પરંતુ સામાન્ય મુસાફરોને મુશ્કેલીમાં મૂકીને અથવા હડતાળમાં ન જોડાયેલા રિક્ષાચાલકોને રોકીને વિરોધ કરવો યોગ્ય નથી. હાલ પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને દાદાગીરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો- Gold-Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, જાણો આજે 10 ગ્રામનો નવો ભાવ
Published On - 11:21 am, Mon, 7 September 26