
અમદાવાદ શહેરમાં ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી કુલ 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ઘીનો અંદાજિત બજાર ભાવ 31.81 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ AMCના ફૂડ વિભાગે ત્રણ અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ‘રિધમ કાઉ ઘી’ અને ‘વચનામૃત કાઉ ઘી’ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ બંને બ્રાન્ડનું કુલ 3,250 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વટવા વિસ્તારમાં આવેલી વીરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વર વિસ્તારમાં આવેલી ત્રિશાલા એજન્સીમાં પણ ફૂડ વિભાગે તપાસ કરી હતી. બંને સ્થળોએથી મળીને આશરે 1,600 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. તમામ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઘરમાં ઉપયોગમાં લેવાતા ઘીની ગુણવત્તા ચકાસવા માટે કેટલીક સરળ રીતો અપનાવી શકાય છે.
અસલી ઘી પાણીમાં નાખવામાં આવે તો તે સામાન્ય રીતે પાણીની સપાટી પર તરતું જોવા મળે છે.
ઘીમાં મીઠું અને હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે તેનો રંગ બદલાતો નથી.
હથેળી પર થોડું ઘી રાખવામાં આવે તો શરીરની ગરમીથી તે ઝડપથી ઓગળવા લાગે છે.
ઘી ગરમ કરતાં તેમાં બ્રાઉન અથવા હળવો ભુરો રંગ જોવા મળે છે અને તેની સુગંધ પણ કુદરતી હોય છે.
નકલી અથવા ભેળસેળયુક્ત ઘી ઓળખવા માટે પણ કેટલીક સરળ ચકાસણીઓ કરી શકાય છે.
પાણીમાં ઘી નાખવામાં આવે તો તે નીચે બેસી જવાની શક્યતા રહે છે.
મીઠું અને હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેર્યા બાદ ઘીનો રંગ બદલાઈ જાય તો તેમાં ભેળસેળ હોવાની શક્યતા હોય છે.
હથેળી પર રાખ્યા બાદ પણ ઘી લાંબા સમય સુધી ઓગળતું નથી.
ઘી ગરમ કરતાં તેનો રંગ પીળાશ પડતો અથવા અસ્વાભાવિક દેખાય છે.
AMCના ફૂડ વિભાગે નાગરિકોને વિશ્વસનીય બ્રાન્ડ અને અધિકૃત વેચાણ કેન્દ્રોમાંથી જ ઘી ખરીદવાની અપીલ કરી છે. કોઈપણ ખાદ્ય પદાર્થ અંગે શંકા જણાય તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
આ પણ વાંચો- Nehru vs Modi : 1947થી લઈ 2026 સુધીનું ભારત, નેહરુની નીવથી મોદીના વિકાસ સુધી કેટલું બદલાયું?