સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થશે મોટી નવાજૂની

ગુજરાતમાંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ગુજરાત કોંગ્રેસના હાલના પ્રભારી મુકુલ વાસનિકને હટાવી સચિન પાયલોટને પ્રભારી બનાવવા પર કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યુ છે. જો આવુ થયુ તો ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સચિન પાયલોટ રાજસ્થાનના ત્રીજા દિગ્ગજ નેતા હશે.

સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થશે મોટી નવાજૂની
| Updated on: Feb 22, 2026 | 7:59 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ કેન્દ્રમાં સચિન પાયલટ સાથે મોટા સંગઠનાત્મક ફેરબદલ પર વિચાર કરી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર લોકલ બોડી ઈલેક્શન પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે સચિન પાયલોટને હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવાનું વિચારી રહ્યું છે. જેથી વર્તમાન નેતૃત્વને બદલવામાં આવી શકે છે. કોંગ્રેસના આ રણનીતિ ગુજરાતમાં કોંગ્રેસમાં પુનર્જીવિત કરવાની સાથે ભાજપની મજબૂત મશીનરીને ટક્કર આપવા માટે એક યુવા, ચર્ચિત, અને બેદાગ ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવી છે. જો કોંગ્રેસ દ્વારા પાયલટને ગુજરાતની કમાન સોંપાય છે તો ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સચિન પાયલોટ રાજસ્થાનના ત્રીજા દિગ્ગજ નેતા બની જશે. જે ગુજરાતમાં મૃતપ્રાય બનેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકી સંજીવની બની શકે છે.

અગાઉ અશોક ગેહલોત પણ રહી ચુક્યા છે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી

સચિન પાયલોટ પહેલા રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયા હતા અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 70 થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનમાં વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવામાં સચિ પાયલોટનો મોટી ભૂમિકા રહી હતી. તેમના મજબૂત ગ્રાઉન્ડ વર્કને કારણે રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા મેળવી શકી હતી. અન્ય જમા પાસુ સચિન રાહુલ ગાંધીના વિશ્વાસુ પણ રહ્યા છે, તેના જ કારણે તેમને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી ચર્ચા છે.

લંગડા ઘોડાઓને સાઈડલાઈન કરવા અંગે ચર્ચા

બે દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડુ આવ્યુ હતુ. જેમા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી પ્રભારી મુકુલ વાસનિક, ગેની બહેન સહિત ગુજરાત કોંગ્રેસના તમામ દિગ્ગજો સામેલ હતા. હાઈકમાન્ડ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવા અને મજબુત રણનીતિ બનાવવા પર ભાર મુકાયો છે. આ અંગે દિલ્હીથી થોડા દિવસોમાં જ સત્તાવાર જાહેરાત થાય તેવી અટકળો સેવાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં માત્ર રેસના ઘોડાઓને રાખી લંગડા ઘોડાઓને સાઈડલાઈન કરવા અંગે પણ મંથન ચાલી રહ્યુ છે. આ સાથે દરેક જિલ્લા શહેર પ્રમુખોને ટિકિટ માટે સંપૂર્ણ જવાબદારી સોંપવા અને જિલ્લામાં પ્રભારી નિમવાનું નક્કી કરાયુ છે.

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ