
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ કેન્દ્રમાં સચિન પાયલટ સાથે મોટા સંગઠનાત્મક ફેરબદલ પર વિચાર કરી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર લોકલ બોડી ઈલેક્શન પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે રાજસ્થાનના પૂર્વ ડિપ્ટી CM રહી ચુકેલા સચિન પાયલોટને હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવાનું વિચારી રહ્યું છે. જેથી વર્તમાન નેતૃત્વને બદલવામાં આવી શકે છે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજ્યસભા મોકલવાની ચર્ચા વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલવાની અટકળો સામે આવી છે. ચર્ચા છે કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ ગણાતા યુવાઓ વચ્ચે જબરી લોકપ્રિયતા ધરાવતા સચિન પાયલોટને ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરી શકે છે. રાજકીય વર્તુળોમાં આ ચર્ચા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શીર્ષ નેતાઓ અમિત ચાવડા અને ડૉ તુષાર ચૌધરીના દિલ્હી પ્રવાસ બાદ સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રભારી રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. જ્યારે પ્રદેશ પ્રમુખની કમાન અમિત ચાવડાના હાથોમાં છે અને તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા છે.
તાજેતરમાં દિલ્હીમાં મળેલી કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં ગુજરાત કોંગ્રેસને મજબુત કરવા અંગે ચર્ચા થઈ. જેમા પાર્ટી હાઈકમાન્ડ મોટા પાયે નવાજૂની કરવાના મૂડમા છે. આ બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક અને કે. સી. વેણુગોપાલ સહિત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિતના હાજર રહ્યા હતા. હાલ ગુજરાતમાં મુકુલ વાસનિકને હટાવી સચિન પાયલોટને પ્રભારી બનાવવા અંગે પાર્ટીમાં મંથન ચાલી રહ્યુ છે.
સચિન પાયલટના નામની ચર્ચા એવા સમયે સામે આવી છે જયારે રાજ્યમાં મતદાતા સૂચીની SIR ની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. બહુ જલદી જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે. આ ચૂંટણીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીનો લિટમસ ટેસ્ટ ગણાઈ રહી છે. ચર્ચા એ પણ છે કે બહુ જલદી કોંગ્રેસ નેતૃત્વમાંથી પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. અગાઉ પણ રાજસ્થાનના દિગ્ગજ નેતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે. રાજસ્થાનના પૂર્વ CM અશોક ગેહલોત અને તેમના નજીકના રઘુ શર્મા અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચુક્યા છે. વર્ષ 2017માં જ્યારે કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 માં સીટો પર જ અટકાવી દીધો હતો, ત્યારે અશોક ગેહલોત જ પ્રભારી હતા.
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરી નવી કોંગ્રેસ બનાવવાના રાહુલ ગાંધીના નિર્દેશ બાદ પાર્ટીના અનેક નેતાઓને કામે લગાડવામાં આવ્યા છે. ગુજરાતની રાજનીતિને નજીકથી જાણનારા વિશ્લેષકોનું કહેવુ છે જો પાર્ટી સચિન પાયલોટને ગુજરાતની કમાન સોંપે છે તો તે સંગઠનમાં એક નવો જોશ અને નવી ઊર્જા લાવી શકે છે કારણકે તેમની છબી એક આકર્ષક યુવા નેતા તરીકેની છે. ગુજરાત કોંગ્રેસ પાસે લોકસભાની 26 બેઠકો પૈકી 1 બેઠક છે જ્યારે 182 વિધાનસભામાંથી 12 ધારાસભ્યો છે. વર્ષ 2022માં પાર્ટી માત્ર 17 બેઠકો જીતી હતી. જેમાંથી 5 ધારાસભ્યો પાર્ટી છોડી ચુક્યા છે.
તાજેતરમાં હાઈકમાન્ડ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવા અને મજબુત રણનીતિ બનાવવા પર ભાર મુકાયો છે. આ અંગે દિલ્હીથી થોડા દિવસોમાં જ સત્તાવાર જાહેરાત થાય તેવી અટકળો સેવાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં માત્ર રેસના ઘોડાઓને રાખી લંગડા ઘોડાઓને સાઈડલાઈન કરવા અંગે પણ મંથન ચાલી રહ્યુ છે. આ સાથે દરેક જિલ્લા શહેર પ્રમુખોને ટિકિટ માટે સંપૂર્ણ જવાબદારી સોંપવા અને જિલ્લામાં પ્રભારી નિમવાનું નક્કી કરાયુ છે.
Published On - 7:59 pm, Sun, 22 February 26