ભાવનગરમાં (Bhavnagar) ચોમાસાની (Monsoon 2022) શરૂઆતથી જ વરસાદને (Rain) લઈને શહેર જાણે ખાડાનગરમાં ફેરવાઈ ગયું છે. ભાવનગરના રોડ રસ્તાને લઈને 10 દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય જીતુ વાઘાણીએ કમિશનરને તમામ રોડ રસ્તાઓ સાત દિવસમાં ટના-ટન કરી દેવાની સૂચના આપી હતી. પરંતુ જીતુ વાઘાણીની સૂચનાની અમલવારી ભાવનગરમાં જોવા નથી મળી રહી. ભાવનગર મહાનગરપાલિકા માત્ર પ્રજાના ટેક્સના ખર્ચે કરોડો રૂપિયાનો રોડ રસ્તા પાછળ ધુમાડો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જીતુ વાઘાણીની સૂચના બાદ રોડ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની છે.
ભાવનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા જ ખાડા થઇ ગયા છે. ત્યારે ભાવનગરના રસ્તાને લઈને 10 દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સંકલન બેઠકમાં જીતુ વાઘાણીએ કમિશનરને તમામ રોડ રસ્તાઓ સાત દિવસમાં યોગ્ય ગુણવત્તાના કરી દેવાની સૂચના આપી હતી. જો કે આ દિશામાં હજુ સુધી કામ હાથ ધરાયુ નથી. મહાનગરપાલિકાના આંકડા મુજબ 2021-22માં તમામ રસ્તાઓ પાછળ 150 કરોડથી વધુનો ખર્ચ થયો. જો કે, આટલી માતબર રકમ વપરાઈ હોવા છતાં રસ્તાઓ બિસ્માર છે. ચોકાવનારી વાત તો એ છે કે કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી અને મેયરના વોર્ડમાં જ સૌથી વધારે રસ્તાઓ ખરાબ છે. જેને લઇ પ્રજાજનોમાં સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જોકે ધારાસભ્ય જીતુ વાઘાણીની સૂચના બાદ પણ માત્ર 20% કામ જ થયું હોય તેવું લાગી રહ્યું છે, છતાં અધિકારીઓ અને સત્તાધારી પક્ષ રોડ રસ્તા સારા હોવાના બણગાં ફૂંકી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ દાવો કર્યો છે કે, રસ્તાના સમારકામ માટે સૂચના આપી દેવાઈ છે. ટુંક સમયમાં રસ્તાનું પેચવર્ક કરી દેવામાં આવશે.