ભાવનગરમાં ટાંકીના વિવાદની જ્યાં છેલ્લા 2 વર્ષથી પાણીની નવી ટાંકી બની પરંતું તંત્ર દ્વારા નવી બનેલી ટાંકીનો ઉપયોગ શરૂ કરવાનું ભુલાઈ ગયું.
તંત્રની બેદરકારીએ ભાવનગરવાસીઓના સ્વાસ્થ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે.. જ્યાં 2 થી 3 વર્ષ અગાઉ બનેલી નવનિર્મિત પાણીની ટાંકીનું ઉદ્ઘાટન ન થતાં હજુ પણ જર્જરીત ટાંકીમાંથી જ સમગ્ર ભાવનગરને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કાળિયાબીડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો છે. જે બાદ આ ટાંકીને પ્લાસ્ટીકથી ઢાંકવામાં આવી હતી. પરંતું તે પ્લાસ્ટિક પણ સમય જતાં ફાટી જતાં પીવાના પાણીમાં પક્ષીઓના મળ અને કચરો પડી રહ્યો છે. ત્યારે આ જ જર્જરીત ટાંકીમાંથી નાગરિકોને અશુદ્ધ પાણી વિતરણ કરાતા તેમના સ્વાસ્થ્ય પર પણ જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ વહેલીતકે નવી પાણીની ટાંકી શરૂ કરી તેમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
સમગ્ર મામલે કોંગ્રેસે તંત્રની કામગીરી પર પ્રહાર કર્યા. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખનું કહેવું છે કે જર્જરીત થઈ ગયેલી ટાંકીની નીચે જ ગાર્ડન હોવાથી લોકોની અવર-જવર વધારે રહેતી હોય છે.. પંરંતું બિસ્માર બનેલી આ ટાંકીને ન તોડીને તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
જ્યારે ટાંકીના વિવાદ વચ્ચે ભાવનગરના મેયરનું નિવેદન સામે આવ્યું છે. મેયરનું કહેવું છે કે નવી બનેલી ટાંકીનું પરિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં જૂની ટાંકી જમીન દોસ્ત કરીને નવી ટાંકીમાંથી જ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
Published On - 1:23 pm, Mon, 9 March 26