
ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 આરોપીઓ પોલીસ ચોપડે ચડ્યા છે, જેમાંથી 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ દ્વારા પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની તપાસ માટે SMSની ટીમ ભાવનગરમાં રહીને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.
તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલો દારૂ ભાવનગરમાં જ બનાવવામાં આવ્યો હતો. દારૂ બનાવવા માટેનું રો-મટીરિયલ બહારથી લાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બૂટલેગર ગૌતમ સોલંકીના ઘરે જ દારૂ બનાવવામાં આવ્યો હતો. આ દારૂમાં મિથેનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દારૂ બનાવ્યા બાદ તેનું સૌપ્રથમ સેવન કરનાર વ્યક્તિ તરીકે નરેન્દ્રનું નામ સામે આવ્યું છે. નરેન્દ્રનું પણ મોત થયું છે અને તે પોલીસ ચોપડે આરોપી તરીકે નોંધાયેલો છે. જોકે તેનું મોત ગુજરાતમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં થયું હતું. ત્યાં તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેના મોતમાં દારૂનું કારણ સામે આવ્યું હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે.
લઠ્ઠાકાંડમાં વપરાયેલો દારૂ ગેરકાયદે રીતે ભાવનગરની બહાર પણ પહોંચ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઘરેલુ રીતે બનાવવામાં આવેલી દારૂની આશરે 120 બોટલ ભાવનગર ઉપરાંત અમદાવાદ જિલ્લાના બરવાળા અને ધોલેરા સુધી પહોંચી હતી.
હવે પોલીસનું મુખ્ય ધ્યાન આ દારૂ ક્યાં-ક્યાં પહોંચ્યો છે અને હજુ કેટલો દારૂ બહાર છે તે શોધવા પર છે. આ દારૂનું સેવન કરનારા અન્ય લોકો સુધી પોલીસ પહોંચે અને વધુ લોકો તેનો ભોગ ન બને તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસે અપીલ કરી છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલા દારૂ અંગે કોઈ વ્યક્તિ પાસે માહિતી હોય અથવા આ દારૂ ક્યાં પહોંચ્યો છે તે અંગે જાણકારી હોય તો SMS ટીમનો સંપર્ક કરે. તપાસ એજન્સીઓ ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે દારૂના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
આ સમગ્ર કેસમાં પોલીસ હવે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવીને દારૂ બનાવવાથી લઈને તેના વિતરણ સુધીની કડી અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરશે.
Published On - 2:46 pm, Thu, 20 August 26