Water Crises in Bharuch : ફરીએકવાર ભરૂચ શહેરમાં
જળસંકટની સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નિગમમાંથી પાણી પુરવઠા ઉપર કંપની સૂચના મળતા ભરૂચ નગર પાલિકાએ વોટર ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન લાગુ કરી ભરૂચ શહેરની 2 લાખની વસ્તીને 10 દિવસ 50 ટકા પાણી કાપ વેઠવા મજબુર કરવાની તૈયારીઓ હાથ ધરી છે.
સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગત પેહલી જાન્યુઆરીએ પડેલા મસમોટા ગાબડાના કારણે જળસંકટ સર્જાયા બાદ હવે 25 માર્ચે ઝનોર નજીક ફરી ભંગાણ પડતા ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભરઉનાળે 29 માર્ચથી ફરી 50 % પાણી કાપ શાન કરવાની ફરજ પડશે.
અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ નજીક ભંગાણ
ભરૂચ નગરપાલિકા દ્વારા સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર ખાંચ કેનાલ મારફતે પીવાના પાણી માટે દૈનિક 45 MLD જથ્થો મેળવવામાં આવે છે. આ પાણી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી દ્વારા શહેરીજનોને સવાર-સાંજ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. તા. ૨૫/૦૩/૨૦૨૩ ના રોજ અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ નજીક ભંગાણ પડેલ છે. કેનાલ રિપેરીંગની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે
તા. ૨૯/૦૩/૨૦૧૩ થી કેનાલ રિપેરીંગ પુર્ણ થયા સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે. જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન શહેરીજનોને પાણી કરકસરપૂર્વક વાપરવા તેમજ પાણીનો સંગ્રહ કરવા વિનંતી પણ કરવામાં આવી છે.
માતરિયા રિઝર્વ સ્ટોરેજમાં 8 થી 9 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાથી 29 માર્ચથી પાલિકા તંત્રએ શહેરને એક જ ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. માતરિયા તળાવમાંથી ફિલ્ટરેશન કરી શહેરની 9 ટાંકીઓ ઉપર નહેરનું ગાબડું દુરસ્ત ન થાય ત્યાં સુધી એક સમય એટલે કે 50 ટકા પાણી પૂરું પાડવામાં આવશે.
ભરૂચ શહેરમાં પાણીની ટાંકી ઉપરથી આ મુજબ વિતરણ વ્યવસ્થા અમલમાં મુકાશે
હાલ તો પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વ્યય ન કરવા અપીલ કરી છે. બીજી તરફ તેજ ગતિએ નિગમ સાથે સંકલનમાં રહી સમારકામ દુરસ્ત કરવાની ખાતરી પણ આપી છે. ભરૂચની તમામ ટાંકીઓ પરથી સમગ્ર વિસ્તારને દિવસમાં નિયત કરેલ એક સમયે સવા થી દોઢ કલાક પાણી આપવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને વોટર વર્ક્સના ચેરમેન દ્વારા સંયુક્ત રીતે જણાવાયું છે.
હાલ ચૈત્રી નવરાત્રી અને રમઝાન માસ ચાલતા હોય પાલિકાએ ગાબડાંના 5 દિવસ બાદ એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. દરમિયાન જ્યાં પાણીની પોકારો કે બુમરાણ પડશે ત્યાં ટેન્કર દ્વારા પણ પાણી પોહચાડવાની તૈયારી પણ પાલિકાએ રાખી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…