
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી Metropolitan Eximchem Private Limited કંપનીમાં લાગેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ દુર્ઘટનામાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે કામદારોના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
ઘટના બાદ કંપનીના મેનેજમેન્ટ દ્વારા પીડિતોના પરિવારજનો સાથે કોઈ પ્રકારની વાતચીત ન કરવામાં આવતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. પરિવારજનો અને કામદારો કંપનીના ગેટ બહાર ભેગા થઈને વિરોધ નોંધાવ્યો અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી. ગેટ બહાર હંગામાની સ્થિતિ સર્જાતા તણાવ વધ્યો હતો.
આ દરમિયાન AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિ શાંત કરવા તથા કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, કંપની તરફથી ગેટ ન ખોલાતા સ્થિતિ વધુ ગરમાઈ ગઈ. ત્યારબાદ ચૈતર વસાવા ગેટ કૂદી કંપનીના કેમ્પસમાં પ્રવેશ્યા, જેના કારણે ત્યાં હાજર લોકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો.
વાતચીત દરમિયાન ચૈતર વસાવાને ધક્કો મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના પગલે ભીડ વધુ ઉશ્કેરાઈ ગઈ અને હંગામો તેજ થયો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ કાબૂમાં લેવા માટે પગલાં લીધા. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઘટનાના ચોક્કસ કારણો તથા જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત, જુઓ Video
Published On - 3:16 pm, Mon, 27 April 26